Asia Cup 2025 : પાકિસ્તાને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માગ બાદ એશિયા કપ 2025માંથી ખસી જવાની ધમકી આપી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે પાયક્રોફ્ટને હટાવવાની માગને ફગાવી દીધી હતી. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે શું પાકિસ્તાન મોટું પગલું ભરશે? શું તે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સામેની મેચ પહેલા એશિયા કપમાંથી બહાર નીકળી જશે?
ભારે અપમાન બાદ પણ પાકિસ્તાન આવું કરી શકશે નહીં, કારણ કે આવા કોઈ પણ પગલાને કારણે દેશને 12 થી 16 મિલિયન અમેરિકી ડોલર (340 કરોડ થી 450 કરોડ પાકિસ્તાની રૂપિયા) ની આવકનું નુકસાન થઈ શકે છે. ટેસ્ટ રમી રહેલા પાંચ દેશો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 15-15 ટકા કમાણી કરે છે, જે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની વાર્ષિક આવકના 75 ટકા છે. બાકીના 25 ટકા ભાગીદાર દેશો દ્વારા વહેંચવામાં આવે છે.
પીસીબી નુકસાન સહન કરી શકશે નહીં
આવકમાં બ્રોડકાસ્ટ ડીલ્સ (લિનિયર અને ડિજિટલ), વિવિધ સ્પોન્સરશિપ અને ટિકિટ વગેરેનો સમાવેશ થાય છે. એકલા આ એશિયા કપમાંથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની અંદાજિત કમાણી 12 થી 16 મિલિયન અમેરિકન ડોલર વચ્ચે છે. પીસીબી પાસે બીસીસીઆઈ જેટલા પૈસા નથી. તે આટલું મોટું નુકસાન સહન કરી શકશે નહીં.
નકવીએ મુસીબત ઉભી કરી
સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા (એસપીએનઆઈ) એ એસીસી સાથે 170 મિલિયન અમેરિકન ડોલરમાં આઠ વર્ષના (2024-2031) કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારમાં વિમેન્સ એશિયા કપ અને અંડર-19 મેન્સ એશિયા કપનું પ્રસારણ પણ સામેલ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન હોવાની સાથે સાથે દેશના ગૃહમંત્રી મોહસિન નકવીએ મુશ્કેલી ઉભી કરી છે.
નકવીએ વિચાર્યા વગર ફરિયાદ નોંધાવી
નકવી હાલમાં એસીસીના વડા પણ છે. રવિવારે મેચ બાદ ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હોવાથી સર્જાયેલા હંગામા માટે તેમણે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. આઇસીસીએ પીસીબીની માગને ફગાવી દેતાં પાયક્રોફ્ટને હટાવવાનો ઈનકાર કરી દીધો છે. આવી સ્થિતિમાં નજર નકવી પર છે.
આ પણ વાંચો – એશિયા કપ જીતવા પર ACC ચીફ મોહસિન નકવી પાસેથી ટ્રોફી નહીં લે ટીમ ઇન્ડિયા?
નકવી શું કરશે?
પીસીબીના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે શું નકવી પાકિસ્તાનને આ નાણાકીય વર્ષ માટે અંદાજિત 227 મિલિયન ડોલરના બજેટમાંથી લગભગ 16 મિલિયન અમેરિકન ડોલરનું નુકસાન ઉઠાવવાનું જોખમ ઉઠાવી શકે છે? આ પીસીબીની વાર્ષિક આવકના લગભગ સાત ટકા હશે. તેમના માટે તે આગ પર ચાલવા જેવું હશે. પરંતુ પાકિસ્તાનના મહત્વપૂર્ણ મંત્રી હોવાના નાતે તેમણે દેશવાસીઓ સામે પોતાનું સન્માન પણ જાળવી રાખવું પડશે.
એસીસીમાં અલગ-થલગ પડી જશે પીસીબી
એ સ્પષ્ટ છે કે જો પીસીબી હટવાનો નિર્ણય લે તો તે એસીસીમાં અલગ-થલગ પડી જશે, જ્યાં અન્ય બોર્ડના ડાયરેક્ટર્સ કોઈ મોટી ઈવેન્ટની મેચો રમ્યા વિના 15 ટકા વાર્ષિક હિસ્સો મેળવવા સામે વાંધો ઉઠાવી શકે છે. એસીસીના વડા હોવાને કારણે નકવીને પણ આનો ભોગ બનવું પડશે. તેને સત્તાવાર બ્રોડકાસ્ટરની પણ નારાજગી સહન કરવી પડશે, જે નિયત રકમ ચૂકવવાનો ઇનકાર કરી શકે છે.
નકવી અને પાકિસ્તાન પાસે ઘણું બધું ગુમાવવાનું છે
ભારત-પાકિસ્તાન મેચ આવકનો સૌથી મોટો સ્ત્રોત છે અને જો મેચ ન થાય તો બ્રોડકાસ્ટરને ભારે નુકસાન થઈ શકે છે, જે હંમેશા આ મોટી મેચ માટે જાહેરાત સ્લોટ ઊંચી કિંમતે વેચે છે. એકંદરે નકવી અને પાકિસ્તાન પાસે ગુમાવવા માટે ઘણું બધું છે અને મેળવવા માટે ઘણું ઓછું છે.





