IND vs PAK: ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓને અવારનવાર એકબીજા સામે રમવાની તક મળતી નથી, પણ બંને દેશોના ક્રિકેટરો વચ્ચે પરસ્પર આદરની લાગણી જોવા મળે છે. પોતાની પેઢીના બે મહાન ખેલાડીઓ વિરાટ કોહલી અને બાબર આઝમનો એકબીજા સામે ઓછી વખત ટકરાયા છે. પરંતુ બંને જાણે છે કે તેઓ પોતપોતાની ટીમમાં શું ગુણવત્તા લાવે છે.
હાલમાં એક વાતચીતમાં વિરાટ કોહલીએ બાબર આઝમ સાથે પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. વિરાટ કોહલીએ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનને સંભવતઃ સમગ્ર વિશ્વના તમામ ફોર્મેટનો ટોચનો બેટ્સમેન ગણાવ્યો હતો. વિરાટ કોહલી અને બાબર આઝમ ક્રિકેટની દુનિયામાં બેટિંગના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યા છે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના વખાણ કરતાં તેને તમામ ફોર્મેટમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક ગણાવ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કોહલીએ પોતાના સંબંધો વિશે વાત કરતા 2019માં માન્ચેસ્ટરમાં બાબર આઝમ સાથેની પહેલી મુલાકાતને પણ યાદ કરી હતી.
બાબર અને કોહલી 2019ના વન-ડે વર્લ્ડકપમાં પ્રથમવાર મળ્યા હતા
વિરાટ કોહલીએ યાદ કરતા કહ્યું કે તેની (બાબર) સાથેની મારી પ્રથમ વાતચીત 2019ના વનડે વર્લ્ડ કપ દરમિયાન માન્ચેસ્ટરમાં મેચ પછી થઈ હતી. હું ઈમાદ વસીમને અંડર-19 વર્લ્ડ કપથી ઓળખું છું અને તેણે કહ્યું કે બાબર વાતચીત કરવા માગે છે. અમે બેઠા અને રમત વિશે વાત કરી. મેં પહેલા દિવસથી જ તેનામાં ઘણો આદર જોયો.
આ પણ વાંચો – આઈસીસી ટૂર્નામેન્ટ પહેલા ભારતને ષડયંત્ર અંતર્ગત બતાવવામાં આવે છે ફેવરિટ, અશ્વિનનો દાવો
વિરાટ કોહલી અને બાબર આઝમ મેદાન પર એકબીજા સામે પ્રતિસ્પર્ધા કરે છે. જોકે વિરાટ કોહલીએ સ્વીકાર્યું હતું કે મેદાનની બહાર વન ડેના ટોચના ખેલાડી માટે તેને હંમેશા ઘણું માન અને સન્માન રહ્યું છે.
બાબર આઝમને રમતો જોવો સારું લાગે છે – વિરાટ કોહલી
વિરાટ કોહલીએ કહ્યું કે તે હકીકત હોવા છતાં કે તે કદાચ તમામ ફોર્મેટમાં વિશ્વનો ટોચનો બેટ્સમેન છે અને આ સાચું પણ છે. તે બદલાયો નથી. તે સતત સારું પ્રદર્શન કરે છે અને મને હંમેશાં તેને રમતા જોવાનું પસંદ છે.
એશિયા કપના ગ્રુપ સ્ટેજની મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બર 2023ના રોજ શ્રીલંકાના કેન્ડીમાં મુકાબલો ખેલાશે. આ પછી સુપર 4 સ્ટેજમાં પણ એક વખત ટકરાય તેવી સંભાવના છે. આ પછી તારીખ 14મી ઓક્ટોબરે અમદાવાદમાં વર્લ્ડ કપ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.





