Shreyas Iyer Injury Update : ભારતીય વન ડે ના વાઈસ કેપ્ટન શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ કરવાના પ્રયત્નમાં ડાબી પાંસળીમાં ઈજા થતાં તેને સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ શ્રેયસ ઐયરને લઈને સોમવારે (27 ઓક્ટોબર) મેડિકલ અપડેટ આપ્યું હતું. બોર્ડના જણાવ્યા અનુસાર સ્કેનમાં બહાર આવ્યું છે કે ઐયરની પ્લીહા (Spleen)ફાટી ગઈ હતી. ભારતીય ટીમના ડોકટરો શ્રેયસ સાથે સિડનીમાં રહેશે અને તેની પ્રગતિ પર નજર રાખશે.
ભારતીય ટીમના ડોકટરો નજર રાખવા માટે સિડનીમાં ઐયર સાથે રહેશે
બીસીસીઆઈએ શ્રેયસ ઐયરના મેડિકલ અપડેટ પર જણાવ્યું હતું કે 25 ઓક્ટોબર 2025 ના રોજ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયસ ઐયરને ડાબી પાંસળીના નીચેના ભાગમાં ઈજા થઈ હતી. તેને વધુ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સ્કેનમાં જાણવા મળ્યું કે પ્લીહા ફાટી ગઈ છે. તેની સારવાર ચાલી રહી છે, તેની હાલત તબીબી રીતે સ્થિર છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. બીસીસીઆઇની મેડિકલ ટીમ સિડની અને ભારતના સ્પેશિયાલિસ્ટ્સ સાથે પરામર્શ કરીને તેની ઈજા પર નજીકથી નજર રાખી રહી છે. ભારતીય ટીમના ડોકટરો શ્રેયસની દરરોજની પ્રગતિ પર નજર રાખવા માટે સિડનીમાં તેની સાથે રહેશે.
પ્લીહા શું હોય છે?
પ્લીહા (Spleen) એક નરમ અને સ્પંજી અંગ છે, જે પેટની ઉપર અને પાંસળીની નીચે સ્થિત છે. તે લોહીને સાફ કરવાનું કામ કરે છે, જે જૂના અને ક્ષતિગ્રસ્ત લાલ રક્તકણો અને ગંદકીને દૂર કરે છે. પ્લીહા સંક્રમણ સામે લડવામાં મદદ કરવા માટે બ્લડ સેલ્સ અને વ્હાઇટ બ્લડ સેલ્સને રક્તકણોને પણ સ્ટોર કરે છે.
આ પણ વાંચો – રણજી ટ્રોફી : પૃથ્વી શો એ 141 બોલમાં ફટકારી બેવડી સદી, સેહવાગ અને શાસ્ત્રીના ક્લબમાં સામેલ
શ્રેયસ ઐયરને ઈજા કેવી રીતે થઈ?
ઓસ્ટ્રેલિયા સામેની સિડનીમાં રમાયેલી ત્રીજી વન ડે દરમિયાન શ્રેયસ ઐયરે ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર બેટ્સમેન એલેક્સ કેરીનો બેકવર્ડ પોઈન્ટથી પાછળ તરફ દોડતા ડાઈવ લગાવીનેને શાનદાર કેચ કર્યો હતો. કેચ પકડ્યા બાદ તે જમીન પર પડી ગયો હતો અને તેની પાંસળીમાં ઈજા થઈ હતી. ઐયરે બાકીની ઈનિંગ માટે ફિલ્ડિંગ કરી ન હતી અને પાંસળીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.





