વેંકટ કૃષ્ણા બી : આગામી જૂન માસમાં રમાનાર ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ પસંદગી સમિતિ માટે પેસ બોલર પસંદ કરવા કેટલેક અંશે મુશ્કેલ બની રહ્યું છે. હજુ 6 મહિના પહેલાની વાત છે જ્યારે ઘરઆંગણે રમાયેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના ન્યૂ બોલ (હરીફ ટીમ સામે બોલિંગ શરૂઆત કરનાર) બોલરો ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે ટી 20 વર્લ્ડ કપને આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ભારતને તેના ન્યૂ બોલ બોલરોને લઇને ચિંતિત છે. જસપ્રીત બુમરાહ સાથે કોણ સાથ નિભાવી શકશે અર્શદીપ સિંહ કે ખલીલ અહેમદ એ અંગે પસંદગી સમિતિ વિચાર કરશે.
શમી ઈજાગ્રસ્ત, સિરાજ આઉટ ઓફ ફોર્મ
મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત છે અને મોહમ્મદ સિરાજ આઈપીએલમાં ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યો છે. પેસ ડિપાર્ટમેન્ટમાં ભારતની એકમાત્ર આશા જસપ્રીત બુમરાહ છે. તેના નામ સાથે એક્સ-ફેક્ટર જોડાયેલું છે. આગામી કેટલાક દિવસોમાં અજિત અગરકરની આગેવાની હેઠળની ભારતની પસંદગી સમિતિ જૂનમાં અમેરિકા અને કેરેબિયનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવાની છે.
ભારતીય સ્પીડ બેટરી મુશ્કેલીમાં
બેટીંગ અને વિકેટકિપિંગમાં કોને બાકાત રાખવા તે અંગે તેઓએ ચોક્કસ કેટલાક આકરા નિર્ણયો લેવા પડશે, પણ બોલિંગના મોરચે ટીમ મેનેજમેન્ટે મહત્વના નિર્ણયો લેવા પડશે. ખાસ કરીને આક્રમણ કેવી રીતે કરવું છે તેના પર. સ્પિનરો માટે વિકલ્પો સીધા સાદા લાગે છે. તેમાં રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈ સ્પષ્ટ વિકલ્પ છે, પરંતુ સ્પીડ બેટરીના મામલે ભારત મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
ભુવનેશ્વરના બહાર થવાથી બગડ્યા સમીકરણ
ઉદાહરણ તરીકે પાવરપ્લેના ઓવરોમાં ભુવનેશ્વર કુમારના બહાર થયા પછી ભારત વિકેટ માટે શમી અને સિરાજ પર નિર્ભર બની ગયું છે. મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત છે અને સિરાજ ટી-20માં વિકેટની તાકાત ન હોવાથી ભારતની નજર હવે આ ભૂમિકા માટે ડાબોડી પેસરો અર્શદીપ સિંહ અને ખલીલ અહેમદ પર છે.
દીપક ચહર મોટે ભાગે અનફિટ રહે છે
જ્યારે ભુવનેશ્વર કુમારનો દાવો નબળો પડ્યો ત્યારે ભારત દીપક ચહરને પાવરપ્લેમાં બોલિંગ કરવા માટે આદર્શ વિકલ્પ તરીકે જોઈ રહ્યું હતું. આનાથી તેમને ઇનિંગ્સના બીજા ભાગમાં મુખ્યત્વે બુમરાહનો ઉપયોગ કરવામાં મદદ મળી હોત. પરંતુ દીપક ચહર મેચ ન રમવાથી અને આઇપીએલ દરમિયાન ઈજા સામે સંઘર્ષ હોવાથી ભારતને અન્ય વિકલ્પો પર વિચાર કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2024નો કાર્યક્રમ જાહેર, આ દિવસે રમાશે ભારત-પાકિસ્તાન મેચ
અર્શદીપની પ્રતિભા ડેથ ઓવર્સમાં કામમાં આવી શકે છે
અર્શદીપ ગત વર્લ્ડ કપથી ટી-20 સેટ-અપનો ભાગ છે. તેણે હાલમાં જ આંતરરાષ્ટ્રીય મેચોમાં સંઘર્ષ કર્યો હતો. તે આઈપીએલમાં ફોર્મમાં પરત ફરવાના સંકેત બતાવી રહ્યો છે. નવા બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા ઉપરાંત અર્શદીપને ડેથ ઓવર્સમાં બોલિંગ કરવા માટે પણ ગણતરીમાં લઈ શકાય છે, ખાસ કરીને રાઇટ હેન્ડ બેટ્સમેનો સામે.
ખલીલ અહેમદ પણ બની શકે છે વિકલ્પ
તેવી જ રીતે ખલીલ અહેમદને વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. ખલીલની ડોમેસ્ટિક સિઝન પ્રભાવશાળી રહી હતી. 2018થી 2019ની વચ્ચે તે ભારતીય વ્હાઇટ-બોલ ટીમનો ભાગ હતો અને તેને એક સારી સંભાવના તરીકે જોવામાં આવતો હતો. પરંતુ તેની મર્યાદિત ક્ષમતા જાહેર થયા બાદ તેને ડોમેસ્ટીક ક્રિકેટમાં મોકલવામાં આવ્યો હતો. ઝડપ વધારવા ઉપરાંત ખલીલ અહેમદ તેના ભાથામાં વધુ તીર સાથે આઈપીએલમાં પાછો ફર્યો હોવાનું મનાય છે. તેમાં સ્લોઅર બોલ પણ સામેલ છે, જેને રમવું મુશ્કેલ બની ગયું છે.
શા માટે ઉમરાનનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો ન હતો
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઉમરાન મલિક ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કેમ તૈયાર ન થયો તે આશ્ચર્યજનક છે. ઉમરાન મલિક આ ફોર્મેટમાં ભારત માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. 24 વર્ષીય ખેલાડી ફેબ્રુઆરી 2023થી કોઈ ટી -20 અને જુલાઈ 2023થી વનડે મેચ રમ્યો નથી. એક તબક્કે તેને રોમાંચક સંભાવના તરીકે જોવામાં આવતો હતો.
એનરિચ નોર્ખિયા, માર્ક વૂડ, લોકી ફર્ગ્યુસન, હારિસ રઉફને કારણે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન આ મોરચે લીડ છે. તે જોતાં ઝડપી બોલિંગ સંસાધનો ઓછા થઇ રહ્યા છે. તે એક મોટો કોયડો છે કે શા માટે ભારતે ઉમરાનનો સંપૂર્ણ ઉપયોગ કર્યો નથી. લખનઉ સુપર જાયન્ટ્સના મયંક યાદવે તેની તકની રાહ જોવી પડશે કારણ કે પસંદગીકારો ઇચ્છે છે કે તે ઘરેલું સ્તરે આગળ વધે.





