/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/india-test-squad.jpg)
ભારતીય ટેસ્ટ ટીમ. (BCCI)
IND vs BAN Test : ભારતના ટેસ્ટ ટીમના ખેલાડીઓ બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા 12 સપ્ટેમ્બરથી ચેપોકમાં પોતાની ટ્રેનિંગ શરૂ કરશે. આ દરમિયાન બાંગ્લાદેશ 15 સપ્ટેમ્બરથી આ જ સ્થળે ટ્રેનિંગ શરૂ કરશે. બીસીસીઆઇની સિલેક્શન કમિટિએ હજુ સુધી બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટની શ્રેણી માટેની ટીમની જાહેરાત કરી નથી.
ઈએસપીએનક્રિકઈન્ફોના મતે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમની જાહેરાત 5 થી 8 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુ અને અનંતપુરમાં રમાનારી દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડ બાદ કરવામાં આવે તેવી શક્યતા છે. શુભમન ગિલ, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, આકાશ દીપ, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત, મુકેશ કુમાર, શ્રેયસ ઐયર, અર્શદીપ સિંહ અને કેએસ ભરત જેવા કેટલાક અન્ય ટેસ્ટ ખેલાડીઓ ડોમેસ્ટિક સિઝનની પ્રથમ મેચમાં ભાગ લેશે.
લાંબી ટેસ્ટ સિઝનની શરૂઆત
ભારત તેની લાંબી ટેસ્ટ સિઝનની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) 2023-25 નો ભાગ છે. બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં અને બીજી ટેસ્ટ કાનપુરમાં રમાશે. ત્રણ ટી-20 મેચની શ્રેણી પણ રમાશે. આ પછી ભારતને ન્યૂઝીલેન્ડ સામે તેની જ ભૂમિ પર ત્રણ ટેસ્ટ રમવાની છે. ત્યારબાદ વ્હાઇટ બોલ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકા જશે. વર્ષના અંતમાં પાંચ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસે જશે.
પાકિસ્તાનમાં બાંગ્લાદેશનો 2-0થી વિજય
ભારત પોતાની અંતિમ ટેસ્ટ ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ સામે રમ્યું હતું. ભારતમાં રમાયેલી શ્રેણીમાં રોહિત શર્માની ટીમે 4-1થી જીત મેળવી હતી. બીજી તરફ બાંગ્લાદેશે પાકિસ્તાન સામે રાવલપિંડીમાં રમાયેલી ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચી દીધો છે. ટીમ ચેન્નઈમાં પણ આ આત્મવિશ્વાસને ચાલુ રાખવા માંગશે. પાકિસ્તાન સામે 2-0થી મળેલી જીતથી બાંગ્લાદેશ ડબલ્યુટીસી ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. ભારત ટેબલમાં ટોચના સ્થાને છે અને તેને બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં પોતાનું સ્થાન મજબુત કરવાની આશા રહેશે.
આ પણ વાંચો - બાંગ્લાદેશ વિ પાકિસ્તાન ટેસ્ટ શ્રેણી જીતી બાંગ્લાદેશે રચ્યો ઇતિહાસ, પાકિસ્તાનનો વ્હાઇટવોશ
વિરાટ કોહલીની વાપસી નિશ્ચિત
બાંગ્લાદેશની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની વાત કરીએ તો વિરાટ કોહલીની વાપસી નિશ્ચિત છે. તે વ્યક્તિગત કારણોસર ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમ્યો ન હતો. આ સિવાય સરફરાઝ ખાન અને કેએલ રાહુલને તક મળી શકે છે. ઋષભ પંત લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં પુનરાગમન કરે તેવી શક્યતા છે, તે ડિસેમ્બર 2022માં રોડ અકસ્માત બાદ રેડ બોલ ક્રિકેટ રમ્યો નથી.
ફાસ્ટ બોલિંગ આક્રમણમાં યુવા ખેલાડીઓને મળી શકે છે તક
ધ્રુવ જુરેલ એક અન્ય વિકેટકીપર હશે. ફાસ્ટ બોલિંગ આક્રમણમાં યુવા ખેલાડીઓને તક મળી શકે છે. આકાશદીપ, મુકેશ કુમાર અને અર્શદીપ સિંહની પસંદગી થઈ શકે છે. મોહમ્મદ સિરાજ બીમારીના કારણે દુલીપ ટ્રોફીના પ્રથમ તબક્કામાં રમી શકશે નહીં. જો ફિટ હશે તો ટેસ્ટ શ્રેણીમાં તેની પસંદગી થઈ શકે છે. જસપ્રીત બુમરાહની પસંદગી થાય તેવી શક્યતા ઓછી છે.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતની સંભવિત ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશદીપ, મુકેશ કુમાર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ (ફિટ હોવા પર).


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us