World Cup 2023 : વર્લ્ડ કપમાં ભારત સામેની હાર બાદ પાકિસ્તાનની હતાશા જોવા મળી રહી છે. મંગળવારે પીસીબીએ ICC પાસે 3 ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમના ખેલાડીઓ સાથે અન્યાયી વર્તન કરવામાં આવ્યું હતું. આ સિવાય પીસીબીએ પાકિસ્તાની પત્રકારોના વિઝામાં વિલંબ અંગે પણ ICCને ફરિયાદ કરી છે. પાકિસ્તાની પ્રશંસકોને ભારત આવવાની મંજૂરી ન આપવા અંગે પણ ICC સમક્ષ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
પીસીબીએ 3 ફરિયાદો કરી હતી
PCBએ મંગળવારે એક્સ પર આ જાણકારી આપી. પીસીબીના એક્સ હેન્ડલ પર લખ્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાની પત્રકારોના વિઝામાં વિલંબ અને વર્લ્ડ કપમાં પાકિસ્તાની પ્રશંસકોની ગેરહાજરી અંગે ICC સમક્ષ ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે. આ સિવાય 14 ઓક્ટોબર 2023ના રોજ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન અમારા ખેલાડીઓ સાથે ખરાબ વર્તન અંગે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અમદાવાદમાં શું થયું?
અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચના દિવસે જ્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ટોસ દરમિયાન બોલી રહ્યા હતા ત્યારે સ્ટેડિયમમાં જોરદાર હોબાળો થયો હતો. મોહમ્મદ રિઝવાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે વીડિયોમાં રિઝવાન પેવેલિયન તરફ બહાર જઈ રહ્યો હતો. ત્યારબાદ કેટલાક દર્શકોએ ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા. પાકિસ્તાને આ બે ઘટનાઓને પોતાની ફરિયાદનો આધાર બનાવી છે.
પાકિસ્તાન હૈદરાબાદ અને અમદાવાદની મહેમાનગતિ ભૂલી ગયું
અગાઉ હૈદરાબાદમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની હૈદરાબાદમાં જે રીતનું સ્વાગત થયું હતું તેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નજર અંદાજ કરી દીધું છે. હૈદરાબાદમાં એરપોર્ટથી હોટલ સુધી પાકિસ્તાની ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં હોટલના સ્ટાફે પણ પાકિસ્તાની ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ભારત સામેની મેચ માટે ટીમ અમદાવાદ પહોંચી ત્યારે ત્યાં પણ પાકિસ્તાની ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાને પણ એવો આવકાર મળ્યો ન હતો જેવો પાકિસ્તાની ટીમને મળ્યો હતો.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપના સૌથી મોટા અપસેટ, બે વખત ભારત પણ બન્યું છે શિકાર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનનો થયો હતો શરમજનક પરાજય
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાની ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. 14 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 191 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્માની તોફાની બેટિંગના કારણે ભારતે 31મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં પાકિસ્તાની ટીમની અંતિમ 8 વિકેટ 35 રનની અંદર પડી ગઈ હતી. પાકિસ્તાની ટીમના આ પ્રદર્શનની હજુ પણ ટીકા થઈ રહી છે.