/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Indian-cricket-team.jpg)
બાર્બાડોસમાં તોફાનના કારણે ટીમ ઈન્ડિયા અટવાઈ ગઈ છે. (તસવીરઃ BCCI)
T20 World Cup 2024 : ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમ વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ફાઈનલ 29 જૂને હતી અને આજે 2 જુલાઈ છે છતા ટીમ ઇન્ડિયા પરત ફરી નથી. 140 કરોડ દેશવાસીઓ વર્લ્ડ ચેમ્પિયન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાની વાપસીને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતીય ટીમ મંગળવારે સાંજે (ભારતીય સમયાનુસાર 3 જુલાઈ 2024ની સવારે) ચાર્ટર પ્લેન દ્વારા સ્વદેશ રવાના થશે.
બાર્બાડોસના વડા પ્રધાન મિયા મોટલીએ જણાવ્યું હતું કે તેમને આછા છે કે આગામી 6 થી 12 કલાકમાં એરપોર્ટ કાર્યરત થઈ જશે. કેટેગરી 4ના ચક્રવાતના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. ભારતીય ટીમ પાસે બ્રિજટાઉન છોડવા માટે બહુ ઓછો સમય છે. મોટલીએ ખુલાસો કર્યો કે બુધવારે બીજું વાવાઝોડું આવી રહ્યું છે.
ટીમ ઇન્ડિયા છેલ્લા બે દિવસથી બાર્બાડોસમાં અટવાઇ
છેલ્લા બે દિવસથી બાર્બાડોસમાં ટી 20 વર્લ્ડ કપ વિજેતા ટીમ, તેનો સપોર્ટ સ્ટાફ, બીસીસીઆઇના કેટલાક ઓફિસિઅલ્સ અને ખેલાડીઓના પરિવારજનો અટવાયા છે. ચક્રવાત બેરીલે રવિવારે સાંજે આ ટાપુ પર અસર કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય દળ સ્થાનિક સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે (ભારતીય સમયાનુસાર સવારે 3.30 વાગ્યે) બ્રિજટાઉનથી રવાના થવાની સંભાવના છે. જો આમ થશે તો ભારતીય ટીમ બુધવારે ભારતીય સમય પ્રમાણે સાંજે 7.45 વાગ્યે દિલ્હી પહોંચી જશે.
આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2024 : રોહિત શર્માએ બાર્બાડોસની પીચની માટી કેમ ખાધી હતી, હિટમેને કર્યો ખુલાસો
બાદમાં આ ખેલાડીઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સન્માન કરવામાં આવશે. જોકે તે કાર્યક્રમને હજુ સુધી અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી. પાંચ ટી 20ની શ્રેણી માટે પાંચ ખેલાડીઓ રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, ખલીલ અહમદ અને સંજુ સેમસન ઝિમ્બાબ્વે જવાના છે. બાકીની ટીમ મંગળવારે શ્રેણી માટે ભારતથી રવાના થઈ હતી.
એરપોર્ટ ક્યારે ખુલશે?
મોટલીએ એરપોર્ટના ખુલવા વિશે પીટીઆઈને જણાવ્યું હતું કે હું આ વિશે અગાઉથી કંઇ કહેવા માંગતો નથી, પરંતુ હું એરપોર્ટ સ્ટાફ સાથે સંપર્કમાં રહ્યો છું અને તેઓ હવે તેમની અંતિમ તપાસ કરી રહ્યા છે અને અમે તાત્કાલિક સામાન્ય કામગીરી ફરી શરૂ કરવા માંગીએ છીએ. એવા ઘણા લોકો છે જેમને ગઈકાલે મોડી રાત્રે અથવા આજે અથવા કાલે સવારે નીકળવું પડ્યું હતું. અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે તે લોકોની સુવિધા કરી શકીએ, તેથી હું આશા રાખું છું કે આગામી છથી 12 કલાકમાં એરપોર્ટ ખુલશે.
વધારે નુકસાન થયું નથી
સોમવારે બાર્બાડોસ અને નજીકના ટાપુઓ પર એક ખતરનાક વાવાઝોડું ત્રાટક્યું હતું. આશરે 300,000ની વસ્તી ધરાવતા આ દેશમાં રવિવાર સાંજથી લોકડાઉન છે. વડા પ્રધાન મોટલીએ કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ કે બાર્બાડોસ, બાર્બેડિયન્સ અને નિશ્ચિત રુપથી ક્રિકેટ વર્લ્ડ કપ માટે આવેલા દરેક વ્યક્તિ સલામત રહે. અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે વાવાઝોડું અમારાથી 80 માઇલ દક્ષિણે હતું, જેના કારણે દરિયાકિનારા પરના નુકસાનના સ્તરને મર્યાદિત કરવામાં આવ્યું હતું. પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોસ્ટલ એસેટ્સને ઘણું નુકસાન થયું છે. પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકી હોત, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે પુનર્નિર્માણ અને સફાઇનું કામ કરીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us