Shubman Gill Will Lead Indian Cricket Team For Zimbabwe Tour : 24 વર્ષીય ઓપનર શુભમન ગિલ 6 જુલાઈથી ઝિમ્બાબ્વે શરૂ થઈ રહેલી ટી 20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. ભારત ઝિમ્બાબ્વે પ્રવાસમાં 5 મેચની ટી 20 સિરીઝ રમશે. ટી 20 વર્લ્ડ કપમાં સામેલ ટીમના મુખ્ય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ મુખ્ય ખેલાડીઓમાં વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે.
અભિષેક શર્માને પહેલીવાર તક મળી
ભારતીય ટીમમાં 23 વર્ષના અભિષેક શર્માની પસંદગી પહેલીવાર કરવામાં આવી છે. પંજાબના આ બેટ્સમેને 484 રન બનાવ્યા હતા અને ટ્રેવિસ હેડ સાથે મળીને સનરાઇઝર્સ હૈદરાબાદને આઈપીએલમાં ધમાકેદાર શરૂઆત અપાવી હતી. આઇપીએલની સિઝનમાં રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગે પણ 573 રન ફટકાર્યા હતા.
આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2024 દરમિયાન બેન્ચ પર બેઠેલા સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહ પણ ઝિમ્બાબ્વે જવાની તક મળશે. આ ઉપરાંત આઇપીએલમાં પોતપોતાની ટીમના નિયમિત ખેલાડીઓ નીતિશ કુમાર રેડ્ડી, તુષાર દેશપાંડે અને હર્ષિત રાણા પણ ઝિમ્બાબ્વે પ્રવાસે જઇ શકે છે.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 : ક્રિસ જોર્ડને હેટ્રિક ઝડપી ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડે જીત મેળવી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો
પસંદગી સમિતિએ 20 ખેલાડીઓની પસંદગી કરી છે!
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ સિનિયર સિલેક્શન કમિટીએ આગામી શ્રેણી માટે 20 સભ્યોની ટીમની પસંદગી કરી લીધી છે. પરંતુ તેઓ હાર્દિક અને સૂર્યકુમારના જવાબની રાહ જોઈ રહ્યા છે. રિઝર્વ પ્લેયર તરીકે ભારતીય ટીમ સાથે અમેરિકા ગયેલો શુભમન ગિલ ફાસ્ટ બોલર અવેશ ખાનની સાથે ભારત પરત ફર્યો છે. કારણ કે ટીમ મેનેજમેન્ટ તેને આરામ આપવા માગતું હતું. તે ટી 20 વર્લ્ડ કપની કોઈ પણ મેચમાં રમે તેવી શક્યતા પણ ઓછી હતી.
બીસીસીઆઈ વધુ એક ઓલરાઉન્ડરને અજમાવવા માંગે છે
પસંદગીકારો વધુ એક મધ્યમ ગતિના ઓલરાઉન્ડરને અજમાવવા માગતા હતા અને તેથી તેમણે એસઆરએચના રેડ્ડીની પસંદગી કરી છે. નીતિશ કુમાર રેડ્ડીએ બીસીસીઆઈનો ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. મુંબઈના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ ડોમેસ્ટિક સિઝનમાં શાનદાર દેખાવ કર્યો. તે ચેન્નાઈ સુપર કિંગ્સનો ભરોસાપાત્ર બોલર રહ્યો છે.
દિલ્હીના નીતીશ રાણાએ આઈપીએલની ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું હતું અને આખી સિઝન દરમિયાન તેની ગતિ સાથે સાતત્યતા જાળવી રાખ્યું હતું.
વીવીએસ લક્ષ્મણ રહેશે ટીમ ઇન્ડિયાના કોચ
ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી ટીમ ઈન્ડિયાના આગામી કોચની નિયુક્તિ કરી નથી, જેના કારણે બીસીસીઆઇએ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે વીવીએસ લક્ષ્મણને જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે. વીવીએસ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા છે. ભારતીય ક્રિકેટ ટીમના આગામી કોચ 27મી જુલાઈથી શરુ થઈ રહેલા શ્રીલંકા પ્રવાસમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.