/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/Add-a-heading-4.jpg)
ગૌતમ અદાણી હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ મુશ્કેલીમાં મુકાયા
ગૌતમ અદાણી હિંડનબર્ગ રિપોર્ટ વિવાદ બાદ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપે પાવર ટ્રેડિંગ કોર્પોરેશન એટલે કે પીટીસી ઇન્ડિયા લિમિટેડનો હિસ્સો ખરીદવા બિડ નહી કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે અદાણી જૂથ સરકારી માહિતીની આ કંપનીમાં હિસ્સો ખરીદવામાં રસ ધરાવે છે. પરંતુ બ્લૂમબર્ગે તેના તાજેતરના અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, ગૌતમ અદાણીએ હવે પીટીસી ઈન્ડિયામાં હિસ્સો ખરીદવા માટે બિડ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલા જ અદાણી પાવરે છત્તીસગઢમાં થર્મલ પાવર પ્લાન્ટ કંપની ડીબી પાવરને ટેકઓવર કરવાથી પીછેહઠ કરી છે.
રોકડ નાણાંની બચત પર અદાણીનું ફોકસ
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોનું કહેવું છે કે, અદાણી ગ્રુપ હાલમાં રોકડ નાણાંની બચત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યું છે. ગયા મહિને હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના વિવાદ બાદ અદાણી જૂથ મુશ્કેલીમાં ફસાયું છે. જો કે અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના આરોપોને પાયાવિહોણા અને ભારત પર હુમલો ગણાવીને ફગાવી દીધા છે, પરંતુ આ વિવાદથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં મસમોટા કડાકા બોલાયા છે.
બ્લૂમબર્ગે જાન્યુઆરીમાં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અદાણી જૂથ PTC ઇન્ડિયામાં હિસ્સો ખરીદવામાં રસ ધરાવે છે અને આ માટે તે PTCની માહિતીની સમીક્ષા પણ કરી રહ્યું છે. પરંતુ હવે બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, હાલ તો થોડાક વર્ષો સુધી અદાણી જૂથ હાલમાં પાવર ટ્રેડિંગ કોર્પોરેશન નામની કંપનીમાં હિસ્સો ખરીદવામાં રસ ધરાવતું નથી. કેટલાક સૂત્રોએ નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી છે. તો બીજી બાજુ અદાણી ગ્રૂપના પ્રતિનિધિએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
PTC ઇન્ડિયાનો 16 ટકા હિસ્સો વેચવાનો પ્રસ્તાવ
મીડિયા રિપોર્ટ મુજબ, પીટીસી ઈન્ડિયામાં હિસ્સો ધરાવતી 4 સરકારી કંપનીઓ - એનટીપીસી લિમિટેડ, એનએચપીસી લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન PTC ઈન્ડિયામાં તેમનો 4-4 ટકા હિસ્સો વેચવાનું વિચારી રહી છે. કુલ 16 ટકા હિસ્સો વેચવાના આ પ્રસ્તાવ અંગે આ સરકારી કંપનીઓના સલાહકાર સાથે પણ વાતચીત ચાલી રહી છે. PTC ઇન્ડિયાના હાલના શેર ભાવ અનુસાર 16 ટકા હિસ્સાની વેલ્યૂએશન 5.2 કરોડ ડોલર કે લગભગ 430 કરોડ રૂપિયા જેટલી થાય છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં PTCનો હિસ્સો 11 ટકા વધ્યો છે, જેના પરિણામ કંપનીની માર્કેટ વેલ્યૂએશન પણ વધીને 32.2 કરોડ ડોલર કે લગભગ 2633 કરોડ રૂપિયા જેટલી થઇ ગઇ છે.
હિંડનબર્ગ વિવાદ બાદ થર્મલ પ્લાન્ટ ખરીદવાનું માંડી વાળ્યું
હિંડનબર્ગ રિસર્ચના વિવાદ બાદ અદાણી ગ્રૂપ મોટા વિવાદમાં ફસાઇ ગયુ છે. તાજેતરમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે અદાણી પાવરે છત્તીસગઢમાં થર્મલ પાવર પ્લાન્ટનું સંચાલન કરતી કંપની ડીબી પાવરને ટેકઓવર કરવાની પ્રક્રિયામાંથી પીછેહઠ કરી છે. બંને કંપનીઓ વચ્ચે 7,017 કરોડ રૂપિયામાં સોદો ફાઇનલ થયો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં જ આ ડીલ ફાઈનલ થઈ ગઈ હતી. પરંતુ 16 ફેબ્રુઆરીએ સમાચાર આવ્યા કે અદાણી જૂથ હવે આ સોદો કરશે નહીં.
વેલ્યૂએશનમાં 133 અબજ ડોલરનું ધોવાણ
હિંડનબર્ગ રિપોર્ટના વિવાદ બાદ અદાણ ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીઓના શેરમાં મસમોટા કડાકા બોલાતા હતા અને તેના પરિણામે અદાણી ગ્રૂપના સંયુક્ત બજારમૂલ્યમાં 132 અબજ ડોલરનું ધોવાણ થયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us