IPL 2024 Final : કોલકાતા નાઇટ રાઇડર્સ ત્રીજી વખત આઈપીએલ ચેમ્પિયન બન્યું છે. તેણે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે આ પહેલા 2012 અને 2014માં આઇપીએલ ટ્રોફી જીતી હતી. સૌથી વધુ વખત આઇપીએલ ચેમ્પિયન બનવાની વાત કરીએ તો આ રેકોર્ડ સંયુક્ત રીતે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સના નામે છે. બંને ટીમો 5-5 વખત આઇપીએલ ચેમ્પિયન બની ચૂકી છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગએ ભારતની ઘરેલુ, વાર્ષિક ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ છે. તેનું આયોજન ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના નેજા હેઠળ આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. આ સૌથી વધુ જોવાતી ટી-20 ટૂર્નામેન્ટ છે. એટલું જ નહીં તે વૈશ્વિક સ્તરે સૌથી વધુ ઇનામી રકમ ચૂકવતી લીગમાં બીજા ક્રમે છે.
ચેમ્પિયન બનનારી ટીમના માલિક પાસે આઈપીએલની ટ્રોફી હોય છે?
આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોના મનમાં એ સવાલ ઉઠે છે કે ચેમ્પિયન બનનારી ટીમને જે ટ્રોફી આપવામાં આવે છે તેની કેટલી કિંમત હોય છે ? શું તે દર વર્ષે નવી બનાવવામાં આવે છે કે જૂની જ આપવામાં આવે છે? શું ટાઈટલ જીતનારી ટીમ તેને કાયમ માટે રાખી શકે છે અથવા ફક્ત 1 વર્ષ અથવા તેઓ ચેમ્પિયન બને ત્યાં સુધી? શું તે ટીમના માલિક પાસે રહેશે કે કેપ્ટન પાસે રહે છે? આ લેખમાં આપણે આ બધા સવાલોના જવાબ જાણીશું.
આઈપીએલ ટ્રોફીની કિંમતને લઈને કોઈ જાહેરાત નહીં
બીસીસીઆઈ દ્વારા આઈપીએલ ટ્રોફીની કિંમતને લઈને હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. માત્ર જણાવવામાં આવ્યું છે કે ટ્રોફી સોનાની બનેલી છે. જો આખી ટ્રોફી સોનાની બનેલી હશે તો તેની કિંમત કરોડો રૂપિયા હશે. કેટલાક મીડિયા રિપોર્ટ અને ઘણા નિષ્ણાતોએ આઇપીએલ ટ્રોફીની કિંમત આશરે 7 થી 7.5 કરોડ હોવાનો અંદાજ મૂક્યો છે. જોકે gujarati.indianexpress.com આ વાતની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો – આઈપીએલ 2024 રેકોર્ડ : કોણે બનાવ્યા સૌથી વધારે રન, કોણે ફટકારી સૌથી ઝડપી સદી, જાણો આ સિઝનના રેકોર્ડ
જ્યાં સુધી દર વર્ષે નવી ટ્રોફી બનાવવાની વાત છે તો પ્રારંભિક ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા જીતેલી નવીનતમ ટ્રોફીઓ અલગ છે. 2008થી 2010 સુધી દર વર્ષે ટ્રોફીનો આકાર બદલાતો રહેતો હતો, પરંતુ બીસીસીઆઇએ 2011થી તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. તે વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ બીજી વખત ચેમ્પિયન બની હતી.
દરેક વખતે ટ્રોફીમાં એક વધારાનું સ્ટીકર ઉમેરવામાં આવે છે
જો તમે ધ્યાનથી જોયું હોય તો દરેક ફાઇનલ બાદ ટ્રોફીમાં ચેમ્પિયનના નામનું મેટલ સ્ટીકર મુકવામાં આવે છે. આ ટ્રોફી પોડિયમ પર વિજેતાઓને આપવામાં આવે છે. જોકે ત્યાર બાદ તેને લઈ લેવામાં આવે છે અને વિજેતા ફ્રેન્ચાઈઝીને તેની પ્રતિકૃતિ આપવામાં આવે છે. એટલે કે આઇપીએલની ઓરિજિનલ ટ્રોફી બીસીસીઆઇ પાસે છે. આનો અર્થ એ છે કે પ્રારંભિક ટ્રોફી અને નવી ટ્રોફી બીસીસીઆઈ પાસે છે. એવું માનવામાં આવે છે કે બીસીસીઆઈ ત્યાં સુધી કોઈ નવી ટ્રોફી બનાવશે નહીં જ્યાં સુધી તેની પાસે નવી ડિઝાઇન ન હોય અથવા વધુ નામો ઉમેરવા માટે જગ્યા બાકી ન હોય.
આઈપીએલ ટ્રોફી વિજેતા ટીમના કેપ્ટનને સોંપવામાં આવે છે
સામાન્ય રીતે આઇપીએલમાં જીતના પ્રતીક તરીકે ટ્રોફી ટીમના કેપ્ટનને સોંપવામાં આવે છે. સામાન્ય રીતે ટીમના કેપ્ટનને ટીમ અને ફ્રેન્ચાઈઝીના માલિકો વતી ટ્રોફી મળતી હોય છે. મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં ટીમના કેપ્ટન અને ખેલાડીઓ અવારનવાર ટ્રોફી સાથે ઉજવણી કરતા હોય છે. આ ટ્રોફી માત્ર ટીમના માલિક કે કેપ્ટનને બદલે ટીમની સામૂહિક સિદ્ધિનું પ્રતીક છે. ટ્રોફી કેપ્ટન પાસે રહેતી નથી. આ ટ્રોફી ફ્રેન્ચાઇઝી (ટીમના મુખ્યાલયમાં) પાસે રહે છે.





