( Shubhajit Roy) Indian Embassy Abu Dhabi Invited Taliban Envoy On Republic Day: પ્રજસત્તાક દિવસ 2024ની ઉજવણીને લઈને દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. સરકારી સંસ્થાઓની સાથે ખાનગી સંસ્થાઓ, ઓફિસો અને ઘરોમાં પણ વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે ભારત બહારના વિદેશમાં સ્થિત ભારતીય દૂતાવાસોમાં પણ ગણતંત્ર દિવસને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન, સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ભારતીય દૂતાવાસે તાલિબાનના રાજદૂત બદરુદ્દીન હક્કાનીને અબુ ધાબીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે.
જલાલુદ્દીન હક્કાનીના પુત્રમાંથી એક બદરુદ્દીન હક્કાનીને ઓક્ટોબર 2023માં રાજદૂત નિમણુંક કરવામાં આવ્યા હતા. તેમના ભાઇ સિરાજુદ્દીન હક્કાની અફઘાનિસ્તાનના આંતરિક મંત્રી છે. તાલિબાનના અગ્રણી નેતા પૈકીના એક હક્કાની નેટવર્ક 2008માં કાબુલમાં ભારતીય દૂતાવાસ સહિત ઘણા આંતકી હુમલાઓમાં સામેલ હતા.
યુએઇમાં ભારતીય રાજદૂત સંજય સુધીરના નામે જારી કરાયેલા આમંત્રણની નકલ અફઘાનિસ્તાન પત્રકાર બિલાલ સરવારીએ ટ્વીટ કરી હતી, જે હવે અફઘાનિસ્તાનની બહાર રહે છે. ઈન્ડિયન એક્સપ્રેસે આ આમંત્રણની પુષ્ટિ કરી છે. નવી દિલ્હી માને છે કે જ્યારથી ભારત સરકાર તાલિબાન સાથે કામ કરી રહી છે ત્યારથી તેણે ટેકનિકલ ટીમ મોકલી અને કાબુલમાં ભારતીય દૂતાવાસ ફરી ખોલ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બદરુદ્દીન હક્કાનીને આમંત્રણ એ જ વિચારસરણીને અનુરૂપ છે.
સૂત્રોએ જણાવ્યું કે આ આમંત્રણ “ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન” ના રાજદૂતને સંબોધવામાં આવ્યું હતું. તાલિબાન પોતાને “ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન” તરીકે ઓળખાવે છે. “ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન” નું પ્રતિનિધિત્વ તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો | પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેખાશે નારી શક્તિ; થીમથી લઇ બેન્ડ અને જમીનથી આકાશ સુધી બધે જ મહિલા નેતૃત્વ
આ મુદ્દે સાવધાનીપૂર્વક આગળ વધતાં, ભારત કાબુલમાં તાલિબાન સાથે વાટાઘાટો કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી તાલિબાન શાસનને રાજદ્વારી માન્યતા આપી નથી. ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સમુદાયની સમાન ટેમ્પલેટનું પાલન કરી રહી છે. તેઓ તાલિબાન સાથે જોડાયેલા છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત નથી.





