Rishabh Pant : ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ઋષભ પંત ડિસેમ્બર 2022માં કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં તેનો બચાવ થયો હતો. એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ ઋષભ પંત હજુ પણ મેદાનથી દૂર છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (આઈપીએલ 2024) થી મેદાનમાં પરત ફરશે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે અપડેટ આપી છે કે તે આઈપીએલ 2024માં રમશે કે નહીં?
રિકી પોન્ટિંગે દિલ્હી કેપિટલ્સ અને ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આપ્યા છે. પોન્ટિંગે કહ્યું કે ઋષભ પંતને આ વર્ષે સંપૂર્ણ આઈપીએલમાં રમવાનો વિશ્વાસ છે. જોકે પંત વિકેટકીપિંગ અને કેપ્ટનશિપ કરશે તે નક્કી નથી. ગત વર્ષે ડેવિડ વોર્નરની કેપ્ટનશિપમાં દિલ્હીનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. આઇપીએલ 2023માં 14માંથી માત્ર 5 મેચ જીતી શકી હતી.
આ પણ વાંચો – રાજ લિંબાણી : અંડર-19 વર્લ્ડ કપમાં ચમકી રહ્યો છે કચ્છના રણનો સ્વિંગ બોલર
રિકી પોન્ટિંગે શું કહ્યું?
રિકી પોન્ટિંગે કહ્યું તે ઋષભને વિશ્વાસ છે કે તે રમવા માટે ફિટ થઈ જશે. કઈ ક્ષમતામાં હજુ તેના વિશે નિશ્ચિત નથી. તમે બધાએ સોશિયલ મીડિયા પર વીડિયો જોયા હશે. તે સારી રીતે દોડી રહ્યો છે, પરંતુ અમે પ્રથમ મેચથી માત્ર છ અઠવાડિયા દૂર છીએ. તેથી અમને ખાતરી નથી કે તે આ વર્ષે વિકેટકીપિંગ કરશે કે નહીં. હું ખાતરી આપું છું કે જો હું તેને હમણાં જ પૂછીશ તો તે કહેશે કે તે દરેક મેચ રમશે, કીપિંગ કરશે અને હું નંબર 4 પર બેટિંગ કરીશ. તે આવા જ સ્વભાવનો છે.
અમે આશા રાખીએ છીએ કે ઋષભ પંત ઉપલબ્ધ રહેશે
રિકી પોન્ટિંગે વધુમાં જણાવ્યું હતું કે તે એક ડાયનમિક ખેલાડી છે. તે સ્પષ્ટ રુપે અમારો કેપ્ટન છે. ગયા વર્ષે અમને તેને ખોટ પડી હતી. જો તમે તેની છેલ્લા 12-13 મહિનાની સફર વિશે વિચારો છો તો તે એક ભયાનક ઘટના હતી. હું જાણું છું કે તે પોતાની જાતને નસીબદાર માને છે કે તે બચી ગયો છે, ફરીથી ક્રિકેટ રમવાની તકની તો વાત જ જવા દો. અમે આશા રાખીએ છીએ કે તે ઉપલબ્ધ રહેશે. જો તે દરેક મેચ ન રમે તો પણ અમે ઇચ્છીએ છીએ કે તે ઓછામાં ઓછી 10 મેચ રમે. પોન્ટિંગે કહ્યું કે જો પંત કેપ્ટન્સી માટે તૈયાર નહીં થાય તો ડેવિડ વોર્નર કેપ્ટન્સી કરશે.





