Sara Tendulkar : ભારતના લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરનો સમાવેશ દેશના સૌથી ધનાઢ્ય ક્રિકેટરોમાં થાય છે. તેમને દેશમાં ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. સચિનના કારણે તેના પરિવારનું પણ આ ગેમ સાથે ખાસ કનેક્શન છે. તેમનો પુત્ર અર્જુન તેંડુલકર ક્રિકેટ રમે છે, જ્યારે તેમની પુત્રી સારાએ પણ ક્રિકેટની દુનિયામાં પગ મૂક્યો છે. સારા તેંડુલકરે ક્રિકેટ ટીમ ખરીદી છે.
સારા તેંડુલકરે ટીમ ખરીદી
સારા તેંડુલકરે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તેણે એક ક્રિકેટ ટીમ ખરીદી છે જે મુંબઈ સાથે સંકળાયેલી છે. સારાએ ગ્લોબલ ઈ-ક્રિકેટ પ્રીમિયર લીગમાં મુંબઈની ફ્રેન્ચાઈઝી ખરીદી લીધી છે. લીગે આ જાહેરાત કરી હતી. સારાએ પોતાની ટીમની માલિક બનવા પાછળનું કારણ પણ આપ્યું હતું.
મુંબઈ અને ક્રિકેટના પ્રેમ માટે આ નિર્ણય લીધો
સારા તેંડુલકરે કહ્યું કે ક્રિકેટ મારા અને મારા પરિવારનો મહત્વનો ભાગ છે. ઈ-સ્પોર્ટ્સમાં તેની ક્ષમતા ખૂબ જ રોમાંચક છે. મુંબઈની ફ્રેન્ચાઇઝીનું માલિક બનવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે, જ્યાં આ રમત અને આ શહેર પ્રત્યેનો મારો પ્રેમ એક સાથે આવશે. હું પ્રતિભાશાળી ટીમ સાથે મળીને ઉત્સાહિત છું. અમે આ ફ્રેન્ચાઇઝી એવી રીતે બનાવીશું કે જે એક સાથે લોકોને પ્રેરણા અને મનોરંજન આપે.
આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલ છોડશે મુંબઈનો સાથ, ઘરેલું ક્રિકેટમાં આ ટીમનો કેપ્ટન બનશે
જીઈપીએલના સીઈઓ અને લીગ કમિશનર રોહિત પોટફોડેએ જણાવ્યું હતું કે સારા તેંડુલકરનું મુંબઈની ફ્રેન્ચાઇઝીના માલિક ના રુપમાં સામેલ થવું જીઈપીએલ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. તેની જીવંત ઉપસ્થિતિ અને ચાહકો સાથે મજબૂત જોડાણ નિ:શંકપણે લીગના કદમાં વધારો કરશે.
સારા એસટીએફમાં ડાયરેક્ટર છે
સારા યુનિવર્સિટી કોલેજ, લંડનથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. થોડા સમય પહેલાં જ સારા તેંડુલકરને સચિન તેંડુલકર ફાઉન્ડેશન (એસટીએફ)માં ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ ફાઉન્ડેશન હેઠળ તે ગરીબ બાળકોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને રમત-ગમત સાથે જોડવાનું કામ કરે છે.





