India vs West Indies 2023 : ભારતીય ક્રિકેટ ટીમ આજથી (12 જુલાઈ)ડોમિનિયામાં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ મેચની પૂર્વસંધ્યાએ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનની તસવીરને અમુક અંશે ક્લિયર કરી દીધી છે. કેપ્ટન રોહિતે યશસ્વી જયસ્વાલના ટેસ્ટ ડેબ્યૂની પુષ્ટિ કરી છે અને એ પણ જણાવી દીધું છે કે શુભમન ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરશે.
યશસ્વી જયસ્વાલ કરશે ઓપનિંગ
મીડિયા રિપોર્ટ અનુસાર રોહિત શર્માએ પુષ્ટિ કરી છે કે યશસ્વી જયસ્વાલ તેની સાથે ઈનિંગ્સની શરૂઆત કરશે. આ ઉપરાંત રોહિતે બોલિંગ વિભાગની તસવીર પણ ક્લિયર કરી દીધી છે. રોહિતે કહ્યું છે કે ભારતીય ટીમ બે સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલર સાથે જશે. જોકે ઇશાન કિશન અને કેએસ ભરતમાંથી વિકેટકિપર તરીકે કોની પસંદગી થશે તેની માહિતી હજુ સામે આવી નથી.
આ પણ વાંચો – વેસ્ટ ઇન્ડીઝમાં વિરાટ કોહલીના નિશાને આ ત્રણ મોટા રેકોર્ડ રહેશે, ઘણા દિગ્ગજોને પાછળ છોડવાની તક
ગાયકવાડે બેન્ચ પર બેસવું પડશે
પત્રકાર વિમલ કુમારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વાતની પુષ્ટિ કરી છે કે તેણે રોહિત શર્મા સાથેની વાતચીતમાં પ્લેઇંગ ઇલેવન વિશે જાણકારી માંગી તો રોહિત શર્માએ પુષ્ટિ કરી હતી કે યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ડેબ્યૂ કરશે અને ઇનિંગ્સની શરૂઆત પણ કરશે. આવી સ્થિતિમાં રુતુરાજ ગાયકવાડે બેન્ચ પર બેસવું પડશે. રોહિતે કહ્યું છે કે શુભમન ગિલ પોતે નંબર 3 પર રમવા માંગે છે. રોહિતે કહ્યું છે કે ગિલે રાહુલ દ્રવિડ સાથે ચર્ચા કરી હતી કે તે મોટાભાગનું ક્રિકેટ નંબર 3 અને 4 પર રમ્યો છે, તેથી તે નંબર 3 પર બેટિંગ કરશે.
બોલિંગ આક્રમક કેવું રહેશે?
અશ્વિન અને જાડેજા પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિનરો તરીકે રમતાં જોવા મળશે. આ સાથે જ ફાસ્ટ બોલરમાં સિરાજ અને શાર્દુલનું રમવું નિશ્ચિત છે. ત્રીજો ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને મુકેશમાંથી કોઇ એક હશે. જો મુકેશ કુમારની પસંદગી થશે તો તે તેનું પણ ટેસ્ટ ડેબ્યૂ હશે. મુકેશ કુમારની પ્રથમ વખત ટીમ ઇન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે.