IND vs AUS Test : ભારત અને ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ ઈતિહાસ ઘણો જૂનો છે. ભારત આઝાદી પહેલાથી જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમતું આવ્યું છે. આઝાદી બાદ ભારતે જ્યારે પહેલી વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડયો હતો, ત્યારે તેમને શ્રેણીની અધવચ્ચે જ એવા સમાચાર મળ્યા હતા કે જેના કારણે ખેલાડીઓના દિલ તૂટી ગયા હતા.
આ સમાચારની ભારતીય ટીમ પર એવી અસર પડી હતી જે પછી તે આ પ્રવાસને રદ કરવા ઈચ્છતી હતી. આ પ્રવાસ રદ કરવામાં આવ્યો ન હતો પણ મેલબોર્નમાં પહેલી વખત કોઈ ભારતીય માટે બે ટીમો મૌન ધારણ કરીને ઉભી રહી હતી. જોકે આ કોઇ ભારતીય ક્રિકેટર ન હતો.
1947-48નો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
ભારત 1947-48ના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યું હતું. બ્રિસબેનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. આ પછી સિડનીમાં રમાયેલી ટેસ્ટ ડ્રો થઈ હતી. ત્રીજી અને ચોથી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાના નામે રહી હતી. એડીલેડ ટેસ્ટ 28 જાન્યુઆરીએ સમાપ્ત થઈ હતી.
મહાત્મા ગાંધીની હત્યાએ ભારતીયોના દિલ તોડી નાખ્યા
આ પછી 30 જાન્યુઆરીએ ભારતીય ટીમને સમાચાર મળ્યા હતા કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી છે. આ સમાચારથી સાત સમુદ્ર પાર ટીમ ઇન્ડિયાનું દિલ તૂટી ગયું હતું. ગિડેયોન હાઈએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ટીમ ઈન્ડિયાના મેનેજરે જણાવ્યું હતુ કે ભારતીય ખેલાડીઓ માટે આ સમય ખુબ જ મુશ્કેલ હતો. ટીમના ખેલાડીઓને આખી રાત ઊંઘ આવી ન હતી. આ સમાચાર સાંભળીને ઘણા ખેલાડીઓ રડી પડ્યા હતા. તેમજ ઓલ ઈન્ડિયા રેડિયો પર સમાચાર સાંભળતા રહ્યા. ટીમ પણ પ્રવાસ રદ કરવા માંગતી હતી.
આ પણ વાંચો – રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં નહીં રમે, તેના સ્થાને આ ખેલાડીને મળશે ટીમમાં સ્થાન
મહાત્મા ગાંધી માટે મૌન પાળવામાં આવ્યું
જોકે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો ન હતો. પાંચમી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાવાની હતી. મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓએ મહાત્મા ગાંધી માટે એક મિનિટનું મૌન પાળ્યું હતું. ખેલાડીઓએ બ્લેક બેન્ડ પણ પહેર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં બિન-બ્રિટીશ લોકો માટે આ પ્રકારનું મૌન પ્રથમ વખત પાળવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના લેજન્ડ ડોન બ્રેડમેનની ઘરઆંગણે આ આખરી ટેસ્ટ મેચ હતી. બ્રેડમેને કહ્યું હતું કે આ મેચમાં ભારતીય ખેલાડીઓ દિલથી રમી શકે તેમ નથી. તે ખૂબ ઉદાસ હતો. ભારત આ મેચ એક ઈનિંગ્સ અને 177 રનથી હારી ગયું હતું. આ શ્રેણીમાં 4-0થી ટીમ ઇન્ડીયાનો પરાજય થયો હતો.





