Kumbh Mela 2025: મહાકુંભ એ લોકોની આસ્થા સાથે જોડાયેલ તે મહાપર્વ છે જ્યાં જવા માટે દરેક વ્યક્તિ આતુર રહે છે. 12 વર્ષની રાહ જોયા બાદ મહાકુંભ થાય છે, જ્યાં સૌભાગ્યશાળી લોકો પહોંચે છે. મહાકુંભ મેળામાં દરેકની એક અતુટ આસ્થા જોડાયેલી છે. મહાકુંભ મેળામાં દેશ જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો આવે છે. સંગમ નગરી પ્રયાગરાજ મહાકુંભ મેળા માટે સંપર્ણ તૈયારીઓ થઈ ગઈ છે.
13 જાન્યુઆરી 2025 એ મહાકુંભ મેળાનો આરંભ થશે. પ્રયાગરાજને તીર્થોનો રાજા કહેવામાં આવે છે. આવામાં અહીં થતા મહાકુંભનું વિશેષ મહત્ત્વ હોય છે. આ શહેરમાં જ્યાં ત્રણ પવિત્ર નદી ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. ત્યાં જ પ્રયાગરાજમાં ઘણા એવા પ્રસિદ્ધ મંદિર છે જ્યાં દૂર-દૂરથી ભક્તો માથું ટેકવા આવે છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ડૂબકી લગાવ્યા બાદ તીર્થયાત્રી દર્શન કરવા માટે જરૂરથી જાય છે. કહેવામાં આવે છે કે આ મંદિરના દર્શન વિના સંગમયયાત્રા અધૂરી રહી જાય છે.
અક્ષયવટ
સંગમ કિનારે સ્થિત કિલ્લાની અંદર એક એવું વૃક્ષ છે જેને લઈ ઘણી માન્યતાઓ જોડાયેલી છે. આ વૃક્ષના દર્શન માત્રથી ભક્તોના તમામ પાપ ધોવાઈ જાય છે. અમે વાત કરી રહ્યા છીએ અક્ષયવટ વૃક્ષની. અક્ષયવટ તે પવિત્ર વટવૃક્ષ છે જ્યાં પ્રભુ રામે માતા સિતા અને ભાઈ લક્ષ્મણની સાથે આરામ કર્યો હતો. ત્રેતા યુગનો પુરાવો આપતું આ વટવૃક્ષ આજે લોકોની આસ્થા સાથે જોડાય ગયું છે. અહીં દર્શન માટે દરરોજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. સંગમ સ્નાન બાદ તીર્થયાત્રી અક્ષય વટ મંદિર જરૂરથી જાય છે. માન્યતા અનુસાર, આ વટવૃક્ષની નીચે શ્રી રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણે ત્રણ રાત આરામ કર્યો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે આખી ધરતી પાણીમગ્ન થઈ જશે ત્યારે પણ અક્ષયવટનું અસ્તિત્વ કાયમ રહેશે.
કુંભ મેળાની મહત્વની તારીખો
- 13 જાન્યુઆરી 2025: પોષ પૂર્ણિમા
- 14 જાન્યુઆરી 2025: મકરસંક્રાંતિ (પ્રથમ શાહી સ્નાન)
- 29 જાન્યુઆરી 2025: મૌની અમાવસ્યા (બીજું શાહી સ્નાન)
- 3 ફેબ્રુઆરી 2025: વસંત પંચમી (ત્રીજું શાહી સ્નાન)
- 4 ફેબ્રુઆરી 2025: અચલા સપ્તમી
- 12 ફેબ્રુઆરી 2025: માઘી પૂર્ણિમા
- 26 ફેબ્રુઆરી 2025: મહાશિવરાત્રી (છેલ્લું સ્નાન)
40 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ 2025માં 40 કરોડથી વધુ ભક્તો ભાગ લે તેવી આશા છે. 2013ના કુંભની સરખામણીએ 2025માં પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાનો વિસ્તાર બમણાથી વધુ રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે યોગી સરકારે મહાકુંભ 2025ના આયોજન માટે 2,600 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરી હતી. મહાકુંભ દરમિયાન વધુ સારા વહીવટ માટે યુપી સરકારે મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે.
આ પણ વાંચો: 12 વર્ષે જ કેમ થાય છે મહાકુંભ? દેવતાઓ અને દાનવોના યુદ્ધ સાથે જોડાયેલી છે કથા
પ્રયાગરાજ તીર્થસ્થાનોનો રાજા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજને શાસ્ત્રોમાં તીર્થરાજ એટલે કે તીર્થસ્થાનોના રાજા તરીકે વર્ણવવામાં આવ્યું છે. એવી પણ માન્યતા છે કે પ્રથમ યજ્ઞ ભગવાન બ્રહ્માએ પ્રયાગરાજમાં જ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને જન્મ-મરણના ચક્રમાંથી પણ મુક્તિ મળે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં યુનેસ્કોએ કુંભ મેળાને ‘માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો’નો દરજ્જો આપ્યો હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ આ વાતની સત્યતાનું પ્રમાણ આપતું નથી.)