IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 માર્ચને ગુરુવારથી ધર્મશાળામાં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે. દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન માટે આ ટેસ્ટ મેચ ખાસ બની રહેશે. આ તેની 100મી ટેસ્ટ હશે. આ ટેસ્ટ અગાઉ ભૂતપૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણન દિગ્ગજ સ્પિનર પર મોટા આરોપ મુક્યો છે. ભૂતકાળમાં પણ શિવરામકૃષ્ણને ભારતીય ઓફ સ્પિનર અશ્વિનની ટીકા કરી હતી. ભૂતપૂર્વ લેગ સ્પિનર શિવરામકૃષ્ણને એક્સ (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા) પર દાવો કર્યો હતો કે જ્યારે તેણે અશ્વિનને 100 ટેસ્ટ માટે અભિનંદન આપવાનો પ્રયાસ કર્યો ત્યારે અશ્વિને તેના કોલ કે મેસેજનો જવાબ આપ્યો ન હતો.
શિવરામકૃષ્ણને અશ્વિન પર લગાવ્યો આરોપ
શિવરામકૃષ્ણને લખ્યું કે તેની 100 મી ટેસ્ટ પર શુભેચ્છા પાઠવવા માટે તેને ઘણી વખત ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. મારો ફોન કટ કરી નાખ્યો હતો. જ્યારે મેં તેને મેસેજ મોકલ્યો તો કોઈ જવાબ ન આવ્યો ન હતો. આ જ સન્માન અમને ભૂતપૂર્વ ક્રિકેટરોને મળે છે. સન્માન સંસ્કારી લોકો પાસેથી જ મળે છે. આ પહેલા તેની એક્શનમાં થોડો સુધારો થાય તે વિશે ટ્વિટ કરી રહ્યો હતો, તેની ટીકા કરતો ન હતો. કાશ લોકો સમજી શક્યા હોત.
આ પણ વાંચો – ભારત વિ. ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ : રોહિત શર્મા કરશે 2 ફેરફાર? જાણો બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શું તમે બધા મારા કરતા વધારે ક્રિકેટ રમ્યા છો
અશ્વિનને લઇને કરવામાં આવેલા ટ્વિટ પર યુઝર્સે સવાલ કર્યો તો ત્યારે શિવરામકૃષ્ણને યુઝર્સને પૂછ્યું કે ભારત તરફથી રમવાનો તેની પાસે કેટલો અનુભવ છે? તેમણે ટ્વિટ કરીને કહ્યું કે શું તમે બધા મારા કરતા વધુ ક્રિકેટ રમ્યા છો, 9 ટેસ્ટ 16 વન-ડે ? શિવરામકૃષ્ણને ભૂતકાળમાં અશ્વિનની બોલિંગની ટીકા કરી હતી અને સેના (SENA)ના દેશોમાં વિકેટ લેવાની તેની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા.
શિવરામકૃષ્ણને આવો પણ આરોપ લગાવ્યો હતો
શિવરામકૃષ્ણને એવો પણ આરોપ લગાવ્યો હતો કે જો રવિચંદ્રન અશ્વિન 2011ની આસપાસ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) તરફથી રમતો ન હોત તો ઓફ સ્પિનરને દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે લાંબી રાહ જોવી પડી હોત. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમનો કેપ્ટન હતો.