જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. આ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયાના અહેવાલ છે, જ્યારે એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે પ્રવાસીઓ ઘોડેસવારી કરી રહ્યા હતા ત્યારે અચાનક આતંકવાદીઓ ત્યાં પહોંચી ગયા અને તેમના નામ પૂછ્યા પછી તેમણે ગોળીબાર શરૂ કરી દીધો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોમાં ત્રણ લોકો ગુજરાતના હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલે આ આતંકવાદી હુમલા બાદ એએનઆઈ એજન્સી સાથે વાતચીતમાં જણવ્યું કે, “અમને માહિતી મળી છે કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં ભાવનગરના વિનોદ ભટ્ટ નામના વ્યક્તિ ઘાયલ થયા છે. અમે આ અંગે વધુ માહિતી એકઠી કરી રહ્યા છીએ…”
પહેલગામ આતંકવાદી હુમલા અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “આ કેસમાં જે પણ માહિતી મળી છે, ખાસ કરીને ગુજરાતીઓ વિશે તે બધી માહિતી ગૃહ વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલય સાથે સંકલન કરીને સંકલિત કરવામાં આવી છે, જેથી પરિવારોને તાત્કાલિક મદદ મળી શકે. અમે થોડા સમયમાં આ બાબતે સત્તાવાર માહિતી આપીશું.”
ઘટના પછી તરત જ વીડિયો આવ્યો
આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેમાં પ્રવાસીઓ ચીસો પાડી રહ્યા છે અને મદદ માટે વિનંતી કરી રહ્યા છે. વીડિયોમાં એક મહિલા કહેતી સંભળાય છે કે, “અમે ભેળપુરી ખાઈ રહ્યા હતા ત્યારે એક માણસ આવ્યો અને અમને ગોળી મારી દીધી. તેણે કહ્યું, ‘કદાચ તે મુસ્લિમ નથી’ અને પછી ગોળીબાર શરૂ કરી દીધો.”
પહલગામને રક્તરંજીત કર્યું આ આતંકી સંગઠને, જાણો
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 11 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર પહોંચી ગયા છે. આ દરમિયાન તેમણે એક હાઈલેવલ મિટિંગ પણ કરી હતી.