હિંદુ પંચાગ અનુસાર,દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. આ પછી હોલિકા દહનના બીજા દિવસે ધામધૂમપૂર્વક હોળી મનાવવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન માટે ઓછા સમય માટે શુભ મુહૂર્ત છે. હિંદુ શાસ્ત્ર અનુસાર હોલિકા દહન પ્રદોષ કાળ (સૂર્યાસ્ત બાદ) દરમિયાન કરવાનું શુભ માનવામાં આવે છે. ત્યારે જાણો હોલિકા દહનનું શુભ મુહૂર્ત, પૂજાની સામગ્રી તેમજ પૂજવિધિ અંગે…

હોલિકા પૂજા કરવાથી આ ફાયદો
એવું માનવામાં આવે છે કે, હોળીના દિવસે હોલિકા પૂજા કરવાથી દરેક પ્રકારના ભય પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. હોલિકા પૂજામાં શક્તિ, સમૃદ્ધિ અને ધન પ્રદાન થાય છે. આ સાથે એવી પણ માન્યતા છે કે, હોલિકાની રચના તમામ પ્રકારના ભયને દુર કરવા માટે થઇ હતી. તેમજ આ દિવસે હોલિકા નામની રાક્ષસીનો અંત થયો હતો અને આ દિવસે પ્રહલાદની પૂજા કરવામાં આવે છે.
હોલિકા દહન યોગ્ય સમયે કરવું મહત્વપૂર્ણ
ધાર્મિક ગ્રંથો અનુસાર, હોલિકા દહન પહેલા હોલિકાની પૂજા કરવાનો ઉલ્લેખ છે. ત્યારે હોલિકા દહન હિંદુ પંચાગ સાથે પરામર્શ કરીને ઉચિત સમય પર કરવું યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે, હોલિકા દહન યોગ્ય સમયે કરવું મહત્વપૂર્ણ છે. કારણ કે જો ખોટા સમય પર હોલિકા દહન કરવામાં આવશે તો વ્યક્તિને સમસ્યા કે કષ્ટ પડી શકવાનો ખત્તરો રહે છે. ત્યારે તમે શુભ મુહૂર્તમાં જ હોલિકા દહન કરવા માટે સમય જોઇ લેજો. હવે વાત કરીએ હોલિકા દહન માટે અનિવાર્ય પૂજા સામગ્રી વિશે…
પૂજા માટે આ સામગ્રી અનિવાર્ય
પૂજા માટે જલ, ગાયના છાણથી બનેલી માળા, અક્ષત (ચોખા), અગરબત્તી, ધૂપ, ફૂલ, કાચો દોરો, હળદરના ટૂકડાં, મૂંગદાળ, પતાશા, ગુલાલ, નારિયેળ સહિત સામગ્રી હોવી અનિવાર્ય છે. આ સાથે ઘઉં અને ચણા જેવી તાજી ફસલોને પણ પૂજા સામગ્રીમાં સામેલ કરી શકાય છે.

હોલિકાનું સ્થાપન
જે સ્થાન પર હોલિકાનું સ્થાપન કરવામાં આવે છે એ સ્થાનને પહેલા ગાયના છાણથી અને ગંગાજળથી સાફ કરવામાં આવે છે. આ પછી મધ્યમાં એક મજબૂત લાકડી રાખવામાં આવે છે અને ગાયના છાણથી બનેલા થાણાને ચારેતરફ ગોઠવવામાં આવે છે. સામાન્ય રીતે ગાયના છાણથી બનેલી હોલિકા અને પ્રહ્લલાદની મૂર્તિઓને ઉપર રાખવામાં આવે છે. મહત્વનું છે કે, હોલિકા દહન દરમિયાન પ્રહલાદની મૂર્તને કાઢી લેવામાં આવે છે. આ સાથે ગાયના છાણામાંથી બનેલા ચાર મણકા અલગ રાખી દેવામાં આવે છે. જેમાં એક પિતરોના નામ પર, બીજું ભગવાન હનુમાનના નામ પર તેમજ ત્રીજું દેવી શીતળા નામ પર અને ચોથું અને છેલ્લું પરિવારના નામ પર સુરક્ષિત રાખવામાં આવે છે.
આપને જણાવી દઇએ કે, હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે હોલિકા દહનનો સમય 2 કલાક 27 મિનિટ સુધી છે.