/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/ishan-kishan.jpg)
ભારતીય ક્રિકેટર ઇશાન કિશન (તસવીર - ishankishan23 ઇન્સ્ટા)
ishan kishan : ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇશાન કિશન અલગ કારણોસર ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડની વારંવારની વિનંતી છતાં તે ઝારખંડ તરફથી રણજી ટ્રોફી રમવાનો ઈન્કાર કરી રહ્યો છે. તે પંડયા બંધુઓ હાર્દિક અને કૃણાલની સાથે બરોડામાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. દરમિયાનમાં એવા અહેવાલો મળી રહ્યા છે કે તે ટી-20 ટીમમાં જિતેશ શર્માની પસંદગીથી નારાજ હતો.
વર્ષ 2023ના અંતે ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી. ટી-20 અને ટેસ્ટ ટીમમાં ઇશાન કિશનની પસંદગી કરવામાં આવી હતી. ટી-20 શ્રેણીમાં જીતેશ શર્માના કારણે તેને બેન્ચ પર બેસવું પડ્યું હતું. આ પછી તેને ટેસ્ટ શ્રેણીમાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ સામે આવ્યા હતા કે સતત મુસાફરી કરવાને કારણે ઇશાન માનસિક રીતે થાકી ગયો છે. આ પછી તેણે બ્રેક લીધો હતો.
રાહુલ દ્રવિડે એક્શનની વાતને ખોટી ગણાવી
અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાં જ્યારે ઇશાનની પસંદગી કરવામાં આવી ન હતી ત્યારે બધા ચોંકી ગયા હતા. ટીમ મેનેજમેન્ટે તેના પરથી વિશ્વાસ ગુમાવી દીધો હોવાનું બહાર આવ્યું હતુ. મેનેજમેન્ટ એ વાતથી નારાજ હતું કે માનસિક થાકને કારણે બ્રેક લીધા બાદ તે દુબઈમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો. તેની સામે શિસ્તભંગના પગલાં લેવાની ચર્ચા ચાલી હતી. જોકે કોચ રાહુલ દ્રવિડે આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ઇશાન રણજી રમશે ત્યારે તેની પસંદગી કરવામાં આવશે.
ઈશાને રાહુલ દ્રવિડની વાત ન સાંભળી
ઇશાન કિશને એવું કર્યું ન હતું. તે રણજી ટ્રોફીમાં રમ્યો ન હતો. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે પસંદ કરાયેલી ટીમમાં ધ્રુવ જુરેલની તેના સ્થાને પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ બે ટેસ્ટમાં કે.એસ.ભરતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. રાહુલ દ્રવિડને જ્યારે ફરીથી ઈશાન વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે જૂની વાત દોહરાવી. તેમણે કહ્યું કે કિશને વાપસી કરવા માટે ક્રિકેટ રમવું પડશે.
આ પણ વાંચો - ભારતીય ટીમને ફટકો, વિરાટ કોહલી ત્રીજી અને ચોથી ટેસ્ટમાં પણ નહીં રહે : રિપોર્ટ
જીતેશ શર્માને પ્લેઇંગ ઇલેવનમાં તક મળવાથી ઇશાન કિશન નારાજ હતો
આગામી 3 ટેસ્ટ માટે ભારતીય ટીમની પસંદગી પહેલા રેવ સ્પોર્ટ્સે જાણકારી આપી છે કે જીતેશ શર્માને પ્લેઈંગ 11 માં તક મળવાથી ઈશાન કિશન નારાજ હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે જ્યાં સુધી કિશનની વાત છે તો ભારતે સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં જીતેશ શર્માને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કર્યો ત્યારે તે નાખુશ હતો. કારણે તેને ફરી એકવાર બેન્ચ બેસી રહેવું પડ્યું હતું.
શું ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટમાં પસંદગી થશે?
કિશન વન-ડે વર્લ્ડ કપમાં 11માંથી માત્ર બે જ મેચ રમ્યો હતો. આ પછી ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીની શરુઆતની 3 મેચમાં તેણે 58, 52 અને 0 રન ફટકાર્યા હતા. તે અંતિમ ટી-20 મેચ રમ્યો ન હતો. ઇશાન કિશનને વર્લ્ડ કપની સતત યાત્રા અને દબાણથી માનસિક અને શારીરિક થાક હતો. તેને આશા હતી કે તેને સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં તક મળશે પણ તેમ થયું ન હતું. જિતેશ શર્માને પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું હતું. ઇંગ્લેન્ડ સામેની અંતિમ 3 ટેસ્ટમાં પણ ઇશાનને ભાગ્યે જ તક મળે તેવી સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us