/indian-express-gujarati/media/media_files/2026/01/01/lionel-messi-ronaldo-ms-dhoni-2026-01-01-21-17-14.jpg)
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, એમએસ ધોની, હરમનપ્રીત કૌર, લિયોનેલ મેસ્સી Photograph: (સોશિયલ મીડિયા)
Sports News : વર્ષ 2025માં ક્રિકેટ જગતના ઘણા સ્ટાર્સે નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે વર્ષ 2026નો સમય આવી ગયો છે, આ વર્ષે ઘણા ખેલાડીઓ છે જે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. માત્ર ક્રિકેટ જ નહીં, ફૂટબોલ અને ટેનિસ જગતના કેટલાક દિગ્ગજ ખેલાડીઓ પણ આ વર્ષે નિવૃત્તિ લઈ શકે છે. ચાલો જોઈએ વર્ષ 2026માં કયા ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ તાજેતરમાં જ ઈશારો કર્યો હતો કે તે ફિફા વર્લ્ડ કપ 2026 બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ વર્ષે રોનાલ્ડોનો છઠ્ઠો ફિફા વર્લ્ડ કપ બનવા જઈ રહ્યો છે. તેણે કારકિર્દીમાં 950થી વધુ ગોલ કર્યા છે. 40 વર્ષીય દિગ્ગજ ફૂટબોલર 12 જુનથી 19મી જુલાઈ દરમિયાન યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લઈ શકે છે.
લિયોનેલ મેસ્સી
ફિફા વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટીનાને ચેમ્પિયન બનાવ્યા બાદ લિયોનેલ મેસ્સી વર્ષ 2026માં તેનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ રમી શકે છે. 38 વર્ષીય મેસીના નામે 750થી વધુ ગોલ છે. તેણે તેના તાજેતરના ઘણા નિવેદનો સાથે સંકેત પણ આપ્યો છે કે તે સંભવતઃ ફિફા વર્લ્ડ કપ 2026 રમશે નહીં. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે તે સ્ટેન્ડમાં અથવા ટીમ સાથે રહેશે, પરંતુ તે ચોક્કસપણે ત્યાં રહેશે.
એમએસ ધોની
ભારતીય ક્રિકેટ માટે સૌથી ભાવનાત્મક ક્ષણ એ હશે જ્યારે એમએસ ધોની છેલ્લી વખત મેદાન પર બેટ સાથે ઉતરશે. ધોનીએ 2020માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધું હતું પણ તે આઈપીએલમાં રમે છે. હવે તે સીએસકેનો કેપ્ટન પણ નથી. વર્ષ 2026 તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. ફ્રેન્ચાઈઝીએ સંજુ સેમસન, આયુષ માત્રે અને ઋતુરાજ ગાયકવાડ માટે ભાવિ યોજનાઓ તૈયાર કરી દીધી છે. IPL 2026માં ધોની છેલ્લી વખત પીળી જર્સીમાં જોવા મળી શકે છે.
આ પણ વાંચો - ભારતીય ક્રિકેટ ટીમનો 2026નો કાર્યક્રમ
હરમનપ્રીત કૌર
વર્ષ 2025માં મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ હરમનપ્રીત કૌરની નજર હવે 2026માં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ પર રહેશે. હરમનપ્રીત કૌરે લગભગ 17 વર્ષ પહેલા માર્ચ 2009માં ડેબ્યૂ કર્યું હતું. હવે તે માર્ચ 2026 માં 37 વર્ષની થશે. ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતનું નેતૃત્વ કર્યા બાદ તે નિવૃત્તિ લઈ શકે છે. ત્યાર બાદ સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બની શકે છે.
નોવાક જોકોવિચ
24 ગ્રાન્ડ સ્લેમના વિજેતા અને લેજન્ડરી ટેનિસ ખેલાડી નોવાક યોકોવિચ છેલ્લા કેટલાક સમયથી તેની ફિટનેસ સામે સંઘર્ષ કરી રહ્યો છે. જોકોવિચની ઉંમર લગભગ 39 વર્ષ છે. જોકે તેણે ગત વર્ષે વિમ્બલ્ડન અગાઉ કહ્યું હતું કે તેની ભૂખ અકબંધ છે અને તે વધુ એક વર્ષ રમવા માગશે. વધતી ઉંમર અને ફિટનેસને કારણે યોકોવિચ 2026ની સિઝન બાદ નિવૃત્તિ લઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us