World Cup 2023 : આઇસીસીની જે પણ ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમ ભાગ લે છે ત્યારે તેને ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર કે ફેવરિટ માનવામાં આવે છે. આ વર્ષના અંતભાગમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપમાં પણ આવી જ સ્થિતિ બનવા જઈ રહી છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ભારતને પ્રબળ દાવેદાર માનવા અંગે રસપ્રદ વાત કહી છે. તેમણે કહ્યું કે વિરોધી ટીમોનું આ એક ષડયંત્ર હોય છે. તેઓ પોતાના પર દબાણ ઘટાડવા અને ભારત પર દબાણ લાવવા માટે આ રણનીતિ અપનાવે છે.
અશ્વિને પોતાની યુ ટ્યુબ ચેનલ પર કહ્યું કે હું જાણું છું કે ક્રિકેટ જગતના લોકો કહેશે કે ભારત ફેવરિટ છે. વિશ્વભરના તમામ ક્રિકેટરો આનો ઉપયોગ યુક્તિ તરીકે કરે છે અને દરેક આઇસીસી ટૂર્નામેન્ટ પહેલા ભારતને પ્રબળ દાવેદાર કહે છે. તેઓ આ વ્યૂહરચનાનો ઉપયોગ પોતાના દબાણને ઘટાડવા અને આપણા પર વધારાનું દબાણ લાવવા માટે આ રણનિતીનો ઉપયોગ કરે છે. ભારત પ્રબળ દાવેદારોમાંથી એક બની શકે છે.
ઓસ્ટ્રેલિયા પણ એક પાવરહાઉસ છે
વર્લ્ડ કપ માટે અન્ય ફેવરિટ વિશે વાત કરતા 36 વર્ષીય અશ્વિને કહ્યું કે ઓસ્ટ્રેલિયા પણ પાવરહાઉસ છે. અમે બાર્બાડોસમાં બીજી વન-ડેમાં હાર વિશે વાત કરી. મેં કહ્યું હતું કે આપણે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવો જોઈએ અને તેમને વર્લ્ડ કપમાં દબાણ વગર મોકલવા જોઈએ. મોટા ભાગના લોકો સહમત થયા હતા પરંતુ તેમાંના કેટલાક માનતા હતા કે જો ટીમ ઇન્ડિયા નહીં જીતે તો શું થશે તે અંગે પહેલેથી જ તકેદારી રાખવામાં આવી હતી અને બધું જ પ્રશંસકો પર છોડી દેવામાં આવશે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : આ તારીખથી ટિકિટોનું વેચાણ શરૂ થશે, ક્યારે ખરીદી શકશો ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ
કોઇપણ પ્રશંસકો પર દોષ ઢોળી શકે નહીં
અશ્વિને આગળ કહ્યું કે આપણે એ સમજવું જોઈએ કે કોઇપણ પ્રશંસકો પર દોષ ઢોળી શકે નહીં. હું પણ સમજું છું. મારો કહેવાનો મતલબ એ હતો કે પ્રશંસક ટીમના સૌથી મહત્વપૂર્ણ હિતધારક છે. પ્રશંસકો ક્રિકેટ મેચનો પુરો માહોલ બદલી શકે છે. દરેક વખત જ્યારે ઘરેલું ટીમ મોમેંટમમાં હોય છે અને સમર્થન ઘણું વધારે હોય છે તો અન્ય ટીમો માટે કામ મુશ્કેલ થઇ જાય છે. હું ફક્ત એ જ કહું છું. હું જાણું છું કે જ્યારે અન્ય ટીમ એરપોર્ટ કે હોટલમાં પહોંચે છે ત્યારે તો આપણે યજમાન તરીકે હંમેશા શાનદાર સ્વાગત કરીએ છીએ. આપણે તેને લઇને સ્પષ્ટ હોવું જોઈએ.





