/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/rohit-sharma-1.jpg)
વન-ડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. બંનેએ 6-6 સદી છે (File)
World Cup 2023 : વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. બંનેએ 6-6 સદી ફટકારી છે. સચિન તેંડુલકરે 1992થી 2011 વચ્ચે 45 મેચમાં 6 સદી ફટકારી હતી. જ્યારે રોહિત શર્માએ 2015થી 2019ની વચ્ચે માત્ર 17 મેચોમાં 6 સદી ફટકારી છે. જેમાં 5 સદી 2019ના વર્લ્ડ કપમાં ફટકારી હતી. રોહિતે વર્લ્ડકપ 2019માં 9 મેચમાં 81.00ની એવરેજથી 648 રન બનાવ્યા હતા. તે સિઝનમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, પરંતુ તે હજુ પણ તે પ્રદર્શનથી નાખુશ છે. તેનું કારણ એ છે કે ભારત વર્લ્ડ કપ જીતી શક્યું ન હતું.
રોહિત શર્માએ પોતાની વર્લ્ડ કપની કેટલીક યાદોને યાદ કરતા કહ્યું કે તે 2019માં પોતાનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો હતો. પરંતુ તે પૂરતું ન હતું કારણ કે ભારત વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું હતું. હવે 2023માં ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. મેન ઈન બ્લુએ 2011માં છેલ્લી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ વખતે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ટૂર્નામેન્ટમાં ટ્રોફી જીતવા માંગશે.
આ પણ વાંચો - ભારતીય ક્રિકેટ ટીમે કોઇપણ ભોગે જીતવો પડશે વર્લ્ડ કપ, જય શાહનો રોહિત શર્મા એન્ડ કંપનીને સ્પષ્ટ સંદેશ
જો તમે ટ્રોફી ન જીતો, તો રનનું કોઈ મહત્વ નથી
આ પહેલા રોહિત શર્માએ 2019માં પોતાના શાનદાર પ્રદર્શનને યાદ કર્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એક ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં રોહિત શર્માએ કહ્યું કે 2019ના વર્લ્ડ કપમાં હું શ્રેષ્ઠ ક્રિકેટ રમ્યો હતો, રન બનાવ્યા હતા પરંતુ પછી મેં આ વાત ઘણી વખત કહી છે કે જો તમે ટ્રોફી નહીં જીતો તો આ રનથી કોઇ ફરક પડતો નથી. હું નિરાશ થઈ ગયો હતો કારણ કે એક ટીમ તરીકે અમે અમારી બધી જ તાકાત લગાવી દીધી હતી, પરંતુ વર્લ્ડ કપ અમે જીતી શક્યા ન હતા.
વર્લ્ડ કપ જીતવા માંગે છે રોહિત શર્મા
રોહિત શર્મા વર્ષ 2007થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે પરંતુ 2011ના વર્લ્ડ કપમાં તે ટીમનો ભાગ ન હતો. 36 વર્ષીય રોહિત શર્મા 2015 અને 2019માં વન-ડે વર્લ્ડકપ રમી ચૂક્યો છે. બંનેમાં ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચી હતી. રોહિત શર્મા આગામી વર્લ્ડ કપ જીતવા ઈચ્છશે, કારણ કે આ કદાચ તેનો આખરી વન-ડે વર્લ્ડ કપ હશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટનશિપ સાબિત કરવાની તક
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મુંબઇ ઇન્ડિયન્સને 5 ટાઇટલ અપાવનારો રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાની કેપ્ટનશીપ સાબિત કરવા ઇચ્છશે. તેમની કેપ્ટનશિપમાં ભારતનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. ભારત ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપ અને ઈંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારી ગયું હતું. રોહિત શર્માની કેપ્ટનશિપની ઘણી ટીકા થઈ રહી છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા માટે આગામી કેટલાક મહિના ખૂબ જ મહત્વના રહેવાના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us