શું વર્ચસ્વની લડાઈમાં ખોડલધામ અને સરદારધામનો વિવાદ રક્તરંજિત બન્યો, આ છે વિવાદનું મૂળ

Khodaldham Sardar Dham dispute: જયંતિ સરધારા જ્યારથી સરદારધામના ઉપપ્રમુખ બન્યા ત્યારથી ખોડલધામના દાતાઓને સરદારધામ તરફ વાળી રહ્યા છે અને ટ્રસ્ટીઓ બનાવી રહ્યા છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ સાથેના સંબંધો વણસી રહ્યા હતા.

Written by Rakesh Parmar
November 26, 2024 16:14 IST
શું વર્ચસ્વની લડાઈમાં ખોડલધામ અને સરદારધામનો વિવાદ રક્તરંજિત બન્યો, આ છે વિવાદનું મૂળ
ખોડલધામ અને સરદારધામ વચ્ચે શું વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે? (તસવીર: whatsapp pic)

Khodaldham and Sardardham Dispute: પાટીદાર સમાજના અગ્રણીઓ વચ્ચેના મતભેદ હવે ચરમસીમાએ પહોંચી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ખોડલ ધામ અને સરદારધામના પાટીદાર અગ્રણીઓ હવે સામસામે જાહેરમાં મારામારી અને એકબીજા પર હિંસક હુમલો કરતા પણ અચકાતા નથી. પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદારધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ભારે હોબાળો મચી ગયો છે. જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈ સંજય પાદરીયાએ હુમલો કરતાં લોહી લુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. નરેશ પટેલની સામે તું થઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હુમલો કર્યાનો આક્ષેપ હાલમાં જયંતિભાઈ કરશનભાઈ સરધારા દ્વારા કરાયો છે.

જોકે મામલો ગરમાતાં હાલમાં પીઆઇ સંદિપ પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસ ગુનો નોંધાયો છે. ત્યાં જ હજુ સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી. અને રાજ્યમાં બે અગ્રણી સંસ્થાઓના મતભેદ હવે જાહેરમાં હત્યાના પ્રયાસ સુધી પહોંચી જતા લોકચર્ચાએ વેગ પકડ્યો છે.

લમણે પિસ્તોલ મૂકી જાનથી મારી નાખવાની ધમકી

પીઆઇ સંદિપ પાદરીયાએ જયંતિભાઇ સરધારાને અપશબ્દો કહીને લમણે પિસ્તોલ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભારતીય દંડ સંહિતાની કલમ 109 (1),115(2),118(1) 352, 351(3), તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ પીઆઇ સંદિપ પાદરીયા તેમના પર હુમલો કરતાં દેખાય છે.

ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો

આ સમગ્ર ઘટનામાં ગંભીર રીતે ઘાયલ જયંતિભાઇ સરધારાએ ખોડલ ધામ ચેરમેન નરેશ પટેલ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે નરેશ પટેલના ઇશારે પીઆઇ પાદરીયા દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ખોડલ ધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે આ સમગ્ર મામલે નરેશ પટેલનું નામ જોડવું યોગ્ય નથી.

આ પણ વાંચો: 25 દિવસમાં 5 હત્યા કરનારા ‘સિરિયલ કિલર’ને ગુજરાત પોલીસે દબોચ્યો, પોલીસે 2000 થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા

હાલમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાની ઘટનાને લઈને સરદાર ધામ અને ખોડલધામ સાથે જોડાયેલા અગ્રણીઓ સમાધાનના પ્રયાસો શરૂ કર્યા છે. જેમાં થોડા સમયમાં સમાધાન થઈ જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે આ ઘટના બાદ પાટીદારોની બે સંસ્થાઓમાં મામલો વધુ વકરે તો નવાઈ નહીં.

વિવાદનું મૂળ વર્ચસ્વની લડાઈ

ખોડલધામ ટ્રસ્ટ વર્ષોથી લેઉવા પાટીદાર સમાજની માતૃ સંસ્થા છે. ખોડલધામ ટ્રસ્ટ સામાજિક પ્રવૃતિઓની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃતિઓ પણ ચલાવે છે. જેમાં GPSC અને UPSC સહિત સ્પર્ધાત્મક કલાસ ચલાવે છે. જોકે બે વર્ષ થી સરદારધામ ટ્રસ્ટે સૌરાષ્ટ્ર ઝોનની સંસ્થા શરૂ કરી છે. સરદારધામ ટ્રસ્ટમાં લેઉવા અને કડવા બન્ને સમાજના આગેવાનો જોડાયા છે. ખોડલધામ ટ્રસ્ટના સોમનાથ લેઉવા પાટીદાર ભવનના ટ્રસ્ટી જયંતી સરધારા પણ સરદારધામ સાથે જોડાયા અને 8 મહિના પહેલા જ ઉપપ્રમુખ બન્યા હતા. જયંતિ સરધારા જ્યારથી સરદારધામના ઉપપ્રમુખ બન્યા ત્યારથી ખોડલધામના દાતાઓને સરદારધામ તરફ વાળી રહ્યા છે અને ટ્રસ્ટીઓ બનાવી રહ્યા છે. જેને કારણે ખોડલધામ ટ્રસ્ટ સાથેના સંબંધો વણસી રહ્યા હતા. ખોડલધામ અને સરદારધામ વચ્ચે હવે આ લડાઈ વર્ચસ્વની લડાઈ બની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ