India vs England 5th Test Match Day-1 Score, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ધર્મશાલા ખાતે ગુરુવારથી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ શરુ થઇ છે. ટોસ જીતી ઇંગ્લેન્ડ બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યું હતું. જોકે ભારતીય સ્પિનર કુલદીપ યાદવ અને આર અશ્વિને તરખાટ મચાવતાં ઇંગ્લેન્ડ 218 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતે દાવ લેતાં શરુઆત સારી કરી હતી. દિવસના અંતે ભારતનો સ્કોર 1 વિકેટ પર 135 રહ્યો હતો. યશસ્વી જયસ્વાલ 57 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલ દાવમાં છે.
કુલદીપ યાદવ (5 વિકેટ) અને આર અશ્વિનના (4 વિકેટ) તરખાટ બાદ યશસ્વી જયસ્વાલ (57) અને રોહિત શર્માની અડધી સદી (52 અણનમ)ની મદદથી ભારતે પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે મજબૂત પકડ બનાવી લીધી છે. ઇંગ્લેન્ડના 218 રનના જવાબમાં ભારતે પ્રથમ દિવસના અંતે 30 ઓવરમાં 1 વિકેટે 135 રન બનાવી લીધા છે. ભારત 83 રન પાછળ છે અને તેની 9 વિકેટો બાકી છે. દિવસના અંતે રોહિત શર્મા 52 અને શુભમન ગિલ 26 રને રમતમાં છે. ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 218 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
યશસ્વી જયસ્વાલ 57 રને આઉટ
યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાવી હતી. યશસ્વી 58 બોલમાં 5 ફોર 3 સિક્સરની મદદથી 57 રન બનાવી શોએબ બશીરની ઓવરમાં આઉટ થયો હતો. રોહિત શર્માએ આ દરમિયાન અડધી સદી પુરી કરી હતી. દિવસના અંતે રોહિત શર્મા 52 અને શુભમન ગિલ 26 રમે અણનમ રહ્યા હતા.
કુલદીપ યાદવની 5 વિકેટ
ડકેટ 27 રન બનાવીને આઉટ થયો હતો. ઓલી પોપ 11 રન બનાવીને આઉટ થયો હતો. આઉટ થતાં જ લંચ બ્રેક થઈ ગયો. જેક ક્રોલી 79 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો. જોની બેયરસ્ટો 29, રુટ 26, બેન સ્ટોક્સ 00, ટોમ હાર્ટલી 6 અને માર્ક વુડ 00 રને આઉટ થયા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી છે. જ્યારે અશ્વિને 4 અને જાડેજાએ 1 વિકેટ ઝડપી છે.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય
ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દેવદત્ત પડિકલે ભારત માટે પદાર્પણ કર્યું હતું. આ શ્રેણીમાં ડેબ્યૂ કરનાર તે ભારતનો 5મો ખેલાડી છે. ઈંગ્લેન્ડની ટીમમાં 1 ફેરફાર કરવામાં આવ્યો છે. ઓલી રોબિન્સનની જગ્યાએ માર્ક વુડને તક મળી છે. ભારતના પ્લેઇંગ 11માં 2 ફેરફાર થયા છે. આકાશદીપની જગ્યાએ જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. રજત પાટીદારની જગ્યાએ દેવદત્ત પડિકલને તક મળી છે
ભારતીય ટીમની શ્રેણીમાં 3-1થી અજેય સરસાઇ
આ ટેસ્ટ મેચ ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન જોની બેરસ્ટો માટે ખાસ રહેશે. બંનેની આ 100મી ટેસ્ટ મેચ હશે. ભારતીય ટીમે શ્રેણી 3-1થી જીતી લીધી છે. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિશાખાપટ્ટનમ, રાજકોટ અને રાંચીમાં જીત મેળવી.
કઈ કઈ ટેસ્ટ જીતી
- વિશાખાપટ્ટનમ
- રાજકોટ
- રાંચી
આ પણ વાંચોઃ- સુનીલ ગાવસ્કર થી ચેતેશ્વર પુજારા સુધી : 100મી ટેસ્ટમાં આ 13 ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર એક નજર
ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ શ્રેણીની ત્રણ મેચ જીત્યા બાદ પણ ભારતીય ટીમ ધર્મશાલા ટેસ્ટને હળવાશથી નહીં લે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં ટોચના સ્થાન પરનો પોતાનો દાવો મજબૂત કરવા માટે આ મેચ જીતવી પડશે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસનો અંત જીત સાથે કરવા ઈચ્છશે.