Ranji Trophy : બીસીસીઆઈએ હાલમાં જ ભારતના સ્ટાર ક્રિકેટરોને ઘરેલું ક્રિકેટમાં રમવાનો આદેશ આપ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ જો રણજી મેચ રમશે તો તેમને એક મેચ માટે કેટલો પગાર મળશે અને આને લઈને બીસીસીઆઈના નિયમો શું છે ચાલો જાણીએ.
જો આ રણજી સિઝનની વાત કરવામાં આવે તો શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત તેના બીજા લેગમાં રમશે તે નિશ્ચિત છે. શુભમન ગિલ પંજાબ તરફથી રમશે તો યશસ્વી જયસ્વાલ મુંબઈ તરફથી રમતો જોવા મળશે જ્યારે પંત દિલ્હી તરફથી રમતો જોવા મળશે, પરંતુ વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માની રમત પર સસ્પેન્સ છે.
સૌથી પહેલા જાણીએ કે રણજી ટ્રોફીના ખેલાડીઓની સેલેરીને લઈને શું નિયમો છે અને આ અંતર્ગત આ સ્ટાર ભારતીય ખેલાડીઓને મેચ રમવા માટે કેટલી સેલેરી મળશે. બીસીસીઆઈ તરફથી રણજી ખેલાડીઓને 3 સ્લેબમાં સેલેરી આપવામાં આવે છે, જે મેચ રમવા પર નક્કી છે.
રણજીમાં પગાર અંગે BCCIનો નિયમ
- જે ખેલાડીઓએ 41 થી 60 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે તે ખેલાડીઓને રોજના 60,000 રુપિયા મળે છે. એટલે કે ચાર દિવસની મેચ માટે તેમની મેચ ફી 2.40 લાખ રૂપિયા છે. રિઝર્વ ખેલાડીઓ માટે રોજના 30,000 રૂપિયા છે.
- 21 થી 40 ફર્સ્ટ ક્લાસ મેચ રમનારા ખેલાડીઓને રોજના 50,000 રુપિયા એટલે કે ચાર દિવસીય મેચના 2 લાખ રુપિયા મળે છે. રિઝર્વ ખેલાડીઓ માટે રોજના 25,000 રૂપિયા છે.
- 0 થી 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમનારા ખેલાડીઓને રોજના 40,000 રુપિયા એટલે કે ચાર દિવસીય મેચના 1.60 લાખ રુપિયા મળે છે. રિઝર્વ ખેલાડીઓ માટે રોજના 20,000 રૂપિયા છે.
- નોન-પ્લેયર ટીમના સભ્યોઃ રોજના 25,000 રૂપિયા
કોહલી, ગિલ, રોહિત, પંત, રાહુલ, જાડેજાની સેલેરી એક સરખી
હવે વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, ઋષભ પંત, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજાના પગારની વાત કરીએ તો આ તમામ ખેલાડીઓ 60 થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યા છે અને આ તમામને એક દિવસના 60 હજાર રૂપિયા મળશે અને એક મેચ માટે તેમની ફી 2.40 લાખ રૂપિયા હશે.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે સિતાંશુ કોટકની વરણી, જાણો કોણ છે
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 155 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જ્યારે શુભમન ગિલે 60 મેચ રમી છે. ઋષભ પંતે 68 મેચ, રોહિત શર્મા 128 અને કેએલ રાહુલ અત્યાર સુધી 103 મેચ રમી ચૂક્યા છે. રવિન્દ્ર જાડેજા અત્યાર સુધી 135 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે અને આ તમામ ખેલાડીઓ એક જ સેલેરી સ્લેબમાં આવે છે.
યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી 35 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે અને સેલેરી સ્લેબ પ્રમાણે તેને એક દિવસના 50,000 રુપિયા મળશે, એટલે કે એક મેચ માટે તેનો પગાર 2 લાખ રૂપિયા થશે.
યશસ્વીને મળી શકે છે 2 લાખથી વધુ
સામાન્ય નિયમ અંતર્ગત યશસ્વી જયસ્વાલને 2 લાખ રૂપિયા મળશે, પરંતુ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)એ તેના રણજી ટ્રોફી ખેલાડીઓની ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં ખેલાડીઓનો પગાર બમણો થઈ જશે. અનુભવી ખેલાડીઓને વર્ષ 2024-25ની સિઝનથી ફર્સ્ટ ક્લાસ મેચ માટે રુપિયા 4.80 લાખ મળશે. આ સાથે જ બાકીના બોર્ડના ખેલાડીઓને પ્રતિ મેચ 2.40 લાખ રૂપિયા મળે છે.