IPL Playoffs Venue 2025, IPL Final Venue, Narendra Modi Stadium Ahmedabad: આઇપીએલ 2025ની ફાઇનલ મેચ 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઇની 20 મે ને મંગળવારે મળેલી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે અમદાવાદ આઈપીએલ 2025ની ક્વોલિફાયર-2 મેચ અને ગ્રાન્ડ ફાઇનલનું આયોજન કરશે. જ્યારે પ્રથમ ક્વોલિફાયર મેચ અને એલિમિનેટર મેચ ન્યૂ ચંદીગઢના પીસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. બીસીસીઆઈ માટે આ સ્થળોની પસંદગી કરવામાં મુખ્ય વિચારણા હવામાનની સ્થિતિ હતી, કારણ કે વરસાદની મોસમ ધીમે ધીમે દેશમાં આવી રહી છે.
120 મિનિટનો વધારાનો વેઇટિંગ પિરિયડ રહેશે
આઈપીએલ 2025ની મેચો માટે નિર્ધારિત વધારાનો સમય એક કલાક વધારી દીધો છે. મંગળવાર (20 મે)થી આઇપીએલની તમામ મેચો માટે 120 મિનિટનો વધારાનો વેઇટિંગ પિરિયડ રહેશે. અગાઉ આ સમયગાળો માત્ર એક કલાકનો જ હતો અને બીસીસીઆઇએ તત્કાળ અસરથી પ્લેઈંગ કન્ડિશન (કલમ 13.7.3)માં થયેલા ફેરફારનો અમલ કર્યો છે. આ નિર્ણય બાદ 5 ઓવરની મેચનો કટઓફ ટાઈમ ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 વાગ્યાને બદલે રાત્રે 11.30 વાગ્યાનો થઈ જશે.આ નિયમ ફક્ત આઈપીએલ 2025 સુધી જ રહેશે.
આરસીબી અને હૈદરાબાદ વચ્ચેની મેચનું સ્થળ બદલાયું
દક્ષિણ ભારતમાં વરસાદને કારણે બીસીસીઆઇની એક મેચનું સ્થળ બદલવું પડ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 23 મેના રોજ રમાનારી મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમને બદલે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. બેંગલુરુમાં યલો એલર્ટ જાહેર થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો – દિગ્વેશ રાઠીને લખનઉએ 30 લાખ રૂપિયામાં સાઇન કર્યો હતો, દંડ ભરવામાં જ 17 લાખ રૂપિયા જતા રહ્યા !
ગુજરાત ટાઇટન્સ ટોચના સ્થાને
આઇપીએલના પોઇન્ટ ટેબલની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ 12 મેચમાં 9 મેચ જીતીને 18 પોઇન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે. આરસીબીએ 12માંથી 8 મેચ જીતી છે અને તે 17 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. આ સાથે જ પંજાબે પણ શાનદાર રમત બતાવી છે અને 17 અંક સાથે ત્રીજા નંબર પર યથાવત છે. ચોથા સ્થાન માટે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 21મીએ મુંબઈના વાનખેડે ખાતે રમાવાની છે.