IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થઈ ગઇ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. જોકે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની સ્પિન સામે તેના બેટ્સમેન ખાસ કમાલ કરી શક્યા ન હતા અને આખી ટીમ 65.4 ઓવરમાં 235 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.
ભારતીય ઈનિંગની શરુઆત સારી રહી ન હતી. રોહિત શર્માએ 3 ચોગ્ગા ફટકાર્યા બાદ 18 રનના સ્કોર પર મેટ હેનરીના બોલ પર ટોમ લાથમના હાથે કેચઆઉટ થયો હતો. તે સમયે ભારતના ખાતામાં માત્ર 25 રન જ ઉમેરાયા હતા. રોહિત શર્માના સ્થાને શુભમન ગિલ બેટિંગ કરવા ઉતર્યો હતો. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે આક્રમક બેટિંગ કરી હતી. એવું લાગતું હતું કે બંને પ્રથમ દિવસની રમતના અંત સુધી ક્રિઝ પર રહેશે.
પ્રથમ દિવસે સ્ટમ્પ્ડ થવા માટે માત્ર 5 ઓવર બાકી હતી. ભારતનો સ્કોર એક વિકેટ માટે 78 રન (17 ઓવર) હતો. ત્યારબાદ યશસ્વીના ખોટા શોટ સિલેક્શને સમગ્ર દ્રશ્ય બદલી નાખ્યું હતું અને તે પછીની 10 મિનિટ અને 9 બોલમાં સ્કોર 84/4 (18.3 ઓવર) થઈ ગયો હતો. વધુ ત્રણ ભારતીય બેટ્સમેન (યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને વિરાટ કોહલી) પેવેલિયન પરત ફર્યા હતા. એક સમયે ડ્રાઇવિંગ સીટ પર રહેલું ભારતે છેલ્લી 15 મિનિટમાં ન્યૂઝીલેન્ડને મેચમાં આગળ કરી દીધું હતું તે કહેવું ખોટું નહીં હોય. નીચે તે ૯ દડાની વિગતો છે.
રિવર્સ સ્વીપ કરવાનો યશસ્વીનો ખોટો પ્રયાસ
17.2 ઓવર: એજાઝ પટેલે 18મી ઓવર ફેંકવા આવ્યો હતો. તેણે પોતાના બીજા જ બોલ પર યશસ્વી જયસ્વાલને બોલ્ડ કર્યો હતો. યશસ્વી જયસ્વાલ 52 બોલમાં 4 ફોરની મદદથી 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ભારતનો સ્કોર 78/2 હતો. એજાઝ પટેલનો આ બોલ લેગ સ્ટમ્પ પર લેન્થ બોલ હતો. ટપ્પો પડ્યા પછી તે થોડી અંદરની તરફ આવ્યો હતો.
યશસ્વી જયસ્વાલે રિવર્સ સ્વિપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્પિનિંગ કરતી વખતે બોલ બેટ અને પગની નીચેથી વિકેટની અંદર જતો રહ્યો હતો. રોહિતના આઉટ થયા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં રાખતો યશસ્વી જયસ્વાલ જો માત્ર સ્વીપ રમ્યો હોત તો તેના માટે વધુ સારું હોત, પરંતુ તેણે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું હતું, તેથી તેણે તેમ કર્યું. બોલ નીચે ગયો અને સ્ટમ્પ્સને ટકરાયો હતો.
આ પણ વાંચો – ભારત વિ ન્યૂઝીલેન્ડ ત્રીજી ટેસ્ટ, પ્રથમ દિવસે કુલ 14 વિકેટનું પતન, રવિન્દ્ર જાડેજાની 5 વિકેટ
નાઇટ વોચમેન તરીકે સિરાજનું આવવું સમજની બહાર
17.3 ઓવર: તે પછીના બોલ પર મોહમ્મદ સિરાજ એલબીડબલ્યુ થયો હતો. ભારતનો સ્કોર 78/3 થયો હતો. મોહમ્મદ સિરાજ નાઇટ વોચમેન તરીકે આવ્યો હતો. તેને નાઇટ વોચમેન તરીકે મોકલવાથી માત્ર ક્રિકેટ ચાહકોને જ નહીં પણ નિષ્ણાતોને પણ તેનો કોઈ અર્થ સમજાયો ન હતો. કોમેન્ટ્રી દરમિયાન રવિ શાસ્ત્રીએ પણ આ અંગે કોમેન્ટ કરી હતી. ખેલાડીને નાઇટ વોચમેન તરીકે મોકલવાનો અર્થ એ છે કે રમત પૂરી થાય તે પહેલાં વિકેટ પડે ત્યારે પ્યોર બેટ્સમેનને મોકલવાનું ટાળવું. જોકે ટીમ મેનેજમેન્ટે તેને શા માટે મોકલ્યો તે સમજવું મુશ્કેલ છે.
ત્યારે સૌથી મોટી વાત એ છે કે મોહમ્મદ સિરાજે સામેથી પ્લમ્બ હિટ થયો હોવા છતા રિવ્યૂનો ઉપયોગ કર્યો અને તેને બર્બાદ કર્યો હતો. એજાઝ પટેલનો આ બોલ લેગ સ્ટમ્પ પર ગુડ લેન્થ હતો. ટપ્પો પડ્યા પછી તે બહાર આવ્યો. સિરાજે ડિફેન્સ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેક પેડ સાથે અથડાયો હતો અને એલબી આઉટ થયો હતો.
વિરાટ કોહલી રન આઉટ થયો
18.3 ઓવર: રચિન રવિન્દ્ર 19મી ઓવર લઇને આવ્યો હતો. તેના ત્રીજા બોલ પર વિરાટ કોહલી 4 રનના અંગત સ્કોર પર મેટ હેનરીના ડાયરેક્ટ થ્રો પર રન આઉટ થયો હતો. ભારતનો સ્કોર 84/4 થયો હતો. વિરાટ કોહલીએ રચિન રવિન્દ્રના બોલ પર મિડ-ઓન તરફ શોટ રમ્યો હતો. મેટ હેનરી ત્યાં બોલ રોક્યો હતો. તેણે ઝડપથી બોલને વિકેટ તરફ ફેંક્યો હતો અને સીધો થ્રો સ્ટમ્પમાં લાગ્યો હતો. વિરાટ કોહલી ડ્રાઈવ લગાવ્યા બાદ પણ ક્રિઝની બહાર રહ્યો હતો અને રન આઉટ થયો હતો.
ભારતીય ટીમના નામે હવે 4 વિકેટ પેવેલિયનમાં છે. આ રીતે ત્રીજી ટેસ્ટ મેચમાં માત્ર 10 મિનિટમાં જ આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. ડ્રાઇવિંગ સીટ ગુમાવવા માટે ભારત પોતે જ જવાબદાર છે.