IPL 2024 : આઇપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થશે. આ પહેલા સૂર્યકુમાર યાદવની ઈજા મુંબઈ ઈન્ડિયન્સ માટે ચિંતાનો વિષય છે. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર તુટેલા દિલની ઇમોજી મુકી છે. એવા અહેવાલો છે કે મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ મેચમાં સૂર્યકુમાર યાદવની સેવાઓ મેળવી શકશે નહીં. તેને નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી હરી ઝંડી મળી નથી. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ આ સિઝનની પ્રથમ મેચ 24 માર્ચ, રવિવારે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ સામે રમશે.
સૂર્યકુમાર યાદવને એનસીએ તરફથી મંજૂરી મળી નથી
સૂર્યકુમાર હાલમાં પગની ઘૂંટીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. ડિસેમ્બર 2023 બાદ તે કોઈ પણ પ્રકારનું ક્રિકેટ રમ્યો નથી. તે છેલ્લે સાઉથ આફ્રિકા સામે જોહાનિસબર્ગમાં ટી-20 મેચ રમ્યો હતો, જ્યાં તેણે શાનદાર સદી ફટકારી હતી. જાન્યુઆરીમાં તેની કમરની સર્જરી કરવામાં આવી હતી. તેણે આ અપડેટ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી. હવે ક્રિકબઝના રિપોર્ટ અનુસાર સૂર્યકુમાર યાદવને એનસીએ તરફથી મંજૂરી મળી નથી. 21 માર્ચે તેનો બીજો ફિટનેસ ટેસ્ટ થશે.
આ પણ વાંચો – ઠોકો તાલી : નવજોત સિંહ સિદ્ધુ લોકસભા ચૂંટણી વચ્ચે આઈપીએલ 2024માં કોમેન્ટ્રી કરશે
સૂર્યકુમાર છેલ્લી 6 સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સનો સભ્ય
સૂર્યકુમાર યાદવ છેલ્લી 6 સિઝનથી મુંબઈ ઈન્ડિયન્સ સેટઅપના મહત્વના સભ્ય છે. મુંબઈ ઈન્ડિયન્સનું ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે તે શક્ય તેટલી વહેલી તકે ફિટ થઈ જાય. સિઝનની પ્રથમ મેચ ઉપરાંત સૂર્યકુમાર અમદાવાદ જતા પહેલા પોતાની ટીમની બંને પ્રેક્ટિસ મેચ પણ રમવાનો નથી. આ દરમિયાન તેણે આવું સ્ટેટસ લગાવ્યું છે.
સૂર્યકુમાર યાદવની ટી-20 કારકિર્દી
મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ માર્ક બાઉચરે સૂર્યકુમારની ઈજા અંગે અપડેટ આપી હતી. જોકે તેમણે એ વાતનો ખુલાસો કર્યો નથી કે સૂર્યકુમારને બીસીસીઆઇના મેડિકલ સ્ટાફ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે કે નહીં. અત્યાર સુધી 270 ટી-20 મેચમાં સૂર્યકુમારે 35.55ની એવરેજ અને 152.09ની સ્ટ્રાઇક રેટથી 6969 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 46 અડધી સદી સામેલ છે.