Team India T20 World Cup Celebration Parade, Wankhede Stadium : ભારતીય ક્રિકેટ ટીમ ટી 20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બનીને સ્વદેશ પરત ફરી છે. ટીમ ઇન્ડિયાની વિજય પરેડ કાઢવામાં આવી હતી અને પછી વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. ચેમ્પિયન ટીમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો રસ્તા પર ઉતરી પડ્યા હતા. રોહિત શર્મા મેદાનમાં પહોંચતા જ ચાહકોનો અવાજ ચારેબાજુથી ગુંજી ઉઠ્યો હતો. રોહિતને બોલવા માટે રાહ જોવી પડી. રોહિત શર્માએ સૌનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. દેશ માટે ટ્રોફી જીતવી એ ખૂબ જ ગર્વની વાત છે. તેણે સમગ્ર દેશ અને ક્રિકેટ ચાહકોનો આભાર માન્યો હતો.
15 વર્ષમાં પ્રથમ વખત રોહિતને ઇમોશનલ થતા જોયો – વિરાટ કોહલી
વિરાટ કોહલીએ સ્ટેડિયમમાં હાજર તમામ પ્રશંસકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ફાઈનલ બાદ અમે બાર્બાડોસમાં ફસાયેલા હતા અને શક્ય તેટલી વહેલી તકે ભારત પહોંચવા માંગતા હતા. બુમરાહ વિશે કોહલીએ કહ્યું કે તેણે ફાઇનલમાં જે રીતે બોલિંગ કરી તે અદ્ભુત હતી. વર્લ્ડ કપ જીતવો ખૂબ જ ખાસ છે. કોહલીએ કહ્યું કે જ્યારે અમે 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે અદ્ભુત હતું. તે સચિનનો છેલ્લો વર્લ્ડ કપ હતો અને અમે તેને મેદાન પર ઉતાર્યો હતો તેમને મેદાનમાં ફેરવ્યા હતા. આ વખતે હું અને રોહિત સિનિયર ખેલાડીઓ હતા અને અમે જીતવા માગતા હતા. મેં રોહિતને છેલ્લા 15 વર્ષમાં પહેલીવાર મેદાન પર ભાવુક થતા જોયો. તે અને હું બંને બન્ને રડતા હતા અને તે અમારા માટે ઘણું સ્પેશ્યલ હતું. આટલા વર્ષોમાં અમારો ઉદ્દેશ્ય દેશ માટે વર્લ્ડ કપ જીતવાનો હતો અને તે થયું છે.
આ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઇન્ડિયાની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. દોઢ મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન મોદી ટીમ ઇન્ડિયાના સભ્યો સાથે વાત કરતા નજરે પડે હતા.
ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી પ્રધાનમંત્રીના હાથમાં સોંપી
આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી પ્રધાનમંત્રીના હાથમાં સોંપી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ સમયે એક પ્રસંગ એવો પણ આવ્યો કે પીએમ મોદીની કોઈ વાત સાંભળીને ખેલાડીઓ હસવા લાગ્યા હતા.
રોહિત શર્માએ દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કેક કાપી હતી
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ પોતાના હાથમાં ટ્રોફી લઈને બહાર આવ્યો હતો. આ પછી BCCI પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ સાથે કેક કાપી હતી. આ પછી રોહિત શર્મા ચાહકોને ટ્રોફી બતાવી હતી અને ટીમ બસમાં બેસી ગયો હતો.





