/indian-express-gujarati/media/media_files/2026/03/09/indian-team-t20-world-cup-2026-2026-03-09-14-27-36.jpg)
ભારત સતત બીજી વખત ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું. Photograph: (બીસીસીઆઈ/આઈસીસી)
T20 World Cup 2026 : વ્હાઈટ બોલના ફોર્મેટમાં ભારતીય ક્રિકેટનો દબદબો જોવા મળી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ 2026 જીતવાથી એવું લાગે છે કે ભારતીય ક્રિકેટ એવા તબક્કામાં પહોંચી ગયું છે જ્યાં તેને હરાવવું અશક્ય લાગે છે. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ભારતીય ટીમે 4 માંથી 3 આઇસીસી ટાઈટલ જીત્યા છે. જે એક ટૂર્નામેન્ટમાં તે જીતી શકી નથી તેમાં પણ તેનો દબદબો હતો.
જોકે શ્રેષ્ઠ દેખાવ બાદ પણ ફાઈનલમાં (આઇસીસી વન ડે વર્લ્ડ કપ 2023) વિજય મેળવી શક્યું ન હતું. ઓસ્ટ્રેલિયા સામે તે દિલ તોડનારી હાર બાદ ભારતીય ટીમે પોતાના પ્રદર્શનથી સાબિત કરી દીધું હતું કે 19 નવેમ્બર 2023નો દિવસ માત્ર એક ખરાબ દિવસ હતો. આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારતનો દબદબો એ વાતથી સાબિત થાય છે કે છેલ્લી 32 મેચમાંથી 30માં જીત મેળવી છે.
ભારતીય ક્રિકેટમાં ક્યારેય પ્રતિભાની ખોટ રહી નથી. ખેલાડીઓમાં પણ જીતવાની ઈચ્છા હતી. ક્રિકેટમાં ભારતના પ્રદર્શનનું સ્તર ઉપર જ ગયું છે પણ આવો દબદબો અગાઉ ક્યારેક જોવા મળ્યો નથી. એક સમય એવો હતો જ્યારે ભારતીય ટીમ આઇસીસી ટૂર્નામેન્ટમાં પ્રબળ દાવેદાર હતી, પણ તે નોકઆઉટ મેચોના દબાણ સામે ટકી શકી ન હતી. આ કારણે તેને આઇસીસી ટાઇટલ માટે 11 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. વર્ષ 2020 પછી એક સમય એવો આવ્યો જ્યારે ભારતીય ટીમે ખૂબ જ સાધારણ પ્રદર્શન કર્યું હતું. તે સમય આજે યાદ ના હોય પરંતુ તે નિષ્ફળતાઓએ ભારતીય ક્રિકેટને બદલી નાખ્યું હતું.
એડીલેડમાં થયેલા પરાજયે બાદ ભારતીય ટીમની શૈલી બદલી
2021 અને 2022ના ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો દેખાવ તદ્દન સામાન્ય રહ્યો હતો. વર્ષ 2021માં તે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. વર્ષ 2022માં તેનો સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ખરાબ રીતે પરાજય થયો હતો. એડીલેડમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર્યા બાદ ભારતીય ટીમની સ્ટાઈલમાં ફેરફાર જોવા મળ્યો હતો. તેનો પાયો પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ નાખ્યો હતો.
આ પણ વાંચો - સંજુ સેમસનના નામે 3 વર્લ્ડ રેકોર્ડ, T20 વર્લ્ડ કપ ફાઈનલમાં તોફાની 89 રન ફટકારી કોહલીનો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્મા સમજી ગયો હતો કે ચેમ્પિયન બનવા માટે બલિદાન આપવું પડશે. ખેલાડીઓએ પોતાના રેકોર્ડને બાજુ પર રાખીને ટીમને પ્રાધાન્ય આપવું પડશે. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા પોતે આગળ આવ્યો હતો અને આક્રમક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
11 વર્ષની પ્રતિક્ષા પૂરી થઈ
રોહિત પહેલા બોલથી જ બોલરો પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરતો અને જેનો ફાયદો ટીમને થયો હતો. તે પહેલા જ વિરોધી ટીમોના બોલરોને બેકફૂટ પર ધકેલી દેતો હતો. જોકે રોહિતનું દુર્ભાગ્ય હતું કે વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમ 19મી નવેમ્બર 2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હતી.
આ હારના છ મહિના બાદ જ 2024નો ટી-20 વર્લ્ડ કપ યોજાયો હતો. રોહિત શર્માએ ફરીથી ટીમની કમાન હાથમાં લીધી હતી. વર્ષ 2023માં યોજાનારા આ વર્લ્ડ કપની જેમ રોહિતે આક્રમક બેટિંગ જારી રાખતાં 11 વર્ષનો ઈંતેજારનો અંત લાવ્યો હતો. ભારતીય ટીમે 2013 બાદ પહેલી વખત આઇસીસી ટાઈટલ જીત્યું હતું. હવે ભારતીય ટીમ માટે ટાઈટલ જીતવાની આદત બની ગઈ છે.
200 થી વધુનો સ્કોર ન્યૂ નોર્મલ બન્યો
ટી20 વર્લ્ડ કપ 2024 જીત્યા પછી રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને વિદાય આપી હતી. તે પછીના વર્ષે રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ અજેય રહેતા જીત્યું હતું. આ દરમિયાન નવા કોચ ગૌતમ ગંભીર અને નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમ 2026ના ટી-20 વર્લ્ડ કપ માટે તૈયારી કરી રહી હતી.
અભિષેક શર્મા અને સંજુ સેમસન જેવા ખેલાડીઓએ આક્રમક ક્રિકેટને એક ડગલું આગળ ધપાવ્યું હતું. ભારતીય ટીમે 200થી વધુનો સ્કોર ન્યૂ નોર્મલ બનાવ્યો હતો. ટી 20 વર્લ્ડ કપ 2026માં ટીમ આ અભિગમ સાથે રમી હતી. તેણે શરુઆતમાં થોડો સંઘર્ષ કર્યો હતો પરંતુ ટૂર્નામેન્ટના અંતે તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને સતત બીજી વખત ટાઈટલ જીત્યું હતું.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us