World Cup 2023 : રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત આ 8 ખેલાડીઓ આગામી વર્લ્ડ કપમાં નહીં જોવા મળે! બધા 40 વર્ષની આસપાસ હશે

World Cup 2023 : આ ખેલાડીઓના આગામી વર્લ્ડ કપમાં ન આવવાનું સૌથી મોટું કારણ તેમની ઉંમર હોઈ શકે છે. આગામી વર્લ્ડ કપ 2027માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાશે

Written by Ashish Goyal
November 23, 2023 15:09 IST
World Cup 2023 : રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત આ 8 ખેલાડીઓ આગામી વર્લ્ડ કપમાં નહીં જોવા મળે! બધા 40 વર્ષની આસપાસ હશે
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પરાજય પછી ડ્રેસિંગ રૂમમાં ભારતીય ટીમ નિરાશ જોવા મળી હતી (તસવીર - બીસીસીઆઈ)

World Cup 2023 : વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની હારથી વર્લ્ડ કપ ટ્રોફીની રાહ 4 વર્ષ સુધી લંબાઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ વખતે વર્લ્ડ કપ રમનારી ટીમ ઘણી મજબૂત ટીમ હતી. શક્ય છે કે આવી ટીમ આગામી વર્લ્ડ કપમાં જોવા ન મળે, કારણ કે આ ટીમના ઓછામાં ઓછા 8 ખેલાડીઓ આગામી વર્લ્ડ કપ સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. આગામી વર્લ્ડ કપ 2027માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાશે.

તમામ ખેલાડીઓ 40 વર્ષની આસપાસ હશે

રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ પણ એ 8 ખેલાડીઓમાં સામેલ છે જેમના વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ. આ ખેલાડીઓના આગામી વર્લ્ડ કપમાં ન આવવાનું સૌથી મોટું કારણ તેમની ઉંમર હોઈ શકે છે, કારણ કે આગામી વર્લ્ડ કપ સુધીમાં આ તમામ ખેલાડીઓની ઉંમર 40 વર્ષની આસપાસ હશે અથવા તો 40ને પાર કરી જશે. ચાલો તમને જણાવીએ કે આગામી વર્લ્ડ કપમાં કયા ખેલાડીઓ જોવા મળે તેવી શક્યતા નથી.

રોહિત શર્મા

2007માં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરનાર ભારતીય કેપ્ટન રોહિત શર્મા 3 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. રોહિત 2015 અને 2019 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ હતો. 3 વર્લ્ડ કપ રમ્યા બાદ એવું માનવામાં આવે છે કે રોહિત આગામી વર્લ્ડ કપ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. રોહિત પણ આગામી વર્લ્ડ કપ સુધીમાં 40 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં તેના માટે આગામી વર્લ્ડ કપ સુધી રમવું ઘણું મુશ્કેલ લાગે છે.

વિરાટ કોહલી

ટીમ ઈન્ડિયાનો રન મશીન વિરાટ કોહલી આગામી વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગે કંઈપણ કહેવું ઘણું મુશ્કેલ છે. કારણ કે વિરાટની ફિટનેસ તેનું સૌથી મોટું હથિયાર છે. ગયા વર્ષના T20 વર્લ્ડ કપથી વિરાટનું ફોર્મ જોતા લાગે છે કે કોહલી આગામી વર્લ્ડ કપ સરળતાથી રમી શકે છે, પરંતુ 2027 સુધીમાં કોહલી પણ 39 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં તેની ફિટનેસ જ નક્કી કરશે કે કોહલી આગામી વર્લ્ડ કપ રમશે કે નહીં.

આર. અશ્વિન

2011 અને 2015 પછી 2023નો વર્લ્ડ કપ પણ રમી ચૂકેલા આર અશ્વિન માટે આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનવું ઘણું મુશ્કેલ છે. અશ્વિન આ વર્લ્ડ કપની ટીમમાં અક્ષર પટેલના સ્થાને આવ્યો હતો. આવી સ્થિતિમાં તેના માટે આગામી વર્લ્ડ કપ રમવો ઘણો મુશ્કેલ છે. અશ્વિન 2027માં 41 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં તે લગભગ નિશ્ચિત છે કે તે તે વર્લ્ડ કપનો ભાગ નહીં બને. અશ્વિને 2023 વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચ રમી હતી અને તે પણ તેની ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ હતી. જેમાં તેણે 34 રનમાં 1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – BCCI રોહિત શર્મા સાથે વ્હાઇટ બોલ કારકિર્દી પર ચર્ચા કરશે, રહાણેની ટેસ્ટમાંથી હકાલપટ્ટી નિશ્ચિત

રવિન્દ્ર જાડેજા

વર્તમાન ભારતીય ટીમમાં જ્યારે પણ શ્રેષ્ઠ ફિટનેસની વાત થાય છે ત્યારે વિરાટ કોહલી પછી રવીન્દ્ર જાડેજાનું નામ ચોક્કસપણે આવે છે. જાડેજા હાલમાં ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની ટીમનો મહત્વનો ભાગ છે. તે અદભૂત ઓલરાઉન્ડર છે. સારી બેટિંગ અને બોલિંગની સાથે તેની ફિલ્ડિંગ પણ શાનદાર છે. આવી સ્થિતિમાં જાડેજા આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે. જોકે તે સમયે તેની ઉંમર 38 વર્ષની હશે. તેના માટે આગામી વર્લ્ડ કપમાં રમવું પણ તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. જાડેજાનો આ ત્રીજો વર્લ્ડ કપ પણ હતો.

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ માટે આ પહેલો વર્લ્ડ કપ હતો, જે 2023 વર્લ્ડ કપમાં સુપર ફ્લોપ રહ્યો હતો અને હવે તેના માટે આગામી વર્લ્ડ કપમાં રમવું ખૂબ મુશ્કેલ છે. 2027ના વર્લ્ડ કપ સુધીમાં સૂર્યકુમાર યાદવ 37 વર્ષનો થઈ જશે. તેની ઉંમરને ધ્યાનમાં રાખીને રમવું મુશ્કેલ છે એટલું જ નહીં, વન ડેમાં તેના વર્તમાન ફોર્મને જોતા તેને 2027 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર ગણવામાં આવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ T20 ફોર્મેટમાં અદભૂત ખેલાડી છે.

મોહમ્મદ શમી

મોહમ્મદ શમી માટે 2023નો વર્લ્ડ કપ યાદગાર માનવામાં આવશે. ભલે તેની ટીમ ટ્રોફી જીતી ન શકી પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી ટ્રોફી જીતવામાં કોઈ કસર છોડી ન હતી. શમીનો આ છેલ્લો વર્લ્ડ કપ પણ માનવામાં આવે છે. 2027ના વર્લ્ડ કપ સુધીમાં શમી 37 વર્ષનો થઈ જશે. જો કે તેની ફિટનેસ અત્યારે શાનદાર છે, પરંતુ તેની ઉંમરને જોતા તેના માટે આગામી વર્લ્ડ કપ સુધી રમવું મુશ્કેલ છે.

શાર્દુલ ઠાકુર

ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ 2027 વર્લ્ડ કપ સુધીમાં 36 વર્ષનો થઈ જશે. શાર્દુલ ઠાકુરે આ વર્લ્ડ કપમાં 3 મેચ રમી હતી, જેમાં તેણે માત્ર 2 વિકેટ લીધી હતી. શાર્દુલ 2027 વર્લ્ડ કપ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા પણ કહી શકે છે.

કેએલ રાહુલ

વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 2027 વર્લ્ડ કપ સુધીમાં 36 વર્ષનો થઈ જશે. કેએલ રાહુલનો આ બીજો વર્લ્ડ કપ હતો. ટીમમાં શિખર ધવનની જગ્યાએ ઓપનિંગ બેટ્સમેન તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર રાહુલે આ વર્લ્ડ કપમાં મિડલ ઓર્ડર બેટ્સમેન અને વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેના માટે આગામી વર્લ્ડ કપમાં રમવું ઘણું મુશ્કેલ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ