World Cup 2023, IND vs PAK : વર્લ્ડ કપ 2023ની ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ 14 ઓક્ટોબરને શનિવારે રમાશે. દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર આ મેચ પર રહેશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. બંને ટીમો 2023ના વર્લ્ડકપમાં અત્યાર સુધી એકેય મેચ હારી નથી એટલે કે એકનો વિનિંગ ઓર્ડર તૂટશે તે નક્કી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવીને આત્મવિશ્વાસથી ભરપૂર છે. દરેક ખેલાડી સારા ફોર્મમાં દેખાય છે. પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્માએ શુભમન ગિલને લઇને મોટી અપડેટ આપી હતી.
રોહિત શર્માએ કહ્યું કે શુભમન ગિલ 99 ટકા મેચ માટે ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે મેચ પહેલા નિર્ણય લેવામાં આવશે. રોહિત શર્માના આ નિવેદન બાદ શુભમન ગિલ પ્રેક્ટિસ સેશન દરમિયાન પિચની નજીક દેખાયો હતો. ટીમ ઇન્ડિયા માટે આ એક સારો સંકેત છે. તે રમશે કે કેમ તે હજુ નક્કી નથી. જો તે રમશે તો ઈશાન કિશન કે શ્રેયસ ઐયરમાંથી કોઈ એકને પ્લેઈંગ 11માંથી બહાર બેસવું પડશે. ઐયર બહાર બેસે તેવી શક્યતા ઓછી છે.
વન-ડે ઇતિહાસમાં બંને ટીમોના આંકડાની વાત કરીએ તો બંને 134 વખત આમને સામને ટકરાયા છે. જેમાં પાકિસ્તાનો 73 અને ભારતનો 56 મેચમાં વિજય થયો છે.
રવિચંદ્રન અશ્વિન કે શાર્દુલ ઠાકુર
આ સિવાય નંબર 8 એવું સ્થાન છે જેની ચર્ચા સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન થશે કારણ કે આ પોઝિશનનો ખેલાડી પીચ અને કન્ડિશન પ્રમાણે બદલાશે. પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા ફરી એક વખત બેટિંગમાં સમાધાન નહીં કરે. એટલે કે રવિચંદ્રન અશ્વિન કે શાર્દુલ ઠાકુરને નંબર 8 પર તક મળશે. અમદાવાદની પીચ બેટ્સમેનોને અનુકૂળ રહેશે. બોલરોને વધારે મદદ મેળવવા નથી,ખાસ કરીને સ્પિનરોને. આવી સ્થિતિમાં અશ્વિન બહાર રહી શકે છે. તે મોહમ્મદ શમીનું દુર્ભાગ્ય છે કે તેને બેટિંગમાં ઉંડાણને કારણે બહાર બેસવું પડે છે.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી, ભારત- 7, પાકિસ્તાન – 0, જુઓ, બધી મેચોની માહિતી
ફખર ઝમાન કે અબ્દુલ્લા શફીક
પાકિસ્તાનની પ્લેઇંગ 11ની વાત કરીએ તો છેલ્લી મેચમાં ફખર ઝમાનની જગ્યાએ અબ્દુલ્લા શફીકને તક મળી હતી. શફીકે શાનદાર ઈનિંગ્સ રમી હતી. આવી સ્થિતિમાં શફીક રમતો જોવા મળશે. પાકિસ્તાન માટે સમસ્યા ઇમામ-ઉલ-હક અને કેપ્ટન બાબર આઝમનું ખરાબ ફોર્મ છે. એવું લાગી રહ્યું છે કે બાબર કેપ્ટનશિપના દબાણમાં છે. પેસ એટેક હંમેશા પાકિસ્તાની ટીમ માટે પ્લસ પોઇન્ટ રહ્યો છે, પરંતુ હાલ એવું લાગતું નથી.
શું પાકિસ્તાનના પ્લેઇંગ 11માં ફેરફાર થશે?
શાહીન આફ્રિદી સંઘર્ષ કરી રહ્યો છે અને હસન અલી ખાસ પ્રભાવ પાડી શકતો નથી. હરીસ રઉફ પર ઘણું દબાણ રહેશે. પાકિસ્તાનનું સ્પિન આક્રમણ ખૂબ જ નબળું છે. શાદાબ ખાન ઉપરાંત મોહમ્મદ નવાઝ અને ઇફ્તિખાર અહમદ અસરકારક જણાતા નથી. ઓવરઓલ જોઈએ તો પાકિસ્તાની ટીમના પ્લેઈંગ 11માં ફેરફારની શક્યતા ખુબ જ ઓછી છે.
હવામાન ક્લિન રહેશે
અમદાવાદના હવામાનની વાત કરીએ તો આ પહેલા સમાચાર આવ્યા હતા કે શનિવારે અમદાવાદમાં વરસાદ પડી શકે છે, પરંતુ શુક્રવારે ભારતીય હવામાન વિભાગે પ્રશંસકોને સારા સમાચાર આપ્યા છે. નવા નિવેદન મુજબ શનિવારે અમદાવાદમાં વાતાવરણ સાફ રહેશે અને આગામી 48 કલાક સુધી વરસાદની કોઇ શક્યતા નથી.
ગુજરાત એલર્ટ મોડમાં
ભારત-પાકિસ્તાન મેચ પહેલા ગુજરાત એલર્ટ મોડમાં છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગુજરાત પોલીસ બળના 6000 પોલીસકર્મીઓ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈનાત કરવામાં આવશે. સુરક્ષા વિશે કોઈ નથી કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આ જ કારણ છે કે આ મેચ 15 ઓક્ટોબરથી 14 ઓક્ટોબરમાં શિફ્ટ કરવામાં આવી હતી. શનિવારે અમદાવાદ માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટનું કેન્દ્ર બનશે. એક લાખ 32 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં ઉદ્યોગપતિ, રાજનેતા અને ઘણા વીવીઆઇપી લોકો હાજર રહેશે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન/ શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન
અબ્દુલ્લા શફીક, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન , સઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરીસ રઉફ.





