IPL Flashback PBKS vs MI: આઈપીએલ 2024ની 33મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 18 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ મુલ્લાનપુર, મોહાલી, સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઇન્ડિયન્સ આ સિઝનમાં 6 મેચ રમ્યું છે. જેમાં 2 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબ કિંગ્સનો 6 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળે છે.
મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં મુંબઈ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચો રમાઇ છે. જેમાં 16 મેચમાં મુંબઈનો વિજય થયો છે અને 15 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર8 7 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 230 અને લોએસ્ટ સ્કોર 119 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી. જેમાં બન્નેનો 1-1માં વિજય થયો હતો.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2024 : હાર્દિક પંડ્યા પર લટકતી તલવાર, આ શરતે જ રમી શકશે વર્લ્ડ કપ
હોમગ્રાઉન્ડમાં મુંબઈ અને પંજાબનો રેકોર્ડ
મુંબઈ ઇન્ડિયન્સના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને વચ્ચે 10 મેચ રમાઇ છે, જેમાં મુંબઈનો 5 મેચમાં વિજય થયો છે અને પંજાબનો 5 મેચમાં વિજય થયો છે. બીજી તરફ પંજાબના હોમગ્રાઉન્ડ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 9 મેચ રમાઇ છે, જેમાં 4 મેચમાં પંજાબનો અને 5 મેચમાં મુંબઈનો વિજય થયો છે.
MI vs PBKS : મુલ્લાનપુર સ્ટેડિયમ પીચ રિપોર્ટ
ચંદીગઢના મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમની પીચ ભારતની સૌથી ઝડપી પીચોમાંની એક છે. તે વધારાની બાઉન્સ આપે છે. આનો ફાયદો ઝડપી બોલરોને મળે છે. તેના માટે વિકેટ લેવી સરળ છે. આ જ કારણ છે કે આ પીચ પર બેટ્સમેનોને ઘણી વાર મુશ્કેલી પડે છે, ખાસ કરીને નવા બોલનો સામનો કરતી વખતે. આ સિવાય ઝાકળ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણોસર, જે કેપ્ટન ટોસ જીતે છે તે સામાન્ય રીતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે.