(સુશીલ ત્રિપાઠી) મહામારી, મોંઘવારી અને મંદીથી પરેશાન સામાન્ય વ્યક્તિથી લઇ વેપારીઓ અને કંપનીઓ આગામી 1લી ફેબ્રુઆરી 2023ના રોજ સંસદમાં રજૂ થનાર કેન્દ્રીય બજેટ 2023– 24થી ઘણી અપેક્ષાઓ અને આશાઓ રાખી રહ્યા છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમનનું પાંચમુ અને વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાનું કેન્દ્રીય બજેટ હોવાથી તેને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે. આ બજેટ પર નોકરીયાત વર્ગ અને મધ્યમ વર્ગની નજર રહેશે. કારણ કે દર વખતની જેમ ચૂંટણીઓ પહેલાના બજેટમાં સત્તાધારી રાજકીય પક્ષ ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર સહિત ઘણી લોભામણી લોકપ્રિય ઘોષણાઓ કરી શકે છે. છેલ્લે વર્ષ 2014માં ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર થયો હતો. ચાલો જાણીયે મોદી સરકારે વર્ષ 2014થી 2022 સુધી ટેક્સના ક્યા-ક્યા ફેરફાર કર્યા, જેનાથી સામાન્ય વ્યક્તિને ફાયદો થયો કે ખિસ્સા કપાયા…
બજેટ વર્ષ 2014
વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રચાયેલી કેન્દ્ર સરકારનું પહેલું બજેટ જુલાઈ 2014માં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કર્યું હતું. તે વર્ષે બજેટમાં કરમુક્ત વાર્ષિક આવકની મર્યાદાને બે લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. તો સિનિયર સિટીઝન માટે ટેક્સ ફ્રી વાર્ષિક આવકની મર્યાદાને પણ 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી હતી. ઉપરાંત આવકવેરા કાયદાની કલમ 80(c) હેઠળ ઉપલબ્ધ કર કપાતની મર્યાદાને વાર્ષ 1.1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. તો હોમ લોનના વ્યાજની કરકપાત મર્યાદાને પણ 1.5 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી.
બજેટ વર્ષ 2015
નામાંકીય વર્ષ 2015ના બજેટમાં હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પરની કર મુક્તિ મર્યાદાને 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી હતી. તેવી જ રીત સિનિયર સિટીઝન માટે આ કર મુક્તિની મર્યાદા 20,000 રૂપિયાથી વધારીને 30,000 રૂપિયા કરવામાં આવી છે. બજેટમાં વેલ્થ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. 1 કરોડથી વધુ વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિઓ પર સરચાર્જ 10 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે.

બચત યોજનાઓ પર લાભમાં વધારો
2015માં નાની બચત સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ પર મળતા વ્યાજને કરમુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં રોકાણ પર 50 હજાર રૂપિયાની કર મુક્તિની પણ જાહેરાત કરવામાં આવી હતી.
બજેટ વર્ષ 2016
વર્ષ 2016ના બજેટમાં 5 લાખથી ઓછી કમાણી કરનારાઓ માટે ટેક્સ રિબેટ 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવી હતી. ભાડું ચૂકવનાર વ્યક્તિઓ માટે કલમ 80GG હેઠળ કર મુક્તિ 24,000 રૂપિયા થી વધારીને 60,000 રૂપિયા કરવામાં આવી છે. 1 કરોડથી વધુ વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિઓ પર સરચાર્જ 12 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવ્યો છે.
બજેટ વર્ષ 2017
કરદાતાઓને 12,500 રૂપિયાનું ટેક્સ રિબેટ આપવામાં આવ્યુ હતુ. 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર આવકવેરાનો દર 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. 50 લાખથી 1 કરોડ રૂપિયાની વાર્ષિક કરપાત્ર આવક ધરાવતા લોકો પર 10 ટકાનો સરચાર્જ લાદવામાં આવ્યો હતો. 3.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે કલમ 87A હેઠળ કર મુક્તિ 5,000 રૂપિયાથી ઘટાડીને 2,500 રૂપિયા કરવામાં આવી છે.

બજેટ વર્ષ 2018
શેરબજારમાંથી કરેલી 1 લાખ રૂપિયાથી વધારાની કમાણી પર 10 લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સ લાદવામાં આવ્યો. સિનિયર સિટીઝનને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જમા થાપણોમાંથી થતી 50,000 રૂપિયા સુધીની વ્યાજની આવકને કર મુક્તિ અપાઇ, જે અગાઉ 10,000 રૂપિયા હતી. સિનિયર સિટીઝનને તબીબી – મેડિકલ ખર્ચ માટે કર કપાતની મર્યાદાને 30,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી હતી.
બજેટ વર્ષ 2019
નાણાંકીય વર્ષ 2019માં પીયૂષ ગોયલે લોકસભાની ચૂંટણીઓને કારણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં વાર્ષિક 5 લાખથી ઓછી કમાણી કરતા કરદાતાઓ પર શૂન્ટ ટેક્સની ઘોષણા કરવામાં આવી હતી. ટેક્સ રિબેટની મર્યાદા 2500 રૂપિયાથી વધારીને 12500 રૂપિયા કરવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યું છે.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કર્યુ હતુ. આ બજેટમાં 2 થી 5 કરોડ રૂપિયાની આવક પર સરચાર્જ 3 ટકા અને 5 કરોડથી વધુની આવક પર 7 ટકાનો સરચાર્જ વધારી દીધો.

બજેટ વર્ષ 2020
નાણાંકીય વર્ષ 2020ના બજેટમાં ઓલ્ટરનેટિવ ઇન્કમ ટેક્સની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં કરદાતાઓ માટે જૂના પરંપરાગત ઇન્કમ ટેક્સ સ્લેબ અને નવા વૈકલ્પિક કર સ્લેબ બંને ઉપલબ્ધ કરાવ્યા છે.
બજેટ વર્ષ 2021
75 વર્ષથી વધુ ઉંમરના પેન્શનધારકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ એ શરતે કે તેમની આવક પેન્શન અને બેંક વ્યાજમાંથી થતી હોવી જોઇએ. સ્ટાર્ટઅપ કંપનીઓ માટે ટેક્સ હોલિડે 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો.
બજેટ વર્ષ 2022
વર્ષ 2022ના બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ અંગે કોઈ ઘોષણા કરવામાં આવી ન હતી.