world cup 2023 NZ vs SL : આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ તબક્કામાં છે. આ જ કારણે સેમિ ફાઈનલમાં પ્રવેશવાની રેસ તીવ્ર બની છે. ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે, જ્યારે ત્રણ ટીમો ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સ્થાન મેળવવાની રેસમાં છે.
ટૂર્નામેન્ટની 41મી મેચ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે 9 નવેમ્બરના રોજ ગુરુવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે. જો ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે જીતશે તો પાકિસ્તાન લગભગ બહાર થઈ જશે. જો આમ નહીં થાય તો બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે ક્વોલિફાય થવા માટે ઈંગ્લેન્ડને હરાવવું પડશે.
9 નવેમ્બરની મેચ ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન તેમજ શ્રીલંકા માટે મહત્વપૂર્ણ રહેશે. કારણ કે અહીંથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફિકેશન પણ નક્કી થવાનું છે. જોકે હવામાનની આગાહી મુજબ બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં વરસાદ વિધ્ન રૂપ બની શકે છે, કારણ કે આ દિવસે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 પોઇન્ટ ટેબલ : એક સ્થાન માટે ત્રણ દાવેદાર, જાણો કેવું છે સેમિ ફાઇનલનું સમીકરણ
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ સ્કોર સલામત નથી
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાની બાઉન્ડ્રીના કારણે હાઈસ્કોરિંગ મેદાન તરીકે જાણીતું છે. આંકડા દર્શાવે છે કે આ સ્થાન પર કોઈ પણ સ્કોરને સલામત ગણી શકાય નહીં. અહીં રમાયેલી છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 6 વિકેટે 401 રન બનાવ્યા હતા છતાં મેચ હારી ગઈ હતી.
ટોસ જીતનારી ટીમ બોલિંગ કરવાનું પસંદ કરશે
આ સ્ટેડિયમમાં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 237 રનનો છે. અહીં રમાયેલી 41 વન ડેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમો 15 મેચ જીતી છે જ્યારે 22 વખત બીજી બેટિંગ કરનારી ટીમોનો વિજય થયો છે. આ જોતાં લાગે છે કે ટોસ જીતનારી ટીમ બોલિંગ કરવાનું પસંદ કરશે.
8 નવેમ્બરે બેંગલુરુમાં દિવસભર વરસાદ પડ્યો
બેંગલુરુમાં 8 નવેમ્બરને બુધવારે આખો દિવસ વરસાદ પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા મેચ માટે આ સારા સમાચાર નથી. જો 9 નવેમ્બરના રોજ પણ આવું જ રહ્યું તો વરસાદના કારણે મેચ રદ પણ થઇ શકે છે. જો આમ થાય તો બન્નેએ 1-1 પોઈન્ટને મળશે. જે ન્યૂઝીલેન્ડની સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફેરવી શકે છે.
એક અંદાજ મુજબ જો રાત્રે 9.30 વાગ્યા સુધીમાં ઈનિંગ્સ શરુ ન થાય તો મેચ રદ થઈ શકે છે. ચિન્નાસ્વામીમાં પણ ભેજનું પ્રમાણ વધુ રહેશે. એક્યુવેધરના મતે મેચના દિવસે ભેજનું પ્રમાણ 75થી ઉપર રહી શકે છે. જેના કારણે ખેલાડીઓને અસુવિધા થશે.





