ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ પર ગંભીર આક્ષેપો કરતા હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ વિવિધ રાજકીય પક્ષો પણ આંગળી ચીંધી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી બાદ હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા એ પણ ગંભીર આક્ષેપો કર્યા છે. મહુઆ મોઇત્રાએ એક ટ્વિટરમાં લખ્યુ કે.’સુપ્રીમ કોર્ટે સેબીને અદાણી-હિંડનબર્ગ કેસમાં તપાસનો આદેશ કર્યો, તો અદાણીએ કહ્યું કે સત્યની જીત થશે. જ્યારે તેમના દિકરાના સસદા હજી પણ કોર્પોરેટ ગવર્નન્સ અને ઇનસાઇડર ટ્રેડિંગ સંબંધિત સેબીની સમિતિના સભ્ય છે.’
સેબીની સમિતિના સભ્ય છે અદાણીના વેવાઇ
મહુઆ મોઇત્રાએ અગાઉ પણ આક્ષેપ કર્યો હતો કે, ગૌતમ અદાણીના વેવાઇ જાણીતા વકીલ સિરિલ શ્રોફ સેબીની સમિતિમાં કામગીરી કરે છે. નોંધનીય છે કે, સિરિલ શ્રોફની દિકરીના લગ્ન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના દિકરા કરન અદાણી સાથે થયા છે. ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વિટમાં લખ્યુ હતુ કે, ‘જાણીતા વકીલ સિરિલ શ્રોફ પ્રત્યે સમ્માન છે પરંતુ તેમની દિકરીના લગ્ન ગૌતમ અદાણીના દિકરા સાથે થયા છે. સિરિલ શ્રોફ કોર્પોરેટ ગવર્નન્સ અને ઇનસાઇડર ટ્રેડિંગ અંગેની સેબીની કમિટીમાં કાર્યરત છે. જો સેબી અદાણીના કેસમાં તપાસ કરી રહી છે તો, શ્રોફે સામે ચાલીને સમિતિથી અલગ થઇ જવું જોઇએ.’
મોઇત્રાએ ટ્વીટ કર્યું કે, “અદાણી પાવરના ઓડિટર સૂચવે છે કે તેઓ, મુન્દ્રા પાવરના દેવા અને નુકસાન અંગે ટિપ્પણી કરવામાં અસમર્થ છે. સોને પે સુહાગા! પંપ અને ડમ્પ રાઈડનો આનંદ માણો.”
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ‘અર્શ પરથી ફર્શ પર’
નોંધનીય છે કે, 24 જાન્યુઆરીના રોજ અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચે તેની એક રિપોર્ટમાં ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપના એકાઉન્ટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ સામે સવાલ ઉઠાવ્યા હતા. હિંડનબર્ગે તેની રિપોર્ટમાં દાવો કર્યો હતો કે અદાણી ગ્રૂપ ઉપર જંગી દેવુ છે, જેનાથી કંપનીઓ મોટી મુશ્કેલીમાં મુકાઇ શકે છે. રિપોર્ટ પ્રકાશિત કરવાની સાથે જ અદાણી ગ્રૂપને 88 પ્રશ્નો પુછ્યા હતા. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં આક્રમક વેચવાલીથી 80 ટકા સુધીનો કડાકો બોલાયો અને પરિણામે ગૌતમ અદાણીની સંપત્તિમાં જંગી ધોવાણ થયા તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં નંબર -3 થી નંબર-30 પર પટકાયા છે.