IPL : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2008માં મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચ દરમિયાન હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી હતી. ફરી એકવાર આ ઘટના ચર્ચામાં છે. આઇપીએલના પ્રથમ કમિશનર લલિત મોદીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક સાથે પોડકાસ્ટ પર આ વિવાદાસ્પદ ફૂટેજ જાહેર કર્યા હતા.
આ ઘટનાના થોડા મહિના પહેલા હરભજન ઓસ્ટ્રેલિયામાં એન્ડ્ર્યૂ સાયમંડ્સ સાથે મંકીગેટ કાંડના કારણે વિવાદમાં સપડાયો હતો. હરભજને થપ્પડ મારતા શ્રીસંતે આઈપીએલની પહેલી સિઝનને હચમચાવી દીધી હતી. તેનાથી હરભજનની પ્રોફેશનલ કારકિર્દી પર એક ડાઘ પડી ગયો હતો, જે ક્યારેય ભરી શકાય તેમ નથી. ત્યારબાદ તે સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની બાકીની 11 મેચો માટે હરભજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીસીસીઆઇએ તેના પર પાંચ વન ડેનો પ્રતિબંધ મૂક્યો હતો.
લલિત મોદીએ જણાવ્યું શું થયું હતું?
માઇકલ ક્લાર્કના પોડકાસ્ટ પર લલિત મોદીએ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેમણે હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે થયેલા વિવાદના વિવાદિત વીડિયો ક્લિપ 17 વર્ષ સુધી છુપાવી રાખી હતી. મોદીએ ક્લાર્કને કહ્યું કે શું થયું તે હું તમને કહું છું. હું તમને વીડિયો આપીશ. મેં તેને સંભાળીને રાખ્યો છે. ભજ્જી મારો ખૂબ સારા મિત્ર છે. હું તેને ખૂબ જ પસંદ કરું છું. તે મેદાન પર બન્યું અને હું ત્યાં હતો. તે ભજ્જી અને શ્રીસંત હતા.
આ પણ વાંચો – વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરનું ડેબ્યૂ, પિતા જેવી આક્રમક રમત બતાવી, જુઓ VIDEO
તેમણે કહ્યું કે રમત પૂરી થઈ ગઈ હતી અને કેમેરા બંધ થઈ ગયા હતા. મારો એક જ સિક્યોરિટી કેમેરો ચાલુ હતો. જેવી ટીમોએ રમવાનું બંધ કર્યું કે તરત જ ખેલાડીઓ હાથ મિલાવીને એકબીજા સાથે હાઈ-ફાઈવ કરી રહ્યા હતા. જ્યારે શ્રીસંત અને ભજ્જીની વાત આવી ત્યારે હરભજને તેને કહ્યું કે અહીં આવો, અને એક ઉંઘા હાથે થપ્પડ મારી હતી.
શ્રીસંત પર ગુસ્સે કેમ થયો હરભજન?
25 એપ્રિલ, 2008ના રોજ મોહાલીમાં મુંબઈ ઈન્ડિયન્સનો પંજાબ સામે 66 રનથી પરાજય થયા પછી હરભજન-શ્રીસંતની થપ્પડની ઘટના બની હતી. મેચ બાદ બંને ટીમો હાથ મિલાવી રહી હતી. બાદમાં ખુલાસો થયો હતો કે તે કારમી હાર બાદ શ્રીસંતની હસી-મજાક અને કોમેન્ટ કરવાથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હરભજન ગુસ્સે ભરાયો હતો. શ્રીસંતે કહ્યું હતું કે”હાર્ડ લક. હાલમાં જ રિલીઝ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હરભજન શ્રીસંતને ઊંધા હાથે થપ્પડ મારી રહ્યો છે.
સાથી ખેલાડીઓએ વચ્ચે પડી શાંત કર્યા હતા
શ્રીસંતને પણ હરભજન તરફ આગળ વધતા જોઇ શકાય છે. હરભજન પણ તેની તરફ આગળ વધે છે. ઝપાઝપી થઇ ગઇ હોત ણ શ્રીસંતના સાથી ખેલાડીઓ ઇરફાન પઠાણ અને મહેલા જયવર્દનેએ વચ્ચે પડીને તેને એક તરફ ખેંચી લીધો હતો. ત્યારબાદ પઠાણ હરભજનને પાછળ લઈ જતા જોઇ શકાય છે. હરભજન મેદાનની બહાર મળવાનો ઇશારો કરતો જોઇ શકાય છે.
હરભજનને આજીવન પ્રતિબંધથી બચાવ્યો
લલિત મોદીએ એમ પણ કહ્યું હતું કે તેણે હરભજનને આજીવન પ્રતિબંધથી બચાવ્યો હતો. અધિકારીઓનો એક વર્ગ પણ ઈચ્છતો હતો કે આ દિગ્ગજ ઓફ સ્પિનર પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે. તેમણે કહ્યું કે મેં તે બંનેને બેસાડ્યા અને મીટિંગમાં જ ભજ્જીને સજા આપવી પડી અને મેં તેને આઠ મેચની સજા આપી હતી. તેને આઠ મેચનું સસ્પેન્શન મળ્યું હતું અને કેટલાક લોકો તો આજીવન સસ્પેન્શનની માગણી પણ કરી રહ્યા હતા.