Bajrang Punia : રેસલર સાક્ષી મલિકની નિવૃત્તિ બાદ બજરંગ પુનિયાએ ઉઠાવ્યું મોટું પગલું, પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો

Bajrang Punia Return Padma Shri : બજરંગ પુનિયાએ આ પગલું બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ ભારતના રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બન્યા બાદ ઉઠાવ્યું છે, એક દિવસ પહેલા સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી હતી

Written by Ashish Goyal
December 22, 2023 17:56 IST
Bajrang Punia : રેસલર સાક્ષી મલિકની નિવૃત્તિ બાદ બજરંગ પુનિયાએ ઉઠાવ્યું મોટું પગલું, પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો
ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રેસલર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા (Express photo by Abhinav Saha)

Bajrang Punia Return Padma Shri : ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી મહિલા રેસલર સાક્ષી મલિકે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી અને હવે એ જ ક્રમમાં પુરુષ રેસલર બજરંગ પુનિયાએ શુક્રવારે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. બજરંગ પુનિયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને તેના દ્વારા તેણે પોતાનું આ સન્માન પરત કરવાની જાહેરાત કરી હતી. સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ આ પગલું બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ ભારતના રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બન્યા બાદ ઉઠાવ્યું છે. બજરંગ પુનિયાએ પોતાનું સન્માન પ્રધાનમંત્રી આવાસની સામે ફૂટપાથ પર રાખ્યું છે.

બજરંગ પુનિયાએ પીએમ મોદીને પત્ર લખ્યો

બજરંગ પુનિયાએ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે તમે દેશની સેવામાં વ્યસ્ત હશો, પરંતુ હું તમારું ધ્યાન કુસ્તી તરફ દોરવા માંગુ છું. આ પત્રમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતા બજરંગે લખ્યું છે કે ભારતીય કુસ્તી સંઘ ફરી એકવાર બ્રિજભૂષણ સિંહના કબજામાં આવી ગયું છે. તેમની નજીકની વ્યક્તિ આ પદ પર આવવાથી મને દુઃખ થયું છે.

બજરંગ પુનિયાએ લખ્યું કે મેં દેશ માટે મેડલ જીત્યા અને દેશ તરફથી ઘણા સન્માન મેળવ્યા, જેમાં મને 2019માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો હતો. આ ઉપરાંત મને ખેલ રત્ન અને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટનાક્રમ પછી હું મારું સન્માન પરત કરી રહ્યો છું. મહિલા કુસ્તીબાજોનું અપમાન કર્યા પછી હું સન્માનિત રહીને જીવી શકીશ નહીં અને જો હું આવું કરીશ તો મારો આત્મા મને શ્રાપ આપશે. આવી સ્થિતિમાં, હું તમને મારું સન્માન પરત કરું છું.

આ પણ વાંચો – સાક્ષી મલિકનો કુસ્તીમાંથી સંન્યાસ; બ્રજભૂષણ સિંહના નજીકના સંજય સિંહ WFIની અધ્યક્ષ ચૂંટણી જીત્યા બાદ મહિલા કુસ્તીબાજનો મોટો નિર્ણય

તમને જણાવી દઈએ કે ગુરુવારે સાક્ષી મલિકે રડતા રડતા કહ્યું હતું કે જે આજે ફેડરેશનના પ્રમુખ બન્યા છે. અમને ખબર હતી કે તે પ્રમુખ બનશે. તે બ્રિજભૂષણને પુત્ર કરતાં પણ વધારે વ્હાલા છે. અત્યાર સુધી પડદા પાછળ જે થતું હતું તે હવે ખુલ્લેઆમ થશે, અમે અમારી લડાઈમાં સફળ થયા નથી. અમે અમારી વાત દરેકને જણાવી છે. આખો દેશ જાણતો હોવા છતાં યોગ્ય વ્યક્તિ બની શક્યો નથી. હું આપણી આવનારી પેઢીઓને કહેવા માંગુ છું કે શોષણ માટે તૈયાર રહે.

જ્યારે બજરંગ પુનિયાએ કહ્યું હતું કે રમત મંત્રાલયે વચન આપ્યું હતું કે WFI ની બહારથી કોઈ ફેડરેશનમાં આવશે. આખી સિસ્ટમ જે રીતે કામ કરી રહી છે મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આપણા દેશમાં કોઇ ન્યાય બચ્યો નથી, તે માત્ર અદાલતોમાં જ મળશે, આપણે જે પણ લડાઇ લડ્યા છીએ, આવનારી પેઢીઓએ વધુ લડવું પડશે. સરકારે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ