/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/rohit-sharma-shubman-gill-.jpg)
રોહિત શર્મા અને શુભમન ગિલ(BCCI)
Shubman Gill: ભારતીય ક્રિકેટ ટીમના 24 વર્ષીય ઓપનર બેટ્સમેન શુભમન ગિલને તાજેતરમાં જ શ્રીલંકા પ્રવાસ માટેની વન ડે અને ટી-20માં ભારતના વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. શ્રીલંકા પ્રવાસ માટે ટી-20 ટીમના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે રોહિત શર્મા વન ડે અને ટેસ્ટમાં ટીમનું સુકાન સંભાળશે.
રેવસ્પોર્ટ્સના મતે શુભમન ગિલને બાંગ્લાદેશ સામેની આગામી ઘરેલું ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમનો વાઈસ કેપ્ટન પણ બનાવી શકાય છે. જો ગિલ ટેસ્ટનો વાઈસ કેપ્ટન બની જાય તો ભવિષ્યમાં તે એકસાથે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે તેવી શક્યતા છે.
ગિલ ત્રણેય ફોર્મેટમાં બની શકે છે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન
ભારતીય પસંદગીકારોએ ભવિષ્ય અંગે તેમની યોજના સ્પષ્ટ કરી દીધી હતી કારણ કે તેઓ ગિલને ભારતના ભાવિ કેપ્ટન તરીકે જુએ છે. રોહિત શર્મા 37 વર્ષનો છે અને તેની પાસે ક્રિકેટ રમવા માટે થોડા વર્ષો બાકી રહે તેવી શક્યતા છે. સૂર્યકુમાર યાદવ પણ 33 વર્ષનો છે, જેનો અર્થ એ થયો કે તે રમતમાંથી નિવૃત્તિ લેશે ત્યાં સુધીમાં ગિલ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને તેની પાસે આ ભૂમિકા નિભાવવા માટે પૂરતો અનુભવ હશે.
તાજેતરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન અજિત અગરકરે ગિલને ભારતના આગામી વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવા પાછળની પોતાની યોજનાનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શુભમન એક એવો ખેલાડી છે જેને આપણે ત્રણેય ફોર્મેટનો ખેલાડી માનીએ છીએ અને તેણે છેલ્લા એક વર્ષમાં ઘણા સારા ગુણો બતાવ્યા છે. તેથી અમે ઇચ્છતા હતા કે ટીમમાં કોઈ એવી વ્યક્તિ હોય જે ટીમના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ પાસેથી શીખી શકે.
આ પણ વાંચો - સંજૂ સેમસન અને શિવમનું કપાઇ શકે છે પત્તુ, પ્રથમ ટી-20માં સૂર્યકુમારની કેપ્ટનશિપમાં આવી હશે ભારતની ટીમ
વધુમાં કહ્યું કે સૂર્યા ટીમમાં છે અને રોહિત હજુ પણ ટીમમાં છે. અમે અચાનક નવા કેપ્ટનની શોધ કરવા માટે ફરીથી તે જ પડકારનો સામનો કરવા માંગતા નથી.
હું મારા પ્રદર્શનમાં સુધારો કરીશ - શુભમન ગિલ
આ દરમિયાન શ્રીલંકા અને ભારત વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલને તેના ટી-20 ફોર્મ અંગે પૂછવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે વ્યક્તિગત રીતે હું ટી 20 વર્લ્ડ કપ (2024) સુધી ટી 20 માં પોતાના પ્રદર્શનથી સંતુષ્ટ નથી. હું મારી અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી. આગળ અમારી પાસે આશરે 30-40 ટી-20 મેચો છે અને મને આશા છે કે અમે એક ટીમ તરીકેનો દેખાવ સુધારીશું અને એક ખેલાડી તરીકે હું તેમાં સુધારો કરી શકીશ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us