World Cup 2023 : ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ અને આગામી 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના વાઈસ કેપ્ટન બનવા માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની સાથે પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવે છે. જસપ્રીત બુમરાહ ઇજાના કારણે લગભગ એક વર્ષથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહ્યો હતો. તાજેતરમાં જ તેણે આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણીથી શાનદાર વાપસી કરી છે.
જસપ્રીત બુમરાહ હાર્દિક પંડ્યાથી આગળ
હાર્દિક પંડયાને નિયમિત ટી-20નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે બુમરાહને આયર્લેન્ડ સામે શુક્રવારથી શરુ થયેલી ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણીમાં કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જેના કારણે તે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનેને પડકાર આપવા માટે તૈયાર છે. બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે જો તમે નેતૃત્વની દ્રષ્ટિએ અનુભવને જુઓ છો, તો બુમરાહ પંડ્યા કરતા આગળ છે.
આ પણ વાંચો – તેંડુલકરે 6 વર્લ્ડ કપમાં ફટકારી 6 સદી, રોહિત શર્માએ એક જ વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી છતા નાખુશ
બુમરાહ ઈજાગ્રસ્ત થયા પહેલા પ્રબળ દાવેદાર હતો
તેમણે આગળ કહ્યું કે બુમરાહે 2022માં ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરી હતી. તે સાઉથ આફ્રિકાના વન ડે પ્રવાસ દરમિયાન હાર્દિક પંડયા પહેલા વન ડે ટીમનો વાઈસ કેપ્ટન પણ રહી ચૂક્યો છે. જો તમે બુમરાહને એશિયા કપ અને વર્લ્ડ કપ બંને માટે વન-ડેમાં વાઇસ કેપ્ટન બનાવતા જોવો તો નવાઈ નહીં. આ કારણે જ તેને ઋતુરાજની જગ્યાએ આયર્લેન્ડમાં કેપ્ટનશિપ આપવામાં આવી હતી. બુમરાહ ઈજાગ્રસ્ત થયા પહેલા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપનો પ્રબળ દાવેદાર હતો. તેની અને કેએલ રાહુલની ગેરહાજરીમાં બીસીસીઆઇએ હાર્દિક પંડ્યા પર ભરોસો વ્યક્ત કર્યો હતો.
હાર્દિક પંડયાની કેપ્ટન્સી અંગે સવાલો ઉભા થયા
ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ વર્ષે 36 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં બીસીસીઆઇ તેમના વર્કલોડને મેનેજ કરવા માગે છે. રોહિત ગત વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ કોઈ ટી-20 મેચ રમ્યો નથી. હાર્દિક પંડ્યાને ટી-20 સિરીઝમાં મોટાભાગે કેપ્ટનશિપ આપવામાં આવી હતી. તાજેતરમાં ભારતે વિન્ડિઝ સામેની ટી-20 શ્રેણી 3-2થી ગુમાવી હતી, જે પછી હાર્દિક પંડયાની કેપ્ટન્સી અંગે સવાલો ઉભા થયા છે.





