ICC Men’s T20 World Cup 2026 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) મંગળવારે ( 25 નવેમ્બર) ટી 20 વર્લ્ડ કપ 2026 ના કાર્યક્રમની જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીના રોજ રમાશે. ફાઇનલ મુકાબલો 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ટૂર્નામેન્ટ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને શ્રીલંકામાં રમાશે.
ભારત 7 ફેબ્રુઆરીએ અભિયાનની શરૂઆત કરશે
ટી 20 વર્લ્ડ કપમાં 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયન અને યજમાન ભારત 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં તેના અભિયાનની શરૂઆત કરશે. ભારત તેની પ્રથમ મેચ અમેરિકા સામે રમશે. આ પછી તારીખ 12 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામીબિયા સામે મુકાબલો ખેલાશે. ભારત 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે રમશે. ભારતનો આખરી ગ્રુપ મુકાબલો 18 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નેધરલેન્ડ સામે રમાશે.
જો ભારત ગ્રુપ સ્ટેજથી આગળ વધશે તો તેની ત્રણ સુપર એઈટ મેચો અમદાવાદ, ચેન્નાઈ અને કોલકાતામાં રમાશે. જો ભારત અંતિમ ચારમાં પ્રવેશશે તો તેઓ મુંબઈમાં સેમિ ફાઈનલ રમશે. ફાઈનલ અમદાવાદમાં રમાશે. જો પાકિસ્તાન ક્વોલિફાય થશે તો મેચ કોલંબોમાં યોજાશે. ભારત ગ્રુપ એ માં છે.
ભારતના 5 શહેરો શોર્ટલિસ્ટ
આઈસીસી અધ્યક્ષ જય શાહે જાહેરાત કરી કે આ ટૂર્નામેન્ટ 8 સ્થળો પર રમાશે. જેમાં ભારતના 5 અને શ્રીલંકાના 3 સ્થળો પર મેચ રમાશે. ભારતમાં અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમ, કોલકાતામાં ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ, મુંબઈમાં વાનેખેડે સ્ટેડિયમ અને ચેન્નઇમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચો રમાશે. શ્રીલંકામાં પાલેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, કેન્ડી અને કોલંબોનાં આર પ્રેમાદાસા સ્ટેડિયમ અને સિનાલેસ સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમ ખાતે રમાશે.
આ પણ વાંચો – દક્ષિણ આફ્રિકાએ 549 રનનો ટાર્ગેટ આપીને ઇતિહાસ રચ્યો, ટીમ ઇન્ડિયા પર પરાજયનું સંકટ
ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર ટીમો
ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઇન્ડીઝ, આયર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, કેનેડા, નેધરલેન્ડ્સ, ઇટાલી, ઝિમ્બાબ્વે, નામિબિયા, નેપાળ, ઓમાન, યુએઈ.
ભારત 2024માં ચેમ્પિયન બન્યું હતું
છેલ્લો વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં રમાયો હતો. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારત 2024માં ચેમ્પિયન બન્યું હતું. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ફેબ્રઆરી-માર્ચ 2026માં ટાઈટલ બચાવવા ઉતરશે. આ પછી રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિ લીધી હતી. 2012 પછી પ્રથમ વખત બનશે જ્યારે ભારતીય ટીમ આ બંને વગર આઇસીસી ટૂર્નામેન્ટ રમશે.





