Gujarat Road Accident News: રાજ્યમાં આજે બે મોટા અકસ્માતની ઘટનાઓ બની છે જેમાં કૂલ 7 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં સતત ગોઝારા અકસ્માતોની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરત પાસિંગની કારનો દાદરા નગર હવેલી પાસે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ખુરદો બોલી ગયો હતો અને અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બીજો અકસ્માત આણંદ જિલ્લાના પેટલાદ નજીક સર્જાયો હતો. અહીં ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે ત્યાં જ 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સેલવાસ અકસ્માતમાં સુરતના 4 લોકોના મોત
સેલવાસના દુધની ગામ નજીકના ઘાટ ઉતરતી વખતે અચાનક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ નજીક પડેલા મોટા પથ્થર સાથે કાર અથડાયા બાદ ત્રણથી ચાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં સુરતના કાર સવાર પાંચ પૈકી ચાર વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા. એક શખ્સને ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે ગામના આગેવાનો સહિત લોકો દોડી ગયા હતા. બાદમાં લોકોએ કારમાં ફસાયેલા પાંચ વ્યકિતઓને બહાર કાઢવા કવાયત આદરી હતી. જોકે આ અકસ્માતમાં કમનસીબે ચાર લોકોના મોત થયા હતા અને એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ! આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરૂદ્ધ લૂક આઉટ સર્કયુલર જાહેર, 5 આરોપીની ધરપકડ
આણંદના પેટલાદ નજીક ટ્રક-લક્ઝરી બસ વચ્ચે અકસ્માત
બીજો અકસ્માત આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર સર્જાયો હતો. જેમાં લક્ઝરી બસનું કચ્ચરઘાણ વળી ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટથી સુરત તરફ જતી આ બસની ઓવરટેકના ચક્કરમાં ટ્રક સાથે અથડાઈ હતી.





