Imran Khan News | ઇમરાન ખાન જીવિત કે સલામત હોવાના કોઇ પુરાવા નથી! પુત્રએ લગાવ્યા ગંભીર આરોપ

ઇમરાન ખાન પાકિસ્તાન પૂર્વ પ્રધાનમંત્રી મૃત્યુ પામ્યા છે કે જીવિત છે? આ મામલો હાલમાં ચર્ચામાં છે. જીવિત અને સુરક્ષિત હોવાના સરકારી દાવાઓ વચ્ચે ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, પિતા જીવિત કે સલામત હોવાના કોઈ પુરાવા નથી, સરકાર સ્થિતિ છુપાવી રહી છે.

Written by Haresh Suthar
November 28, 2025 14:56 IST
Imran Khan News | ઇમરાન ખાન જીવિત કે સલામત હોવાના કોઇ પુરાવા નથી! પુત્રએ લગાવ્યા ગંભીર આરોપ
Imran Khan News: ઇમરાન ખાન પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી (ફોટો ક્રેડિટ સોશિયલ મીડિયા)

Imran Khan Pakistan News | પાકિસ્તાન પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Imran Khan) મોત મામલે રાજકીય વિવાદ છેડાયો છે. ઇમરાન ખાનના પુત્રએ તાજેતરમાં એક ગંભીર નિવેદન આપ્યું છે. પાકિસ્તાન સરકાર સામે ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે તેમના પિતા જીવિત કે સલામત હોવાના કોઈ પુરાવા નથી અને સરકાર બ્લેકઆઉટ (blackout) લાદીને પરિસ્થિતિ છુપાવી રહી છે. આ નિવેદનથી પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિમાં નવી ચર્ચા શરૂ થઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આતુરતા વધી રહી છે.

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની તબિયતને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સરકાર અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના વરિષ્ઠ નેતાઓના નિવેદનો સામસામે આવ્યા છે. વડા પ્રધાનના રાજકીય બાબતોના સલાહકાર રાણા સનાઉલ્લાહે ડોન અખબારને જણાવ્યું હતું કે ઇમરાન ખાન એકદમ ઠીક છે, તેમના સ્વાસ્થ્ય અથવા સલામતી વિશે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જેલ સત્તાવાળાઓ નિયમિતપણે તેમના સ્વાસ્થ્ય, દવાઓ, ખોરાક અને અન્ય સુવિધાઓનું ધ્યાન રાખી રહ્યા છે.

બીજી તરફ ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને ખૂબ જ ચિંતાજનક નિવેદન આપતા કહ્યું છે કે છેલ્લા છ અઠવાડિયાથી તેમને તેમના પિતા જીવિત કે સલામત હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. કાસિમનો આરોપ છે કે સરકાર “સંપૂર્ણ બ્લેકઆઉટ” લાદીને તેના પિતાની સ્થિતિ છુપાવી રહી છે.

કાસિમ ખાને સોશિયલ પોસ્ટમાં ચિંતા વ્યક્ત કરી અપીલ કરતાં લખ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયને મારી અપીલ છે કે તાત્કાલિક હસ્તક્ષેપ કરો. જીવનના પુરાવાની માંગ કરો. કોર્ટ દ્વારા માન્ય મુલાકાતો લાગુ કરો. આ અમાનવીય એકાંત કેદનો અંત લાવો અને પાકિસ્તાનના સૌથી લોકપ્રિય નેતાની મુક્તિની માંગ કરો, જેમને માત્ર રાજકીય કારણોસર જેલમાં રાખવામાં આવ્યા છે.

કાસિમે કહ્યું કે ઇમરાન ખાનની 845 દિવસથી ધરપકડ કરવામાં આવી છે, અને છેલ્લા ઘણા અઠવાડિયાથી તેમને અડિયાલા જેલના ‘ડેથ સેલ’માં એકાંત કેદમાં રાખવામાં આવ્યા છે, જ્યાં કોઈ પારિવારિક સભ્યની મુલાકાતને પણ મંજૂરી નથી, કોઈ ફોન કોલ અથવા કાનૂની સલાહકારોને મંજૂરી આપવામાં આવી રહી નથી. તેમનું કહેવું છે કે કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં ઇમરાન ખાનની બહેનોને પણ સતત મળતા અટકાવવામાં આવી રહ્યા છે.

કાસિમે X પર લખ્યું કે, છેલ્લા છ અઠવાડિયાથી અમને કોઈ ફોન કોલ મળ્યો નથી, કોઈ મુલાકાત નથી, કોઈ મેસેજ નથી મળ્યો. કોઈ પણ રીતે અમારા પિતાનો સંપર્ક કરાવવામાં આવ્યો નથી. સરકારે ‘જીવનનો પુરાવો’ પણ આપ્યો નથી. કાસિમે આ પરિસ્થિતિને “સુરક્ષા પ્રોટોકોલ” નહીં પરંતુ ઇરાદાપૂર્વક છુપાવવાની નીતિ ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી પરિવારને ખબર ન પડે કે ઇમરાન ખાન કઈ સ્થિતિમાં છે, અથવા તે સુરક્ષિત છે કે નહીં.

આ સંપૂર્ણ બ્લેકઆઉટ એક ગણતરીપૂર્વકનો પ્રયાસ છે જેથી અમને ખબર ન પડે કે અમારા પિતા કઈ પરિસ્થિતિમાં છે. જો સરકાર વિચારે છે કે તે આ અમાનવીય વર્તનથી છટકી જશે, તો તે એક ભ્રમ છે. અમે તેને કાયદેસર, નૈતિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારીશું.” કાસિમ ખાને આંતરરાષ્ટ્રીય સમુદાયને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની પણ અપીલ કરી હતી.

તેણે માનવાધિકાર સંગઠનો, લોકશાહી દેશો અને વૈશ્વિક સંસ્થાઓને પાકિસ્તાન સરકાર પર દબાણ લાવવા જણાવ્યું હતું કે તેઓ ઇમરાન ખાનની સુરક્ષાના પુરાવા આપવા અને કોર્ટના આદેશ સાથેની મુલાકાતોને તાત્કાલિક પુનઃસ્થાપિત કરે.

આ દરમિયાન પાકિસ્તાન સરકાર અને તેના સલાહકારો દાવો કરી રહ્યા છે કે ઇમરાન ખાન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમના સ્વાસ્થ્યને કોઈ ખતરો નથી. પીટીઆઈનું નેતૃત્વ સતત માંગ કરી રહ્યું છે કે તેમને પાર્ટીના સંસ્થાપક ઇમરાન ખાનને મળવાની મંજૂરી આપવામાં આવે.

તેનું કહેવું છે કે છેલ્લા ત્રણ અઠવાડિયાથી ન તો પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવી છે કે ન તો વકીલોને તેમની સાથે મળવાની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે ચિંતા વધી રહી છે.

ઇમરાન ખાનને ભ્રષ્ટાચારના કેસમાં 14 વર્ષની સજા હેઠળ 2023થી અડિયાલા જેલમાં રાખવામાં આવ્યો છે. જો કે, ત્રણ અઠવાડિયાથી પીટીઆઈના નેતાઓને પણ તેમની સાથે મળવાની મંજૂરી આપવામાં આવી નથી, જેના કારણે અટકળોને વધુ વેગ મળ્યો છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા થઈ હતી કે 73 વર્ષીય ઇમરાન ખાનને હાઈ સિક્યોરિટી સ્થળે ખસેડવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, બેઠકો વધુ મુશ્કેલ બની જશે.

આ પણ વાંચો | સિંધ ભારતમાં પરત આવી શકે છે… રાજનાથ સિંહના નિવેદનથી પાક અકળાયું

જોકે, એઆરવાય ન્યૂઝ સાથેની વાતચીતમાં રાણા સનાઉલ્લાહે આ તમામ અટકળોને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું, “આ બધું ખોટું છે. તે સંપૂર્ણપણે ઠીક છે. ડોકટરોની એક ટીમ દૈનિક અને સાપ્તાહિક તપાસ કરે છે. તેમને તમામ સુવિધાઓ મળી રહી છે, તેમને અન્ય જગ્યાએ ખસેડવાની કોઈ યોજના નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો ક્યારેય ટ્રાન્સફરની જરૂર પડશે તો પહેલા કોર્ટને જાણ કરવી ફરજિયાત રહેશે.

ડોન ન્યૂઝ ટીવી પર પીટીઆઈના વરિષ્ઠ નેતા અને સેનેટર અલી ઝફરે પણ કહ્યું હતું કે મીડિયા રિપોર્ટ ખોટા સાબિત થયા છે, પરંતુ આ પછી બેઠકને મંજૂરી આપવી વધુ જરૂરી બની ગઈ છે. તેમના જણાવ્યા અનુસાર, “જ્યાં સુધી અમે તેને જાતે મળીશું નહીં તે જોવા માટે કે તે ઠીક છે, ત્યાં સુધી કોઈને વિશ્વાસ રહેશે નહીં.” તેમણે કહ્યું કે પાર્ટીએ સેનેટમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને માંગ કરી છે કે ગૃહ રાજ્યમંત્રી તલાલ ચૌધરીને મળવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે.

આ પણ વાંચો | અમેરિકા વ્હાઇટ હાઉસ નજીક હુમલો, ટ્રમ્પે કહ્યું- ભારે કિંમત ચૂકવવી પડશે…

પીટીઆઈના કેન્દ્રીય માહિતી સચિવ વકાસ અખ્તરે પણ કહ્યું કે ઇમરાન ખાનને નુકસાન પહોંચાડવાની અફવાઓ પાયાવિહોણી છે પરંતુ સરકારે તાત્કાલિક બેઠકને મંજૂરી આપવી જોઈએ. ‘ઇમરાન ખાન ક્યાં છે?’ સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડ બની ગયું છે, અને જનતા સવાલ કરી રહી છે કે શું પૂર્વ વડા પ્રધાન ખરેખર સુરક્ષિત છે કે નહીં – આ જ પ્રશ્ન તેમના પુત્ર સમગ્ર વિશ્વને પૂછી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ