ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ (IAS), ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS)ના અધિકારીઓને શેર – સટ્ટામાં કરેલા રોકાણની વિગત રજૂ કરવા કેન્દ્ર સરકારે નિર્દેશ કર્યો છે. કેન્દ્ર સરકારે IAS, IPS, IPS અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, જો શેર બજાર, સ્ટોક કે અન્ય સ્કીમમાં કુલ ઇન્વેસ્ટમેન્ટ / ટ્રાન્ઝેક્શન કેલેન્ડર વર્ષના છ મહિનાના મૂળ વેતન કરતા વધારે થઇ જાય તો તેની માહિતી આપવી પડશે. સરકારી અધિકારીઓએ આવી માહિતી કર્મચારી મંત્રાલયને આપવાની રહેશે. કર્મચારી મંત્રાલયે તાજેતરમાં જ આ અંગે આદેશ જારી કર્યો છે.
આ માહિતી ઓલ ઇન્ડિયા સર્વિસ (કંડક્ટ) રૂલ્સ, 1968 ના નિયમ 16(4) હેઠળ તેમના દ્વારા રજૂ કરવામાં આવતી આવા પ્રકારની માહિતી ઉપરાંત હશે. આ નિયમો ઓલ ઇન્ડિયા સર્વિસ હેઠળ આવતા ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ (આઇએએસ), ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (આઇએફએસ)ના કર્મચારીઓને લાગુ પડશે. આ આદેશ કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોના સચિવોને જારી કરવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીઓ કોઇ પણ પ્રકારનો સટ્ટો કરી શકે નહીં
ઓલ ઇન્ડિયા સર્વિસ (કંડક્ટ) રૂલ્સ -1968ના નિયમ-16(1)માં પણ એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ સરકારી કર્મચારી કોઈપણ સ્ટોક, શેર અથવા અન્ય સ્કીમમાં રોકાણ કરી શકશે નહીં. એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શેર, જામીનગીરીઓ અને અન્ય ઇન્વેસ્ટમેન્ટની વારંવાર લે-વેચ અથવા વેચાણ અથવા બંને પ્રકારની પ્રવૃત્તિને નિયમ અનુસાર સટ્ટો માનવામાં આવશે.
શા માટે નિર્ણય લેવામાં આવ્યો
ન્યૂઝ એજન્સી અનુસાર ઓલ ઇન્ડિયા સર્વિસ (AIS)ના સભ્યો દ્વારા કોઈપણ સ્ટોક, શેર અથવા અન્ય ઇન્વેસ્ટમેન્ટ વગેરેમાં મૂડીરોકાણ / લે-વેચના વ્યવહારો પર નજર રાખવા માટે વહીવટી અધિકારીઓને સક્ષમ બનાવવાના હેતુથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના તમામ સચિવોને જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે સ્ટોક, શેર અથવા અન્ય રોકાણ વગેરેમાં કુલ લે-વેચના વ્યવહારો કેલેન્ડર વર્ષ દરમિયાન સરકારી કર્મચારીની છ મહિનાની બેઝિક સેલરી કરતા વધારે થઇ જાય તો તેની જાણકારી દર વર્ષે સંબંધિત ફોર્મેટમાં સત્તાધિકારીને મોકલવાની રહેશે.
નિયમ 16 (4)ને વાંચતા, દરેક અધિકારીએ પ્રત્યેક રોકાણ સંબંધિત નાણાંકીય વ્યવહાર અંગે સરકારને જાણકારી આપવી જોઈએ, જેનું મૂલ્ય આવા વ્યવહાર પૂર્ણ થયાના એક મહિનાની અંદર બે મહિનાની બેઝિક સેલેરી કરતાં વધી જાય છે”.
અત્યાર સુધી અધિકારીઓ પાસેથી તેમના રોકાણ વિશે માહિતી મેળવવાનો કોઈ રસ્તો નહોતો. તાજેતરમાં કેન્દ્ર સરકાર પાસે એવા ઘણા રિપોર્ટ આવ્યા છે જેમાં લાલ બત્તીવાળા અધિકારીઓએ શેરબજારમાં જંગી મૂડીરોકાણ કર્યું હોવાના સંકેત મળ્યા છે. હવે સરકારે ખુદ અધિકારીઓને તેમના રોકાણ વિશે માહિતી આપવા નિર્દેશ કર્યો છે.