Amritsar-Jamnagar Expressway: ભારતના બીજા સૌથી લાંબા અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે નું નિર્ણાણ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આગામી વર્ષે તેના પૂર્ણ થવાની પણ આશા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હી-મુંબઈ અને અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે ના નવા ખંડોનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન 74.6 કિલોમીટર લાંબા ચાર લેનવાળા ડાંગિયાવાસ-નાગપુર હાઇવેનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ખંડ જોધપુર રિંગ રોડ-1નો ભાગ છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો એક ભાગ હવે લોકો માટે ખુલી ગયો છે. જેની કુલ લંબાઈ 28 કિલોમીટર છે. ટૂરિઝમના હિસાબે આ ખુબ જ ફાયદાકારક રહેશે.
અમૃતસર-જામનગર એક્સપ્રેસવે ભારતનો બીજો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે, જે ચાર રાજ્યોની કનેક્ટિવિટીમાં સુધારો કરશે. તેના નિર્માણથી રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતને ફાયદો થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ તેનું નિર્માણ કરી રહી છે. આ હાઈવેનો 915 કિલોમીટર ભાગ ગ્રીનફિલ્ડ એલાઈનમેન્ટના આધારે બનાવવામાં આવશે. જેમાં 4 થી 6 લેન હશે. બાકીના ભાગને નેશનલ હાઈવેથી અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. તેનું નિર્માણ કાર્ય 2019માં શરૂ થયું હતું. એવું માનવામાં આવે છે કે એક્સપ્રેસ વે આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે અને કાર્યરત થઈ જશે.
એક્સપ્રેસ વે પર અકસ્માતોને રોકવા માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેના પર અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. હાલમાં હાઇવે પર 120KM પ્રતિ કલાકથી વધુની ઝડપે વાહનો ચલાવવાની પરવાનગી નથી. દરેક કિલોમીટરમાં ઇમરજન્સી કોલ બોક્સ બનાવવામાં આવશે. અકસ્માત અથવા કટોકટીના કિસ્સામાં, એમ્બ્યુલન્સ તરત જ આવશે. એક્સપ્રેસ વેના નિર્માણથી અમૃતસર અને જામનગર વચ્ચેનું અંતર ઘટીને માત્ર 1256 કિમી થઈ જશે. હાલમાં અંતર 1430 KM છે. ત્યાં જ 26 કલાકની મુસાફરી ઘટીને અડધા એટલે કે 13 કલાકની થઈ જશે.
આ પણ વાંચો: સુનીતા વિલિયમ્સનું પૃથ્વી પર પરત આવવાનું ફરીથી ટળ્યું
80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે
આ એક્સપ્રેસ વે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણાના અનેક જિલ્લાઓમાંથી પસાર થશે. આ ઉપરાંત તેને દિલ્હી-કટરા એક્સપ્રેસ વે સાથે પણ જોડવામાં આવશે. આ દેશનો લાંબો આર્થિક કોરિડોર પણ હશે. રાજસ્થાનમાં તે 636 કિમી કવર કરશે. 1256 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેના નિર્માણ પાછળ 80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેના કાંઠે ઔદ્યોગિક એકમો સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે. જેના કારણે ચારેય રાજ્યોમાં રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે.