IPL 2025: આરસીબીનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પહેલી આઈપીએલ ટ્રોફી જીતવાની ખુશીમાં ભાવુક દેખાયો હતો. બેંગ્લોરની જીત પર વિરાટ કોહલીએ કહ્યું કે મેં આ ટીમને પોતાનું બધું જ આપ્યું છે. આમાં મારી યંગ એજથી લઇને મારો સંપૂર્ણ અનુભવ શામેલ છે. વિરાટે કહ્યું કે ‘મારું હૃદય અને આત્મા બધું જ બેંગ્લોર માટે છે’.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મંગળવારે પંજાબ કિંગ્સને હરાવીને આઈપીએલ 2025ની ટ્રોફી જીતી લીધી છે. આ સાથે જ આઇપીએલને 8મો ચેમ્પિયન મળ્યો છે. બીજી તરફ પ્રથમ સિઝનથી જ લીગનો ભાગ રહેલી પંજાબ કિંગ્સ હજુ ટ્રોફીની રાહ જોવી પડશે. આરસીબીને ચોથી વખત ફાઇનલ રમવા પર સફળતા મળી છે. જ્યારે પંજાબ કિંગ્સ બીજી વખત ફાઈનલ રમી હતી અને રનર્સઅપ રહી હતી.
હવે ઇ સાલા કપ નામદે નહીં ઇ સાલા કપ નામદુ કહીએ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ ટાઇટલ જીતવાની સાથે જ ‘ ઇ સાલા કપ નામદે નહીં’નું સૂત્ર બદલીને ‘ઇ સાલા કપ નામદુ’ માં બદલી દીધું છે. કન્નડમાં ‘ઇ સાલા કપ નામદે’ નો અર્થ એ છે કે આ વર્ષે કપ અમારો હશે. ‘ઈ સાલા કપ નામદુ’ એટલે કે આ વર્ષનો કપ અમારો છે. 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમે જ્યારે વિમેન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું હતું ત્યારે કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ‘ઇ સાલા કપ નામદુ’નું સૂત્ર આપ્યું હતું.
રજત પાટીદારની કેપ્ટનશિપે કમાલ કરી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હંમેશાથી મોટા નામ ધરાવતા ખેલાડીઓની ફ્રેન્ચાઇઝી રહી છે. વિરાટ કોહલી ઉપરાંત એબી ડી વિલિયર્સ, ક્રિસ ગેલ, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓ ટીમનો ભાગ રહ્યા છે, પરંતુ રજત પાટીદારની કેપ્ટનશિપમાં સફળતા મળી છે. આરસીબીએ આઈપીએલ 2015 પહેલા મેગા હરાજીમાં વ્યૂહરચના બદલી હતી. મોટા નામો પાછળ ફ્રેન્ચાઇઝી ચાલી ન હતી. તેણે યુવા ખેલાડીઓ પર ભરોસો દર્શાવ્યો હતો. તેને તેની સ્પષ્ટ ભૂમિકા આપવામાં આવી હતી અને તેનું વળતર મળ્યું હતું.
313 દિવસમાં ત્રીજી ટ્રોફી
વ્હાઇટ બોલ ક્રિકેટમાં જો દિગ્ગજ ખેલાડીઓની વાત કરવામાં આવે તો સૌથી ઉપર વિરાટ કોહલીનું નામ લેવામાં આવશે. તેની કેબિનેટમાં વિશ્વની સૌથી લોકપ્રિય લીગની ટ્રોફીનો અભાવ હતો. હવે તે પણ તેને મળી ગઇ છે. કોહલી 313 દિવસમાં ત્રીજી વખત ટ્રોફી જીતનારી ટીમમાં સામેલ રહ્યો છે. ભારતીય ટીમે 2024માં જૂનના અંતમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ માર્ચ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો.