/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/rishabh-pant.jpg)
ઋષભ પંત અને રોહિત શર્મા ફાઇલ ફોટો (Screengrab/BCCI)
Rishabh Pant : વન-ડે વર્લ્ડકપ 2023નું આયોજન ભારતમાં થશે અને આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરુ થશે અને ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટને શરૂ થવામાં થોડો સમય બાકી છે, પરંતુ ભારતીય પસંદગીકારોની નજર હવે આ ટૂર્નામેન્ટ માટે શ્રેષ્ઠ 15 ખેલાડીઓની પસંદગી કરવા તરફ છે. જોકે ભારતીય ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ તેમની ઈજામાંથી બહાર આવી રહ્યા છે અને તેઓ આ ટૂર્નામેન્ટમાં રમી શકશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર અને જિઓ સિનેમા એક્સપર્ટ વસીમ જાફરે આ ખેલાડીઓ વિશે પોતાની વાત સામે રાખી અને 25 વર્ષનો રિષભ પંત વન ડે વર્લ્ડ કપમાં રમી શકશે કે નહીં તેનો જવાબ આપ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે 36 વર્ષીય રોહિત શર્મા કેટલી ઉંમર સુધી ટેસ્ટ રમી શકે છે અને રહાણે આગામી ટેસ્ટ કેપ્ટન માટે સૌથી મોટો દાવેદાર છે.
રિષભ પંત વન-ડે વર્લ્ડકપમાં રમી શકશે નહીં
ઋષભ પંત વિશે વાત કરતા વસીમ જાફરે કહ્યું કે હું કહીશ કે તેણે ઉતાવળ ન કરવી જોઈએ. તે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને ભાવિ કેપ્ટન પણ બની શકે છે. આવી સ્થિતિમાં આપણને એ ઋષભ પંત જોઈએ જે સંપૂર્ણપણે ફિટ હોય. મને નથી લાગતું કે તે વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી શકશે. તમને જણાવી દઈએ કે ઋષભ પંતની કારનો 30 ડિસેમ્બર 2022ના રોજ એક ભયાનક અકસ્માત થયો હતો અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. હાલ તે એનસીએમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે, પરંતુ તે ક્યાં સુધી મેદાન પર પરત ફરશે તે અંગે કંઇ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો - કોહલી 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં 50 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો, પોન્ટિંગ અને કાલિસનો મોટો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્મા 38 વર્ષની ઉંમર સુધી રમશે
વસીમ જાફરને પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા વેસ્ટ ઈન્ડીઝ સામે પોતાની છેલ્લી ટેસ્ટ સિરીઝ રમી રહ્યો છે અને ભવિષ્યમાં ભારતીય ટેસ્ટ કેપ્ટન કોણ બની શકે છે? આ અંગે જવાબ આપતાં જાફરે કહ્યું હતુ કે રોહિત શર્મા વિન્ડીઝમાં છેલ્લી ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે તેવું નથી. તે હવે 36 વર્ષનો થઈ ગયો છે અને તે 38 વર્ષ સુધી એટલે કે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી તો રમી જ શકે છે.
જો અજિંક્ય રહાણે સતત રન બનાવે છે તો તેની પાસે તક છે
જાફરે કહ્યું કે આગામી ટેસ્ટ કેપ્ટનની વાત કરીએ તો જો અજિંક્ય રહાણે સતત રન બનાવે છે તો તેની પાસે તક છે. આપણે બધા જાણીએ છીએ કે તેણે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં કેટલી સારી રીતે કેપ્ટનશિપ કરી હતી અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવી એ એક મોટી સિદ્ધિ છે. તે શ્રેણીમાં કોવિડને કારણે ઘણા ખેલાડીઓ ઉપલબ્ધ ન હતા, ઘણા ઈજાગ્રસ્ત થયા હતા અને આપણને કોઈ આશા ન હતી. આવી સ્થિતિમાં ખૂબ જ મજબૂત કાંગારૂ ટીમ સામે શ્રેણી જીતવી એ એક મોટું કામ હતું. તેથી હું માનું છું કે તે કેપ્ટનશિપનો પ્રબળ દાવેદાર છે પરંતુ જો તે રન નહીં બનાવે તો મુશ્કેલી પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us