Pratika Rawal Cricket Journey : યુવા ભારતીય મહિલા ક્રિકેટર પ્રતિકા રાવલે રાજકોટમાં રમાયેલી આયર્લેન્ડ સામે પ્રથમ વન-ડેમાં 89 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. જેની મદદથી ભારતની મહિલા ટીમે આયર્લેન્ડની મહિલા ટીમ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. હાલમાં જ તેણે કહ્યું હતું કે મનોવિજ્ઞાનની વિદ્યાર્થિની હોવાને કારણે તેને અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઘણી મદદ મળી છે. મનોવિજ્ઞાનમાં ઊંડો રસ હોવાથી તેણે ધોરણ 9 થી આ વિષયનો અભ્યાસ શરૂ કર્યો, જેનાથી તેને રમતના માનસિક પાસાઓ સમજવામાં મદદ મળી હતી.
પ્રતિકા રાવલે વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું
પ્રતિકા રાવલે વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું અને તેની પ્રથમ ઇનિંગ્સમાં 40 રન બનાન્યા હતા. આ પછી બીજી વન-ડેમાં 76 રન બનાવ્યા હતા અને પાંચ ઓવરમાં 37 રન આપી 2 વિકેટ ઝડપી હતી. તેણે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેના શાનદાર દેખાવથી ભારતે શ્રેણી 3-0થી જીતી હતી. હાલમાં જ BCCI દ્વારા શેર કરાયેલ એક વીડિયોમાં પ્રતિકા રાવલે જાહેર કર્યું કે કેવી રીતે મનોવિજ્ઞાનનો અભ્યાસ તેને હંમેશા આકર્ષિત કરે છે અને તેની ક્રિકેટ કારકિર્દીને આકાર આપવામાં તેણે ભૂમિકા ભજવી છે.
મનોવિજ્ઞાનના અભ્યાસે રમતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી – પ્રતિકા રાવલ
પ્રતિકા માને છે કે મનોવિજ્ઞાનના અભ્યાસે તેના રમતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેણે કહ્યું કે મેચ પહેલા સકારાત્મક સ્વ-વાત અને માનસિક તૈયારી તેમને મેદાન પર આત્મવિશ્વાસ આપે છે. જ્યારે હું બેટિંગ કરું છું, ત્યારે હું મારી જાતને કહું છું, ‘તું શ્રેષ્ઠ છે, તું આ કરી શકે છે’. આ પ્રકારની ખાતરી જરૂરી છે.
પોતાના પરિવારના સમર્થન અને કોચ દીપ્તિ ધ્યાનીના માર્ગદર્શનને શ્રેય આપતા, પ્રતિકાએ રમતગમત અને શિક્ષણ વચ્ચે સંતુલન જાળવી રાખ્યું હતું. ધોરણ 12 માં તેણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અંડર-19 ક્રિકેટમાંથી વિરામ લીધો હતો. તેમના પરિવારે તેમને શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવા માટે પ્રોત્સાહિત કર્યા, જેના કારણે તે બંને ક્ષેત્રોમાં સફળ થઈ શકી.
આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ શ્રેણી કાર્યક્રમ, અમદાવાદ અને રાજકોટમાં આ તારીખે રમાશે મેચ
પ્રતિકાની કહાની એ વાતનો પુરાવો છે કે માનસિક તૈયારી અને આત્મવિશ્વાસ કોઈપણ ખેલાડીની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની યાત્રા રમતગમત અને શિક્ષણ વચ્ચે સંતુલન જાળવવા માંગતા બધા લોકો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે મનોવિજ્ઞાનનું જ્ઞાન રમતગમતમાં માનસિક મજબૂતાઈ અને પ્રદર્શનને કેવી રીતે વધારી શકે છે.
પ્રતિકા રાવલે 4 વન-ડેમાં 55.75ની એવેરજથી 223 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદી સામેલ છે. તેનો બેસ્ટ સ્કોર 89 રન છે.