ભારત વિ ન્યૂઝીલેન્ડ : બીજી ટેસ્ટમાં કોને મળશે તક, કોણ રહેશે બહાર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

India vs New Zealand 2nd Test : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 24 ઓક્ટોબરથી પૂણેમાં બીજી ટેસ્ટ રમાશે. ટીમ ઈન્ડિયા પૂણે ટેસ્ટમાં વિજય મેળવીને ટેસ્ટ શ્રેણીમાં પુનરાગમન કરવા માટે આતુર છે

Written by Ashish Goyal
October 23, 2024 17:24 IST
ભારત વિ ન્યૂઝીલેન્ડ : બીજી ટેસ્ટમાં કોને મળશે તક, કોણ રહેશે બહાર, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન
Ind vs NZ 2nd Test : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 24 ઓક્ટોબરથી પૂણેમાં બીજી ટેસ્ટ રમાશે (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)

India vs New Zealand 2nd Test, Ind vs NZ Playing 11 : ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઘણા ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન છતાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા પૂણે ટેસ્ટમાં વિજય મેળવીને ટેસ્ટ શ્રેણીમાં પુનરાગમન કરવા માટે બેતાબ છે.

પ્રથમ ટેસ્ટમાં જીત બાદ કિવી ટીમ પણ ખુબ જ ઉત્સાહિત છે અને તેમની નજર પણ જીત તરફ રહેશે, આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવનની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી પડશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 24 ઓક્ટોબરથી પૂણેમાં બીજી ટેસ્ટ રમાશે.

સરફરાઝ ખાન અથવા કેએલ રાહુલ

શુભમન ગિલ સ્વસ્થ થઈ ગયો છે અને બીજી ટેસ્ટ મેચમાં તે ત્રીજા નંબર પર રમતો જોવા મળશે. તે જ સમયે કેપ્ટન રોહિત શર્મા અને કોચ ગૌતમ ગંભીરે સંકેત આપ્યા છે કે કેએલ રાહુલ બીજી ટેસ્ટમાં રમશે. આ સ્થિતિમાં શું સરફરાઝ ખાનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે તે એક મોટો પ્રશ્ન છે. પ્રથમ ટેસ્ટમાં સરફરાઝે 150 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને તે ફોર્મમાં છે.

આવી સ્થિતિમાં આ ખેલાડીને મહત્વની મેચમાં બેન્ચ પર બેસાડવાનો નિર્ણય ભાગ્યે જ સાચો ગણાશે. જોકે તે કયા સ્થાને રમશે તે પણ ટીમ મેનેજમેન્ટ માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે. હવે એ જોવાનું રહેશે કે કેએલ રાહુલને બેસાડીને સરફરાઝને તક મળે છે કે પછી સરફરાઝને પ્લેઈંગ ઈલેવનમાંથી પડતો મુકવામાં આવે છે.

આ પણ વાંચો – આ ખેલાડીએ 103 બોલમાં સૌથી ફાસ્ટેસ્ટ બેવડી સદી ફટકારી, 27 ફોર, 7 સિક્સર ફટકારી

વોશિંગ્ટન સુંદરને મળશે તક?

બીજી ટેસ્ટ મેચ પહેલા જ સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તો શું તે બીજી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકે છે તે જોવું રહ્યું, પરંતુ તેના સ્થાને કોને બહાર કરી શકાય તે મોટો સવાલ છે. આર અશ્વિન અત્યારે સારી લયમાં છે અને જો તે શાનદાર બેટિંગ કરે તો તેને ટીમમાંથી બહાર કાઢવો શક્ય નથી.

રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો તેનું પ્રદર્શન આજકાલ નિરાશાજનક રહ્યું છે. ન્યૂઝીલેન્ડની બેટિંગ જોયા બાદ સુંદરને ટીમમાં લાવવામાં આવ્યો છે, તેથી જાડેજાની જગ્યાએ સુંદરને તક મળી શકે છે તેવી શક્યતા પણ વ્યક્ત થઇ શકે છે.

બીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ/સરફરાઝ ખાન, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા/ વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ.

બીજી ટેસ્ટ માટે ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ બ્લન્ડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, એજાઝ પટેલ, વિલિયમ ઓરોર્કે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ